ગુજરાતના બિલકિસ બાનો કેસ અંગે પ્રહલાદ જોશીનું જૂનું નિવેદન સામે આવતાં જ રાહુલ-પ્રિયંકા આક્રમક, સરકારને ઘેરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul And Priyanka Gandhi On Pralhad Joshi : ગુજરાતના બિલકિસ બાનો કેસના દોષિતોની મુક્તિ અંગે આપેલા એક જૂના નિવેદનને કારણે દેશના નવા શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી વિપક્ષના નિશાના પર આવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા બંનેએ આ મુદ્દે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે.
પ્રહલાદ જોશીનું જૂનું નિવેદન શું હતું?
બિલકિસ બાનો કેસમાં દોષિતોની મુક્ત કરાયા ત્યારે પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે, 'મને આમાં કંઈ ખોટું લાગતું નથી, કારણ કે આ એક કાયદાકીય પ્રક્રિયા છે.' તેમણે દલીલ કરી હતી કે, જેલમાં લાંબો સમય વિતાવનારા દોષિતોની મુક્તિ માટે કાયદામાં જોગવાઈઓ રહેલી છે.
રાહુલ ગાંધીના પ્રહલાદ જોશી પર આકરા પ્રહારો
સંસદ બહાર પત્રકારો સાથે વાત કરતાં રાહુલ ગાંધી(Rahul Gandhi)એ કહ્યું કે, 'આટલા બધા યુવાનો અને ઘણી છોકરીઓ શિક્ષણ વ્યવસ્થા સામે વિરોધ પ્રદર્શન કરી રહી હતી. તેમને માર મારવામાં આવ્યો. ભાજપે એક એવા વ્યક્તિને બેસાડ્યા છે જે દુષ્કર્મીઓના રક્ષક છે? તેઓ સૌથી ગંદા પ્રકારના માણસ છે.'
વડાપ્રધાનની પસંદગી પર રાહુલ ગાંધીના સવાલો
રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું કે, 'એવા વ્યક્તિથી વધુ ગંદુ કોઈ ન હોઈ શકે જે એમ કહે કે દુષ્કર્મીઓને સુરક્ષાની જરૂર છે. આ ભારતના શિક્ષણ મંત્રી છે, જે ખૂબ અજીબ છે. વડાપ્રધાનના મંત્રીમંડળમાં આટલા બધા લોકો છે, તેઓ તેમાંથી કોઈની પણ પસંદગી કરી શકતા હતા, પરંતુ તેમણે એવા વ્યક્તિને પસંદ કર્યા જે દુષ્કર્મીઓને સંરક્ષણ આપે છે.'
પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાનને ઘેર્યા
પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi)એ પણ ગૃહમાં આ નિર્ણય સામે વાંધો ઉઠાવતા પૂછ્યું કે, 'વડાપ્રધાને નવા શિક્ષણ મંત્રી તરીકે એવા વ્યક્તિને સત્તા પર બેસાડ્યા છે જેમણે એક ગર્ભવતી મહિલાના દુષ્કર્મીઓની મુક્તિ પર પોતાની સંમતિ આપી હતી. દેશની કરોડો દીકરીઓને વડાપ્રધાને આ શું સંદેશ આપ્યો છે?'
25 જુલાઈએ પ્રહલાદ જોશીને મળ્યો કાર્યભાર
NEET પેપર લીકના વિરોધ વચ્ચે 25 જુલાઈના રોજ ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા બાદ કેન્દ્ર સરકારે પ્રહલાદ જોશી(Education Minister Pralhad Joshi)ને શિક્ષણ મંત્રાલયનો નવો કાર્યભાર સોંપ્યો છે.









