TMC Split: Ritabrata Banerjee Claims 50 MLA Support | પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસમાં સર્જાયેલી આંતરિક તિરાડ હવે મહારાષ્ટ્રના રાજકીય મોડેલ તરફ આગળ વધી રહી છે. પાર્ટીમાંથી હાંકી કઢાયેલા ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીએ વિધાનસભામાં 50થી વધુ ધારાસભ્યોના સમર્થનનો દાવો કરીને રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે.
શું મહારાષ્ટ્ર જેવું પુનરાવર્તન થશે?
જો ઋતબ્રત બેનર્જીનો આ દાવો સાચો પડે, તો TMCમાં બે ફાડિયા પડવા નિશ્ચિત છે. મહારાષ્ટ્રમાં જે રીતે એકનાથ શિંદે અને અજિત પવારના જૂથે પોતપોતાની પાર્ટીનું નામ અને પ્રતીક મેળવવા માટે કાનૂની જંગ લડ્યો હતો, તેવી જ સ્થિતિ હવે બંગાળમાં જોવા મળી શકે છે. જો તેમની પાસે ખરેખર 50થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોય, તો તે બંધારણની દસમી અનુસૂચિ (પક્ષપલટા વિરોધી કાયદો) હેઠળ નિર્ધારિત 2/3 બહુમતીના આંકડાને પણ પાર કરી શકે છે, જે કાનૂની રીતે તેમને સુરક્ષિત કરી શકે છે.
મમતા બેનર્જીના નેતાઓએ ધારાસભ્યોની ખોટી સહી કરી હોવાનો આરોપ
આ વિવાદની શરૂઆત 6 મેના રોજ થઈ હતી, જ્યારે ઋતબ્રત બેનર્જી અને સંદીપન સાહાએ આરોપ લગાવ્યો હતો કે પાર્ટીના ઠરાવ દસ્તાવેજ પર નેતા વિપક્ષ અને અન્ય હોદ્દેદારોના નામ નક્કી કરવા માટે તેમની સહીઓ બનાવટી રીતે કરવામાં આવી હતી. આ આક્ષેપ બાદ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
અભિષેક બેનર્જી વિરુદ્ધ ભારે નારાજગી હોવાના સંકેત
પાર્ટીની અંદરનો મુખ્ય વિવાદ અભિષેક બેનર્જીની નેતાગીરી અને પક્ષમાં IPACની વધતી દખલગીરીને લઈને છે. સોમવારે ધારાસભ્ય કુણાલ ઘોષે આરોપ લગાવ્યો હતો કે આ બળવાખોર નેતાઓ પાર્ટી તોડવાનું કાવતરું ઘડી રહ્યા છે, જ્યારે બીજી તરફ ઋતબ્રત બેનર્જી અને સાહા MLA હોસ્ટેલમાં અનેક ધારાસભ્યો સાથે મુલાકાત કરીને પોતાની તાકાત વધારી રહ્યા છે.
હું તૃણમૂલમાં જ છું, અભિષેક બેનર્જીની કોઈ હેસિયત નથી: ઋતબ્રત બેનર્જી
ઋતબ્રત બેનર્જીએ ગઈકાલે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, પક્ષે મને કાઢી મૂક્યો છે પણ હું માનું છું કે હું હજુ TMCમાં જ છું અને વિધાનસભામાં અભિષેક બેનર્જીની કોઈ હેસિયત નથી.
પ. બંગાળ વિધાનસભામાં બેઠકોનું ગણિત શું કહે છે?
વિધાનસભામાં તૃણમૂલ કોંગ્રેસના કુલ 80 ધારાસભ્યો છે. નવા જૂથને માન્યતા મેળવવા માટે બંધારણીય રીતે 52 ધારાસભ્યોની જરૂર છે. રિજુ દત્તાએ પણ સ્વીકાર્યું છે કે ઋતબ્રત બેનર્જી સાથે 59 ધારાસભ્યો છે. જો આ આંકડો સાચો સાબિત થાય, તો પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ આ જૂથ સુરક્ષિત ગણાશે અને તેઓ પાર્ટીના નામ તથા સિમ્બોલ પર પોતાનો દાવો મજબૂત કરી શકશે.
કલ્યાણ બેનર્જીનો પલટવાર
બીજી તરફ, મમતા બેનર્જીની નજીક ગણાતા સાંસદ કલ્યાણ બેનર્જીએ વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને સોભનદેવ ચટ્ટોપાધ્યાયને નેતા વિપક્ષ બનાવવાની માગ કરી છે. તેમણે આશિમા પાત્રા અને નયના બંદોપાધ્યાયને ડેપ્યુટી લીડર તથા ફરીહાદ હાકિમને ચીફ વ્હીપ બનાવવાની ભલામણ કરી છે.


