Get The App

કર્ણાટકના CM સિદ્ધારમૈયાનું રાજીનામું: હવે ડી. કે. શિવકુમારને કમાન સોંપવા નામ પ્રસ્તાવિત

Updated: May 28th, 2026

GS TEAM

Google News
Google News
કર્ણાટકના CM સિદ્ધારમૈયાનું રાજીનામું: હવે ડી. કે. શિવકુમારને કમાન સોંપવા નામ પ્રસ્તાવિત 1 - image

Siddaramaiah Resigns: કર્ણાટકના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આજે પોતાના પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે, જ્યારે તેમના સ્થાને હવે ડી.કે. શિવકુમાર કર્ણાટકના નવા મુખ્યમંત્રી બનશે. સિદ્ધારમૈયાએ આજે સવારે પોતાના નિવાસસ્થાને કેબિનેટ મંત્રીઓ સાથે બ્રેકફાસ્ટ મીટિંગ યોજીને સરકારના ત્રણ વર્ષના કામકાજનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો હતો અને તમામ સહયોગીઓનો આભાર માનીને રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી હતી. તેમણે આગામી મુખ્યમંત્રી તરીકે ડી.કે. શિવકુમારના નામનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. સિદ્ધારમૈયા આજે બપોરે 3 વાગ્યે રાજભવન (લોકભવન) પહોંચીને પોતાનું રાજીનામું સોંપશે.

શિવકુમારે સીએમના પગે લાગીને લીધા આશીર્વાદ

આ બેઠક નિર્ધારિત સમય કરતાં એક કલાક મોડી શરૂ થઈ હતી. ડેપ્યુટી સીએમ ડી. કે. શિવકુમાર દિલ્હીથી સીધા જ એરપોર્ટથી સીએમ આવાસ પહોંચ્યા હતા. સીએમ હાઉસમાં સિદ્ધારામૈયા અને ડી.કે. શિવકુમારે એકબીજાને ગળે લગાવીને પાર્ટીમાં એકતાનો મોટો સંદેશ આપ્યો હતો. આ દરમિયાન શિવકુમારે સિદ્ધારામૈયાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ પણ લીધા હતા. બેઠકમાં સંતોષ લાડ, બી. સુરેશ, એમ.બી. પાટીલ અને રામલિંગા રેડ્ડી સહિતના તમામ દિગ્ગજ મંત્રીઓ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લંબાશે ઉનાળુ વેકેશન? શાળા સંચાલકોની સરકારને ખાસ માંગણી!

રાજ્યપાલ બેંગલુરુમાં નથી, તો રાજીનામું કેવી રીતે મંજૂર થશે?

સિદ્ધારામૈયા સવારે 11 વાગ્યે રાજભવન જઈને રાજીનામું સોંપવાના હતા, પરંતુ આ દરમિયાન એક નવો વળાંક આવ્યો છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પરિવારમાં મેડિકલ ઈમરજન્સીના કારણે અચાનક બેંગલુરુ છોડીને ઈન્દોર રવાના થઈ ગયા છે. રાજ્યપાલની ગેરહાજરીને કારણે થોડીવાર માટે અસમંજસ ઊભી થઈ હતી કે રાજીનામું કોણ સ્વીકારશે?

સીએમઓ (CMO) એ સ્થિતિ સ્પષ્ટ કરી

કર્ણાટક મુખ્યમંત્રી કાર્યાલય (CMO) એ સત્તાવાર પુષ્ટિ કરી છે કે, "મુખ્યમંત્રી સિદ્ધારામૈયા આજે જ પોતાના પદ પરથી રાજીનામું આપશે. જો રાજ્યપાલ બેંગલુરુમાં ઉપલબ્ધ નહીં હોય, તો પણ મુખ્યમંત્રીનું રાજીનામું સીધું જ રાજ્યપાલના કાર્યાલય (રાજભવનના વિશેષ સચિવ) ને સોંપી દેવામાં આવશે." કોંગ્રેસ હાઈકમાન્ડના આદેશ બાદ હવે સિદ્ધારામૈયા દિલ્હી જશે અને આગામી સમયમાં રાજ્યસભાના સાંસદ બને તેવી પૂરેપૂરી સંભાવના છે. જ્યારે શુક્રવારે મળનારી વિધાનસભ્ય પક્ષની બેઠકમાં નવા મુખ્યમંત્રી તરીકે ડી.કે. શિવકુમારના નામની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.