Turkey's Company Celebi Loss After India Crackdown : ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાનની તરફેણ કરવી તુર્કેઈની સેલેબી એવિએશન કંપનીએ ભારે પડી છે. આ કંપનીને એક વર્ષ પહેલા ભારતમાંથી હાંકી કાઢવામાં આવી હતી, ત્યારે આ કારણે કેટલા કરોડનું નુકસાન થયું છે, તેની જાહેરાત કરી છે.
ભારતના નિર્ણયથી તુર્કેઈની કંપનીને 4300 કરોડનો ફટકો
કંપનીનો દાવો છે કે ભારત સરકારની કાર્યવાહીના કારણે તેને એક જ દિવસમાં અબજો રૂપિયાનો ઝટકો પડ્યો હતો અને તેની 500 મિલિયન ડોલર (4,300 કરોડ રૂપિયા)ની વેલ્યુ ખતમ થઈ ગઈ છે. બ્લૂમબર્ગને આપેલા ઈન્ટરવ્યુમાં કંપનીની ચેરપર્સન કેનન સેલેબિઓગ્લુએ જણાવ્યું કે, ભારતમાં વર્ષ 2000 થી ખૂબ મહેનત સાથે ઊભો કરેલો બે દાયકાનો બિઝનેસ એક જ દિવસમાં ખતમ થઈ ગયો.
ઓપરેશન સિંદૂર વખતે આતંકીસ્તાન પાકિસ્તાનને તુર્કેઈએ આપ્યો સાથ
પહલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતે 6 મેના રોજ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી ઠેકાણાઓ પર જડબાતોડ હુમલા કર્યા હતા, જેને 'ઓપરેશન સિંદૂર' નામ અપાયું હતું. આ 4 દિવસીય સૈન્ય સંઘર્ષ દરમિયાન તુર્કેઈએ ખુલ્લેઆમ પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું અને તેને 350થી વધુ ડ્રોન, સૈન્ય સહયોગ, વાયુસેનાનું C-130 વિમાન તથા યુદ્ધ જહાજો મોકલ્યા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું કે, આ ઓપરેશન દરમિયાન તુર્કેઈના બે સૈન્ય ઓપરેટિવ્સ પણ માર્યા ગયા હતા.
આ પણ વાંચો : VIDEO : 16 મહિના બાદ G7માં PM મોદી-ટ્રમ્પ વચ્ચે મુલાકાત, આવતીકાલે ફરી કરશે વાટાઘાટો
મે-2025માં તુર્કેઈની કંપની સામે કડક કાર્યવાહી
રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મે 2025માં સેલેબીની ભારતીય બ્રાન્ચનું સિક્યોરિટી ક્લીયરન્સ તાત્કાલિક અસરથી રદ કરી દીધું હતું. સિક્યોરિટી ક્લીયરન્સ રદ થતાં જ સરકારે કંપનીના તમામ ઓપરેશન્સ રોકી દીધા, સાધનો જપ્ત કર્યા અને તેના આશરે 10 હજાર કર્મચારીઓને બીજા ઓપરેટર્સ પાસે ટ્રાન્સફર કરી દીધા, જેનાથી કંપની વિખરાઈ ગઈ હતી.
સેલેબીનું ભારતમાં વિશાળ નેટવર્ક
આ કડક કાર્યવાહી પહેલા સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઈન્ડિયા દેશની સૌથી મોટી ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપનીઓમાં સામેલ હતી. તે દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ સહિત 9 મોટા એરપોર્ટ હબ પર કાર્યરત હતી. કંપની દર વર્ષે આશરે 58 હજાર ફ્લાઈટ્સ અને 5.40 લાખ ટન કાર્ગોનું સંચાલન કરતી હતી. તેના હસ્તક એરપોર્ટ ગ્રાઉન્ડ હેન્ડલિંગ, કાર્ગો સર્વિસ, કાર્ગો સિક્યોરિટી ચેક, પેસેન્જર ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને લોજિસ્ટિક્સ કોઓર્ડિનેશન જેવી એરપોર્ટના સૌથી સંવેદનશીલ અને હાઈ-સિક્યોરિટી ઝોનની જવાબદારીઓ હતી.
દિલ્હી હાઈકોર્ટે પણ ફગાવી અરજી
સેલેબી કંપનીએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કંપનીએ દાવો કર્યો હતો કે, તેનો તુર્કેઈ સરકાર સાથે કોઈ સીધો સંબંધ નથી અને રાષ્ટ્રપ્રમુખ એર્દોગન (Recep Tayyip Erdogan)ના પરિવારની હિસ્સેદારીના આરોપો પાયાવિહોણા છે. જો કે, દિલ્હી હાઈકોર્ટે રાષ્ટ્રીય સુરક્ષાને સર્વોપરી ગણાવીને કંપનીની અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, આવા મામલામાં અફસોસ કરવા કરતાં સુરક્ષિત રહેવું વધુ સારું છે.


