India

કર્ણાટકમાં નદીમાં ડૂબતી બાળકીનો જીવ બચી ગયો, પણ તેને બચાવવા કૂદેલા 5 યુવકોના મોત

By GS Team
31 May 20262 mins read
TukuTouch Logo
કર્ણાટકના મંત્રાલયમ વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક અને માતમી સમાચાર સામે આવ્યા છે. અહીં વહેતી તુંગભદ્રા નદીના કિનારે શનિવારે સાંજે આશરે સાડા ચાર વાગ્યે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નદીના તેજ પ્રવાહમાં વહી રહેલી એક સગીર બાળકીને બચાવવાના ચક્કરમાં પાંચ લોકોએ પોતાની જાન ગુમાવવી પડી છે. જે બાળકી માટે આ લોકોએ પોતાના જીવની બાજી લગાવી હતી તે તો સુરક્ષિત બહાર આવી ગઈ છે, પરંતુ આ બહાદુર યુવકો નદીના ઊંડા પાણી અને તેજ પ્રવાહનો શિકાર બની ગયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કર્ણાટકમાં નદીમાં ડૂબતી બાળકીનો જીવ બચી ગયો, પણ તેને બચાવવા કૂદેલા 5 યુવકોના મોત

Tragic Incident in Karnataka: કર્ણાટકના મંત્રાલયમ વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક અને માતમી સમાચાર સામે આવ્યા છે. અહીં વહેતી તુંગભદ્રા નદીના કિનારે શનિવારે સાંજે આશરે સાડા ચાર વાગ્યે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નદીના તેજ પ્રવાહમાં વહી રહેલી એક સગીર બાળકીને બચાવવાના ચક્કરમાં પાંચ લોકોએ પોતાની જાન ગુમાવવી પડી છે. જે બાળકી માટે આ લોકોએ પોતાના જીવની બાજી લગાવી હતી તે તો સુરક્ષિત બહાર આવી ગઈ છે, પરંતુ આ બહાદુર યુવકો નદીના ઊંડા પાણી અને તેજ પ્રવાહનો શિકાર બની ગયા છે.

પગ ધોતી વખતે સગીરા નદીમાં લપસી પડી

મળતી માહિતી અનુસાર, શનિવારે સાંજે તુંગભદ્રા નદીના કિનારે લોકોની અવરજવર હતી. આ દરમિયાન એક સગીર વયની બાળકી નદીના કિનારે પોતાના પગ ધોઈ રહી હતી. અચાનક તેનું સંતુલન બગડતાં તે લપસીને નદીના ઊંડા પાણીમાં પડી ગઈ હતી અને જોતજોતામાં નદીના તેજ પ્રવાહમાં વહેવા લાગી હતી. બાળકીને ડૂબતી જોઈને કિનારે હાજર લોકોમાં ભારે અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી.

બાળકી બચી ગઈ, પણ બચાવવા ગયેલા પાંચેય યુવકો ડૂબ્યા

બાળકીનો જીવ જોખમમાં જોઈને ત્યાં હાજર લોકો પાસે વિચારવાનો બિલકુલ સમય નહોતો. તેને બચાવવા માટે પહેલા એક વ્યક્તિએ નદીમાં છલાંગ લગાવી હતી. ત્યારબાદ તેને સહકાર આપવા અને બાળકીને ખેંચવા માટે બીજો, ત્રીજો એમ જોતજોતામાં કુલ પાંચ લોકો નદીના ધસમસતા પ્રવાહમાં કૂદી પડ્યા હતા. આ લોકોની ભારે જહેમત બાદ બાળકીને તો સહીસલામત નદીમાંથી બહાર કાઢી લેવામાં આવી હતી, પરંતુ નદીનો તેજ પ્રવાહ આ પાંચેય લોકો પર ભારે પડી ગયો હતો. નદીના ઊંડાણ અને જોરદાર કરંટમાં ફસાઈ જવાને કારણે પાંચેય જણા પાણીમાં લાપતા થઈ ગયા હતા.

SDRF ની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ

આ ઘટનાની જાણ વાયુવેગે પંથકમાં ફેલાઈ જતાં આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં નદી કિનારે ઉમટી પડ્યા હતા અને પીડિત પરિવારોમાં ભારે ચીસાચીસ અને રૂદન મચી ગયું હતું. સ્થાનિક પોલીસે જણાવ્યું કે મૃતક યુવકો નજીકના ગામના જ રહેવાસી હતા. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તાત્કાલિક અસરથી એસડીઆરએફ (SDRF) ની ટીમોને બોલાવીને નદીમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

તંત્રની લોકોને ખાસ અપીલ

તુંગભદ્રા નદીમાં હાલમાં રહેલા પાણીના ઊંચા સ્તર અને તેજ પ્રવાહને જોતા સ્થાનિક વહીવટી તંત્રે લોકોને નદી, નહેરો અને જળાશયોના કિનારે જતા સમયે વિશેષ સાવધાની રાખવા અપીલ કરી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે નદી કિનારે જતા સમયે ભારે સતર્કતા રાખવી જરૂરી છે અને ખાસ કરીને બાળકોને ક્યારેય પણ જળાશયોની નજીક એકલા ન જવા દેવા જોઈએ.