ટ્વિશા શર્મા કેસ: પૂર્વ જજ ગિરીબાલા સિંહના જામીન રદ, CBI- તેમણે પુત્રવધૂના ચારિત્ર્ય પર ડાઘ લગાડ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Twisha Sharma Death: મધ્ય પ્રદેશના હાઇકોર્ટમાં અભિનેત્રી અને મોડેલ ટ્વિશા શર્માના રહસ્યમય મોત મામલે એક મોટો વળાંક આવ્યો છે. આ કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ બુધવારે હાઇકોર્ટમાં પૂર્વ જજ ગિરીબાલા સિંહની આગોતરા જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો. CBIએ આક્ષેપ કર્યો છે કે પૂર્વ જજે 33 વર્ષની ટ્વિશાની છબી ખરડાવવા માટે કોઈ કસર બાકી રાખી ન હતી, તેથી સત્ય બહાર લાવવા માટે તેમની કસ્ટડીમાં પૂછપરછ કરવી ખૂબ જ જરૂરી છે.
હાઇકોર્ટે પૂર્વ જજ ગિરીબાલા સિંહના આગોતરા જામીન રદ કર્યા
CBI અને ટ્વિશાના પરિવારની દલીલો સાંભળ્યા બાદ મધ્ય પ્રદેશ હાઇકોર્ટના વેકેશન જજ દેવનરાયણ મિશ્રાએ એક મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે ભોપાલની સેશન્સ કોર્ટ દ્વારા ગત 15 મેના રોજ પૂર્વ જજ ગિરીબાલા સિંહને અપાયેલા આગોતરા જામીન સદંતર રદ કરી દીધા છે. હાઇકોર્ટના આ નિર્ણયને આવકારતા ટ્વિશાના પરિવારના સિનિયર એડવોકેટ અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું કે, 'છેવટે ટ્વિશાને ન્યાય મળ્યો છે. ગિરીબાલા સિંહે ન્યાયતંત્રમાં 36 વર્ષ સુધી સેવા આપી છે, તેથી તેમણે હવે ગરિમાપૂર્વક CBI સમક્ષ આત્મસમર્પણ કરી દેવું જોઈએ અને તપાસમાં પૂરો સહકાર આપવો જોઈએ.
ટ્વિશાના શરીર પરના ઈજાના નિશાનો અંગે સાસરીયાઓ મૌન
CBIએ હાઇકોર્ટ સમક્ષ પોસ્ટમોર્ટમ રિપોર્ટ રજૂ કરતા જણાવ્યું કે, ટ્વિશાના કાંડા અને કોણી પર ઈજાના ગંભીર નિશાનો હતા. મેડિકલ રિપોર્ટમાં પણ સ્પષ્ટ થયું છે કે, ફાંસો ખાધા બાદ મૃતદેહને નીચે ઉતારતી વખતે આ પ્રકારની ઈજાઓ થઈ જ ન શકે. આ ઈજાઓ આખરે કેવી રીતે થઈ, તેનો ટ્વિશાના સાસરીયાઓ પાસે કોઈ જવાબ નથી. આ સાથે જ તપાસ એજન્સીએ પૂર્વ જજ ગિરીબાલા સિંહ પર દહેજ માટે ત્રાસ આપવા, કેસના પુરાવાઓ સાથે છેડછાડ કરવા અને ટ્વિશાનો બળજબરીથી ગર્ભપાત કરાવવાના ગંભીર આરોપો પણ લગાવ્યા છે.
વૉટ્સએપ ચેટ્સથી ખુલાસો: ચારિત્ર્ય પર શંકા કરી કરાવાયો ગર્ભપાત
તપાસ દરમિયાન રિકવર કરવામાં આવેલી વૉટ્સએપ ચેટ્સ પરથી એક ચોંકાવનારો ખુલાસો થયો છે. CBIના જણાવ્યા અનુસાર, જ્યારે ટ્વિશા ગર્ભવતી બની ત્યારે તેના પતિ સમર્થ સિંહ અને સાસુ ગિરીબાલા સિંહે તેના ચારિત્ર્ય પર શંકા કરી હતી. બાળક અન્ય કોઈ વ્યક્તિનું હોવાના ગંભીર આક્ષેપો કરીને ટ્વિશાને બળજબરીથી ગર્ભપાત કરાવવાની ફરજ પાડવામાં આવી હતી. આ ઉપરાંત, સાક્ષીઓના નિવેદનો પરથી સાબિત થયું છે કે લગ્નમાં અપાયેલું દહેજ તેમના 'સ્ટાન્ડર્ડ' મુજબનું ન હોવાનું કહીને અવારનવાર વધુ દહેજની માંગણી કરવામાં આવતી હતી.
સોશિયલ મીડિયા પર ફેક નેરેટિવ સેટ કરવા પુરાવા સાથે છેડછાડ
કેન્દ્રીય એજન્સીએ પૂર્વ જજ ગિરીબાલા સિંહ પર કેસની તપાસને ભટકાવવાનો અને પુરાવા સાથે છેડછાડ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. CBIના મતે, ગિરીબાલા સિંહે સોશિયલ મીડિયા પર એક અધૂરી અને સિલેક્ટિવ વીડિયો ક્લિપ વાઇરલ કરી હતી, જેથી સમાજમાં અને કોર્ટમાં કેસ અંગે એક ખોટો નેરેટિવ ઊભો કરી શકાય અને પોતાના બચાવ માટે માહોલ બનાવી શકાય.
પતિ સમર્થ સિંહ CBI કસ્ટડીમાં, તપાસ તેજ
આ પહેલા બુધવારે ભોપાલની સ્થાનિક કોર્ટે ટ્વિશાના પતિ સમર્થ સિંહને CBI કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. કસ્ટડી મળતાની સાથે જ CBIની એક સ્પેશિયલ ટીમ સમર્થને લઈને કટારા હિલ્સ વિસ્તારમાં આવેલા ગિરીબાલા સિંહના નિવાસસ્થાને તપાસ માટે પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ મોડેલ અને અભિનેત્રી ટ્વિશા શર્મા ગત 12 મેના રોજ ભોપાલમાં તેના સાસરીના ઘરમાં શંકાસ્પદ હાલતમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. મધ્ય પ્રદેશ પોલીસ પાસેથી આ કેસ હાથમાં લીધા બાદ CBIએ સોમવારે જ આ મામલે ફરીથી FIR નોંધીને તપાસ તેજ કરી દીધી છે.









