Get The App

નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે 1 - image
 Photo X

India Legal System Reforms : ભારતની કાનૂની વ્યવસ્થામાં એક ક્રાંતિકારી પરિવર્તન આવવા જઈ રહ્યું છે. સામાન્ય ટેકનિકલ ભૂલ કે નાની ચૂક માટે અત્યાર સુધી જે જેલની સજાની જોગવાઈ હતી, તેને નાબૂદ કરવા માટે સરકાર જન વિશ્વાસ (સંશોધન) વિધેયક લાવી રહી છે. આ બિલનો મુખ્ય મંત્ર છે શાસન ડર પર નહીં, પણ ભરોસા પર ચાલવું જોઈએ.

શું છે જન વિશ્વાસ બિલ અને તેનો ઉદ્દેશ્ય?

જન વિશ્વાસ બિલ એક સુધારાવાદી પગલું છે. તેનો મુખ્ય હેતુ નાના અને ટેકનિકલ નિયમ ઉલ્લંઘનોને અપરાધ(Crime)ની શ્રેણીમાંથી બહાર કરવાનો છે. અત્યાર સુધી અનેક એવા કાયદા હતા જેમાં નજીવી ભૂલ માટે પણ જેલની સજા થતી હતી. આ બિલ આવી જોગવાઈઓને હટાવીને દંડ અથવા ચેતવણીમાં ફેરવશે. વેપારીઓ, ઉદ્યોગસાહસિકો અને સામાન્ય નાગરિકો પરનો બિનજરૂરી કાનૂની બોજ ઓછો થશે.

જેલની સજા ખતમ એટલે શું?

જેનો અર્થ એ નથી કે તમામ ગુનાઓમાં સજા માફ થઈ જશે. આ છૂટછાટ માત્ર નાના, ટેકનિકલ અને પ્રક્રિયાગત ઉલ્લંઘનો પર જ લાગુ પડશે. પ્રથમ વખત ભૂલ કરનારને સુધારવાની તક અપાશે. જેલના બદલે માત્ર આર્થિક દંડ, ચેતવણી અથવા સુધારા નોટિસ આપવામાં આવશે. જો કોઈ વારંવાર ભૂલ કરશે, તો જ દંડની રકમ વધારવામાં આવશે.

આ પણ વાંચો : Explainer: પેટ્રોલ-ડીઝલ 10 રૂપિયા ટેક્સ ઘટ્યો છતાં ભાવ કેમ ન ઘટ્યા? જાણો એક લિટર ઈંધણના ભાવનો હિસાબ

ઇન્સ્પેક્ટર રાજનો અંત આવશે

ઇન્સ્પેક્ટર રાજ એટલે કે અધિકારીઓ પાસે રહેલી અમર્યાદિત સત્તા, જેના કારણે તેઓ નાની ભૂલોમાં પણ મોટી કાર્યવાહી કરી શકતા હતા. જ્યારે નાના ઉલ્લંઘનો અપરાધ નહીં ગણાય, ત્યારે અધિકારીઓની મનમાની અટકશે. કેસોનું નિરાકરણ કોર્ટની બહાર જ સત્તાધિકારીઓ દ્વારા કરવામાં આવશે, જેથી સમય બચશે અને પારદર્શિતા વધશે.

કયા કાયદાઓમાં ફેરફાર થશે?

સિલેક્ટ કમિટીની ભલામણ બાદ હવે આશરે 78 કાયદાઓના 689 જોગવાઈઓને ડિ-ક્રિમિનલાiઝ કરવાની તૈયારી છે. જેમાં મુખ્યત્વે મોટર વ્હીકલ ઍક્ટ, ઈલેક્ટ્રિસિટી ઍક્ટ, ડ્રગ્સ ઍન્ડ કોસ્મેટિક્સ ઍક્ટ, MSME ડેવલપમેન્ટ ઍક્ટ, RBI ઍક્ટ અને લીગલ મેટ્રોલૉજી ઍક્ટનો સમાવેશ થાય છે. 

બિલની વર્તમાન સ્થિતિ

સૂત્રોના જણાવ્યા અનુસાર, પીયૂષ ગોયલ આ સંશોધિત બિલને લોકસભામાં રજૂ કરવા જઈ રહ્યા છે. અગાઉ આ બિલ સિલેક્ટ કમિટી પાસે હતું, જેણે 1000થી વધુ ગુનાહિત જોગવાઈઓ હટાવવાની ભલામણ કરી છે. સોમવાર સુધીમાં આ બિલ પર ગૃહમાં વિગતવાર ચર્ચા થઈ શકે છે.