રશિયાના વિદેશ મંત્રીએ પાકિસ્તાનને એક તરફ મુકી દીધું
લેવરૉવે કહ્યું : બ્રિક્સના અધ્યક્ષ તરીકે પણ ભારત શ્રેષ્ઠ ભૂમિકા ભજવી શકે તેમ છે : કેટલાક દેશો આરબ-ઇરાન વચ્ચે ખાઈ પહોળી કરે છે
નવી દિલ્હી: રશિયાના વિદેશ મંત્રી સર્ગી લેવરૉવે ઇરાન - અમેરિકા મંત્રણામાં ભારતને મધ્યસ્થી રાખવા અનુરોધ કર્યો હતો.
શુક્રવારે પત્રકારોને કરેલા સંબોધનમાં તેઓએ કહ્યું કે, ભારતને લાંબા સમયનો રાજદ્વારી અનુભવ છે. તેથી તે લાંબા સમયથી ચાલતા પશ્ચિમ એશિયાઇ સંઘર્ષમાં મધ્યસ્થી તરીકેની ભૂમિકા યોગ્ય રીતે નિભાવી શકે તેમ છે. આ સાથે મધ્યસ્થી થવાના પાકિસ્તાનના પ્રયત્નોને એક તરફ મુકી દેતા હોય તેમ કહ્યું હતું કે, કેટલાક દેશો તો ઇરાન અને આરબ દેશ વચ્ચે ખાઇ વધારી રહ્યા છે.
(વિશ્લેષકો કહે છે ઃ કેટલાક દેશોનો અર્થ તેવો પાકિસ્તાન જ કરી રહ્યા હતા.)
બ્રિક્સ વિદેશ મંત્રીઓની દિલ્હીમાં મળેલી બેઠક પછી પત્રકારોને કરેલા સંબોધનમાં લેવરૉવે આ પ્રમાણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ભારત આ વર્ષે બ્રિક્સ જૂથના અધ્યક્ષ પદે છે.
આ દિવસે જ નરેન્દ્ર મોદી, યુએઇના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝૈદ અલ નહયાન સાથે અબુધાબીમાં મંત્રણા કરી રહ્યા હતા, જેમાં તેઓએ પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવાના પ્રયત્નોમાં સહભાગી થવા તૈયારી દર્શાવી હતી, સાથે હોર્મુઝ સમુદ્રધુનિ મુક્ત અને ખુલ્લી રાખવી તે ભારતની સર્વ પ્રથમ પ્રાથમિકતા છે તેમ પણ કહ્યું હતું.
ઇરાન-અમેરિકા, ઇઝરાયલ યુધ્ધમાં સીઝફાયર કરવામાં પાકિસ્તાનની ભૂમિકાનો ઉલ્લેખ પણ લેવારૉવે કર્યો હતો પરંતુ સ્પષ્ટતઃ કહ્યું હતું કે જો તેઓ લાંબાગાળાના મધ્યસ્થી શોધતા હોય તો તે ભારત જ છે. તેની પાસે વ્યાપક રાજદ્વારી અનુભવ છે. આમ કહેવા સાથે તેઓએ પાકિસ્તાનને એક-તરફ મુકી દીધું હતું.


