Get The App

દોઢ કલાકમાં વંદે ભારત સહિત 3 ટ્રેનો પર પથ્થરમારો, બિહારના મુઝફ્ફરપુરમાં મુસાફરોમાં ડર પેઠો

Updated: May 18th, 2026

GS TEAM

Google News
Google News
Vande Bharat Attack

Vande Bharat Attack: બિહારના મુઝફ્ફરપુરમાં રવિવારની સાંજે રેલવે સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરતી એક મોટી ઘટના સામે આવી છે. સોનપુર મંડળના મુઝફ્ફરપુર જંક્શન અને રામદયાલુ નગર સ્ટેશન વચ્ચે માત્ર દોઢ કલાકના ટૂંકા ગાળામાં વંદે ભારત એક્સપ્રેસ સહિત ત્રણ ટ્રેનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ અચાનક થયેલા હુમલાથી મુસાફરોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી અને અનેક લોકો ડરના માર્યા પોતાની સીટો છોડીને અહીં-તહીં ભાગવા લાગ્યા હતા.

પથ્થરમારામાં હાઇસ્પીડ ટ્રેનના 3 કોચને નુકસાન

પાટલિપુત્ર-ગોરખપુર વંદે ભારત એક્સપ્રેસને મઝૌલિયા અને ખબરા વિસ્તાર પાસે નિશાન બનાવવામાં આવી હતી. પથ્થર લાગવાના કારણે આ હાઇસ્પીડ ટ્રેનના ત્રણ કોચની બારીઓના કાચ આંશિક રીતે તૂટી ગયા હતા. આ ઘટના બનતાની સાથે જ ડરેલા મુસાફરોએ તાત્કાલિક રેલવે પ્રશાસન અને આરપીએફ (RPF)ને જાણ કરી હતી.

વંદે ભારત બાદ અન્ય બે ટ્રેનો પર પણ હુમલો

વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની આ ઘટનાના ગણતરીના સમયમાં જ આ જ રેલવે લાઇન પરથી પસાર થઈ રહેલી ટ્રેન નંબર 15550 પટના-જયનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ અને ટ્રેન નંબર 14006 લિચ્છવી એક્સપ્રેસ પર પણ ઉપરાઉપરી પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. આ બંને ટ્રેનોના પણ અનેક કોચની બારીઓના કાચ તૂટી ગયા હોવાના અહેવાલો છે.

સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ

એક જ રેલખંડ પર માત્ર દોઢ કલાકમાં સતત ત્રણ ટ્રેનો પર પથ્થરમારાના સમાચાર મળતાં જ સોનપુર મંડળ અને રેલવે સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. આરપીએફ અને જીઆરપીની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસના ધમધમાટ શરૂ કર્યા છે. રેલવે સુરક્ષા બળના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પથ્થરમારો કરનારા તત્ત્વોને પકડવા માટે વંદે ભારત એક્સપ્રેસમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ઝીણવટપૂર્વક ખંગાળવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: દિલ્હી-ગોવામાં AAP નેતાઓના ઠેકાણે ED ત્રાટકી, બૅન્ક લોન ફ્રોડના મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી

પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રેલવે ટ્રેક નજીક રમી રહેલા બાળકોએ તોફાનમાં આ પથ્થરો ફેંક્યા હોઈ શકે છે. જોકે, રેલવે પોલીસ આમાં કોઈ અસામાજિક તત્ત્વોની સંડોવણી હોવાની શક્યતાને પણ નકારી રહી નથી. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ ઘટના માત્ર બાળકોની કોઈ શરારત હતી કે પછી કોઈ મોટા કાવતરાના ભાગરૂપે ટ્રેનોને નિશાન બનાવવામાં આવી છે.

દોષિતોને બક્ષવામાં નહીં આવે: રેલ એસપી

આ મામલે રેલવે એસપી વીણા કુમારીએ જણાવ્યું કે, વંદે ભારત એક્સપ્રેસ સહિત અન્ય ટ્રેનો પર પણ પથ્થરમારો થયો હોવાની માહિતી મળી છે. જે અંતર્ગત ગુનો નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ કેટલાક લોકો રેલવે લાઇન કિનારે ઊભા હતા અને ટ્રેન પસાર થતી વખતે તેમણે પથ્થરો ફેંક્યા હતા. રેલ એસપીએ કડક શબ્દોમાં ચેતવણી આપતાં સાફ કહ્યું છે કે, ટ્રેનો પર પથ્થરમારો કરનારા અસામાજિક તત્ત્વોને કોઈ પણ કિંમતે બક્ષવામાં આવશે નહીં અને સીસીટીવી ફૂટેજના આધારે તેમની ઓળખ કરી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.