Get The App

ગુજરાતી હોય કે ગમે તે... મરાઠી આવડવી જોઈએ, ડ્રામા કરે તો કાન નીચે મારો: રાજ ઠાકરેની ધમકી

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતી હોય કે ગમે તે... મરાઠી આવડવી જોઈએ, ડ્રામા કરે તો કાન નીચે મારો: રાજ ઠાકરેની ધમકી 1 - image


Maharashtra: મહારાષ્ટ્રના રાજકારણમાં આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે. લાંબા સમયથી જે મુદ્દે અટકળો ચાલી રહી હતી, આજે તે હકીકત બની છે. લગભગ 20 વર્ષ બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે આજે એક સાથે મંચ પર જોવા મળ્યા છે, એ પણ પરિવારની સાથે. બંને ભાઈ વર્લીમાં મરાઠી વિજય દિવસ ઉજવવાના નામ પર સ્ટેજ શેર કરી રહ્યા છે. રાજ ઠાકરે તેમની પત્ની શર્મિલા અને પુત્ર અમિત ઠાકરે અને પુત્રી ઉર્વશી સાથે આ મુલાકાત માટે પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરે પણ તેમના પરિવાર સાથે પહોંચ્યા હતા, જેમાં તેમની પત્ની રશ્મિ અને પુત્રો આદિત્ય અને તેજસનો સમાવેશ થતો હતો. પરંતુ, હવે સવાલ થઈ રહ્યા છે કે, આ બંને ભાઈઓનું સાથે આવવું શું કોઈ મોટો બદલાવ લાવી શકે છે? 

ડ્રામા કરશે તો કાનની નીચે મારવી પડશે: રાજ ઠાકરે


શું બોલ્યા ઠાકરે? 

આ દરમિયાન, રાજ ઠાકરેએ કહ્યું, "મેં મારા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારું મહારાષ્ટ્ર કોઈપણ રાજકારણ અને લડાઈ કરતાં મોટું છે. આજે 20 વર્ષ પછી, હું અને ઉદ્ધવ સાથે આવ્યા છીએ, જે બાળાસાહેબ ન કરી શક્યા, તે દેવેન્દ્ર ફડણવીસે કર્યું. અમને બંનેને સાથે લાવવાનું કામ."

આ પણ વાંચોઃ 'મારી વાત લખી લો, ટ્રમ્પની ટેરિફની ડેડલાઈન સામે..' રાહુલ ગાંધીએ મોદી સરકાર પર તાક્યું નિશાન

હિન્દી થોપવા નહીં દઈએઃ રાજ ઠાકરે

વધુ વાત કરતાં રાજ ઠાકરેએ કહ્યું કે, 'અમારા બાળકો ઇંગ્લિશ મીડિયમમાં જાય છે તો મરાઠી પર સવાલ ઊભા થાય છે. અમે હિન્દી થોપવાનું સહન નહીં કરીએ. આ લોકો મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા ઇચ્છે છે, આ જ તેમનો એજન્ડા છે. પરંતુ, તેઓ આવું કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેમને મરાઠી માનુસની તાકાત સમજ આવશે. તેઓ મુદ્દાને ભટકાવવાનો પ્રયાસ કરે છે. હવે તેઓ કહી રહ્યા છે કે, ઠાકરેના બાળકો અંગ્રેજીમાં ભણે છે, શું બકવાસ છે? અનેક ભાજપ નેતાઓના બાળકો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે. પરંતુ, કોઈને તેમના હિન્દુત્વ પર શંકા છે? આ ત્રિભાષા સૂત્ર ક્યાંથી લઈને આવ્યા? નાના-નાના બાળકો સાથે જબરદસ્તી કરશો? 

ગુજરાતી છે એવું માથે થોડું લખ્યું છે, કોઈ નાટક કરશે તો કાનની નીચે મારીશું: રાજ ઠાકરે

રાજ ઠાકરેએ કહ્યું, કે 'તમારી પાસે વિધાનસભામાં સત્તા હશે, અમારી પાસે રસ્તા પર સત્તા છે. જે બાળાસાહેબ ન કરી શક્યા એ ફડણવીસે કરી બતાવ્યું, અમને બે ભાઈઓને એક કર્યા. અમે 125 વર્ષ સુધી મરાઠાઓએ રાજ કર્યું, અમે કોઈના પર મરાઠી થોપવાનો પ્રયાસ નથી કર્યો. મીરા રોડ પર એક શખ્સે ગુજરાતીને થપ્પડ મારી, પણ શું કોઈના માથે લખ્યું છે કે તે ગુજરાતી છે? હજુ તો અમે કશું કર્યું પણ નથી! કારણ વગર મારામારીની જરૂર નથી પણ કોઈ નાટક કરશે તો કાનની નીચે બજાવવી જ પડશે. હવે ધ્યાન રાખજો, આવું કશું કરો ને ત્યારે વીડિયો ન બનાવતા, સમજી ગયા ને? આ લોકો મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માંગે છે.'


અમે ગુંડા છીએઃ ઉદ્ધવ ઠાકરે

આ સભામાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અમે સાથે રહેવા માટે સાથે આવ્યા છીએ. તેમણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, 'તેમણે ઉપયોગ કરીને ફેંકી દેવાની નીતિ શરુ કરી છે, તેથી હવે તેઓ તમને બહાર કાઢી દેશે. તમે બધાની શાળાઓ શોધી રહ્યા છો. મોદી કઈ શાળામાં જાય છે? હિન્દુત્વ એકાધિકાર નથી. અમે મૂળથી હિન્દુ છીએ. તમારે અમને હિન્દુ ધર્મ શીખવાડવાની જરૂર નથી. મુંબઈમાં 92ના રમખાણોમાં મારાઠી લોકોએ જ હિન્દુઓને બચાવ્યા હતા. ફડણવીસે કહ્યું કે, ગુંડાગીરી સહન નહીં કરીએ, પરંતુ જો પોતાની ભાષા માટે લડવું ગુંડાગીરી છે, તો અમે ગુંડા છીએ. 

મહારાષ્ટ્રના ઉદ્યોગો ગુજરાત મોકલી દેવાયા, હા અમે ગુંડા જ છીએ: ઉદ્ધવ ઠાકરે 

ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનમાં કહ્યું, કે 'અમે બે ભાઈઓ સાથે રહેવા માટે જ આજે એક થયા છીએ. ફડણવીસ કહે છે કે ગુંડાગીરી સાંખી નહીં લેવાય. પણ જો પોતાની ભાષા માટે લડવું એ ગુંડાગીરી છે, તો હા અમે ગુંડા છીએ. અમને હિન્દુ અને હિન્દુસ્તાન મંજૂર છે પણ હિન્દી નહીં. હિન્દી થોપવાનો પ્રયાસ સાંખી નહીં લેવાય. તમારી સાત પેઢી ખતમ થઈ જશે પણ અમે આવું થવા નહીં દઈએ. એક ગદ્દાર ગઈકાલે બોલ્યો કે 'જય ગુજરાત'. મહારાષ્ટ્ર આવતા તમામ ઉદ્યોગ ધંધા ગુજરાત મોકલી દેવાયા. આ લોકોએ ગુજરાતમાં પટેલોને ભડકાવ્યા, હરિયાણામાં જાટને ભડકાવ્યા અને સત્તા પ્રાપ્ત કરી.


તમારી સાત પેઢી ખતમ થઈ જશે...

મહાયુતિ ગઠબંધન પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, 'હવે આ લોકો પૂછી રહ્યા છે કે, શું અમે મરાઠી નથી? હવે આ પુરવાર કરવા માટે લોહીનું પરીક્ષણ કરાવવું પડશે કે તમે મરાઠી છો કે નહીં? પહેલા રાજકારણીઓ નહતા ઇચ્છતા કે, મહારાષ્ટ્રમાં મરાઠી હોય. હવે કેન્દ્ર સરકાર ઇચ્છે છે હિન્દી, હિન્દુ, હિન્દુસ્તાન. અમને હિન્દુ અને હિન્દુસ્તાન તો મંજૂર છે, પરંતુ હિન્દી નહીં. હિન્દી થોપવાનું બંધ કરો. તમારી સાત પેઢી ખતમ થઈ જશે પરંતુ અમે આ થવા નહીં દઈએ. અમે હનુમાન ચાલીસા, જય શ્રી રામના વિરોધી નથી, પરંતુ તમને મરાઠીથી શું તકલીફ છે? 

સંજય રાઉતનું નિવેદન

રેલીને લઈને શિવસેના (યુબીટી) સાંસદ સંજય રાઉતે કહ્યું કે, 'આ મહારાષ્ટ્રમાં આપણાં બધા માટે તહેવારની જેમ છે, ઠાકરે પરિવારના બે પ્રમુખ નેતા, જે પોતાની રાજકીય વિચારધારાઓના કારણે અલગ થયા હતા, તે હવે 20 વર્ષ બાદ એક સાથે આવી રહ્યા છે. અમારી હંમેશાથી એ ઇચ્છા રહી છે કે, આપણે એવા લોકો સાથે લડવું જોઈએ જે મહારાષ્ટ્રના લોકોની વિરુદ્ધમાં છે. આજે એકસાથે ઉદ્ધવ અને રાજ ઠાકરે નિશ્ચિંત રૂપે મરાઠી માનુસને દિશા આપશે.'

આ પણ વાંચોઃ વક્ફની સંપત્તિઓ અંગે કેન્દ્ર સરકારનો નવો નિયમ, હવે કબજો કરવો થશે મુશ્કેલ, 'પાઈ-પાઈ'નો હિસાબ મળશે

અનેક દિગ્ગજ થયા સામેલ 

આ રેલીને 'મરાઠી એકતાની જીત'ના રૂપે ઉજવવામાં આવી રહી છે અને તેમાં સાહિત્યકાર, શિક્ષક, કલાકાર, કવિ, પત્રકાર અને મરાઠી પ્રેમી મોટી સંખ્યામાં સામેલ થયા. વર્લી ડોમમાં 7000-8000 લોકોની બેસવાની વ્યવસ્થા છે. આ રેલીના માધ્યમથી ઠાકરે બંધુ એ સંદેશ પણ આપવા ઇચ્છે છે કે, મરાઠી સ્વાભિમાન અને ભાષા માટે હવે રાજકીય મતભેદોથી ઉપર ઉઠવાની જરૂર છે. જોકે, આ મંચ પર શરદ પવાર અને કોંગ્રેસ નેતા હર્ષવર્ધન સપકાલની ગેરહાજરી પણ ચર્ચાનો વિષય છે. મનસે તરફથી નિમંત્રણ મોકલવામાં આવ્યું છે, પરંતુ તે રેલીમાં સામેલ નથી થઈ રહ્યા. 

ભાજપ સાંસદ નારાયણ રાણે અને શિવસેના(શિંદે જૂથ)ના રામદાસ કદમે આ એકજૂટતાને આગામી BMC ચૂંટણીમાં સુસંગતતા જાળવી રાખવા માટે એક યુક્તિ ગણાવી છે. તે જ સમયે, મનસે નેતા પ્રકાશ મહાજને આશા વ્યક્ત કરી કે આ પ્લેટફોર્મ મરાઠી સમાજની એકતા અને સન્માનનું પ્રતીક બનશે.

હવે પ્રશ્ન એ છે કે, શું ઠાકરે બંધુઓનું આ 'મરાઠી ગઠબંધન' ફક્ત મંચ સુધી સીમિત રહેશે અથવા આગળ વધીને રાજકીય સમીકરણોમાં પણ મોટો બદલાવ લાવશે? શું આ મુંબઈના રાજકારણમાં મરાઠી ઓળખના પુનર્જાગરણનો સંકેત છે? 


Tags :