| ફાઈલ ફોટો |
US Iran Ceasefire: વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂ-રાજનૈતિક તણાવ અને ઊર્જા પુરવઠા શૃંખલામાં આવી રહેલા અવરોધો વચ્ચે ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપી છે. આંતર-મંત્રાલય પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રએ સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં ઊર્જા સંસાધનોની કોઈ અછત નથી. એક તરફ જ્યાં કોલસો અને પેટ્રોલિયમ ઉત્પાદનોનો પુરવઠો સુચારુ રીતે ચાલી રહ્યો છે, તો બીજી તરફ વિદેશમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત વાપસી માટે વ્યાપક પગલાં લેવામાં આવી રહ્યા હોવાનો સરકાર તરફથી દાવો કરવામાં આવ્યો છે. સરકારનું આ સત્તાવાર નિવેદન અર્થતંત્ર અને બજાર માટે સકારાત્મક સંકેત છે.
કોલસાનું ઉત્પાદન અને વીજ પુરવઠો
કોલસા મંત્રાલયના સંયુક્ત સચિવ સંજીવ કુમાર કસ્સીએ દેશમાં વીજ ઉત્પાદનને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે આશ્વાસન આપ્યું હતું કે દેશની ખાણો અને વીજ પ્લાન્ટોમાં કોલસાનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, જેના કારણે ગ્રાહકોને ખૂબ જ ટૂંકા નોટિસ પર કોલસાનો પુરવઠો પૂરો પાડી શકાય તેમ છે. દેશની કુલ ઊર્જા જરૂરિયાતોનો લગભગ 70 ટકા હિસ્સો આજે પણ કોલસા આધારિત વીજળીથી પૂરો થાય છે.
24 દિવસનો કોલસાનો સ્ટોક ઉપલબ્ધ
કસ્સીએ જણાવ્યું કે વીજ ઉત્પાદન ક્ષમતામાં કોઈ ઘટાડો નથી કારણ કે કોલસાનું ઉત્પાદન તેના વપરાશના સ્તર સાથે સંપૂર્ણ તાલમેલ જાળવીને ચાલી રહ્યું છે. ભારતે ઊર્જાનો સસ્તો અને પર્યાપ્ત પુરવઠો જાળવી રાખ્યો છે અને સતત બીજા વર્ષે 1 અબજ ટન કોલસા ઉત્પાદનનો ઐતિહાસિક લક્ષ્યાંક હાંસલ કર્યો છે. કોલસા મંત્રાલયના સંયુક્ત સચિવે જણાવ્યું હતું કે ભારત પાસે વીજ ઉત્પાદનની જરૂરિયાતો માટે 24 દિવસનો કોલસાનો સ્ટોક ઉપલબ્ધ છે.
પેટ્રોલિયમ, ડીઝલ અને એલપીજીની મજબૂત સ્થિતિ
પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ (LPG) ના સ્ટોક અને પુરવઠાની વિગતવાર માહિતી આપી હતી. રિફાઇનરીઓ તેમની પૂર્ણ ક્ષમતાથી કામ કરી રહી છે અને ક્રૂડની પૂરતી ઉપલબ્ધતાને કારણે પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી.
-ઘરેલું જરૂરિયાતોને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવી રહી છે. જે અંતર્ગત ખાતરના પ્લાન્ટોને લગભગ 95 ટકા ગેસનો પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.
-LPG પુરવઠાને પ્રોત્સાહન આપવા માટે સરકારે પેટ્રોકેમિકલ્સના મર્યાદિત ઉપયોગની મંજૂરી આપીને C3 અને C4 પ્રવાહોને LPG પૂલમાં ડાયવર્ટ કરવાના કડક નિર્દેશો આપ્યા છે.
-જાગૃતિ વધારવા માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)એ આશરે 1,600 કેમ્પ લગાવ્યા છે અને લગભગ 14,000 સિલિન્ડરનું વિતરણ કર્યું છે. 23 માર્ચથી અત્યાર સુધીમાં કુલ 8.9 લાખ LPG સિલિન્ડર વેચવામાં આવ્યા છે.
-બજારમાં કાળાબજાર અને અન્ય ગેરરીતિઓ રોકવા માટે કડકાઈ વધારવામાં આવી છે. મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે લગભગ 4,000 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 56,000 સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા હતા. કંપનીઓએ 1,770 કારણદર્શક નોટિસ ફટકારી છે, 51 વિતરકોને સસ્પેન્ડ કર્યા છે અને 175 સામે કડક કાર્યવાહી કરી છે. સુજાતા શર્માએ નાગરિકોને ગભરાટથી બચવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરવા અપીલ કરી છે.
યુદ્ધવિરામનું સ્વાગત: ભારતીય વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જયસ્વાલે પશ્ચિમ એશિયાના સંકટ પર ભારતનું સત્તાવાર વલણ સ્પષ્ટ કર્યું હતું. ભારતે વૈશ્વિક ઊર્જા પુરવઠા અને વેપારને ખોરવતા આ સંઘર્ષ વચ્ચે હાલમાં થયેલા યુદ્ધવિરામનું સ્વાગત કરતા કાયમી શાંતિની આશા વ્યક્ત કરી છે. ભારત સતત કૂટનૈતિક અને સંવાદ પર ભાર આપી રહ્યું છે અને હોમુર્ઝ સ્ટ્રેટમાં અડચણ વગરના નેવિગેશનને આવશ્યક જણાવ્યું છે.
7.88 લાખ મુસાફરો સુરક્ષિત ભારત પરત ફર્યા: વિદેશ મંત્રાલય
'ભારતીય સમાજની સુરક્ષા અને કલ્યાણ સરકારની સર્વોચ્ચ અગ્રતા છે. આ માટે 24 કલાકનો કંટ્રોલ રૂમ કાર્યરત છે જે વિઝા અને લોજિસ્ટિક્સ જેવી સહાય પૂરી પાડી રહ્યો છે. 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધી ખુલ્લા હવાઈ માર્ગથી ફ્લાઈટ્સ દ્વારા આશરે 7.88 લાખ મુસાફરો સુરક્ષિત ભારત પરત ફર્યા છે. ઈરાનમાં હાજર લગભગ 7,500 ભારતીયો માટે વહેલી તકે બહાર નીકળવાની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જેમાંથી 1,864 નાગરિકોને પડોશી દેશો આર્મેનિયા અને અઝરબૈજાનના રસ્તે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.'
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામના સમાચારો વચ્ચે કેન્દ્ર સરકારના આ નિવેદનોથી સ્પષ્ટ છે કે ભારતનું પાયાનું આર્થિક માળખું અને ઊર્જા ક્ષેત્ર સંપૂર્ણપણે સુરક્ષિત છે.


