India

પ. બંગાળમાં પરાજય બાદ TMCમાં ભડકો: કાકોલી ઘોષે લોકસભા સ્પીકરને પત્ર લખી કલ્યાણ બેનર્જી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

By GS Team
28 May 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળની સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં ચાલી રહેલો આંતરિક વિવાદ હવે જાહેરમાં આવી ગયો છે. લોકસભામાં પક્ષના ચીફ વ્હીપ પદ પરથી હટાવવામાં આવ્યા બાદ નારાજ થયેલા વરિષ્ઠ નેતા કાકોલી ઘોષ દસ્તીદારે લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે ટીએમસી સાંસદ અને નવા ચીફ વ્હીપ કલ્યાણ બેનરજી સામે ગંભીર આક્ષેપો કરીને તેમની વિરુદ્ધ ઔપચારિક ફરિયાદ નોંધાવવાની મંજૂરી માંગી છે, જેનાથી બંગાળના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ. બંગાળમાં પરાજય બાદ TMCમાં ભડકો: કાકોલી ઘોષે લોકસભા સ્પીકરને પત્ર લખી કલ્યાણ બેનર્જી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
(IMAGE - IANS)

Kakoli Ghosh Dastidar accuses Party MP Kalyan Banerjee: પશ્ચિમ બંગાળની સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ(TMC)માં ચાલી રહેલો આંતરિક વિવાદ હવે જાહેરમાં આવી ગયો છે. લોકસભામાં પક્ષના ચીફ વ્હીપ પદ પરથી હટાવવામાં આવ્યા બાદ નારાજ થયેલા વરિષ્ઠ નેતા કાકોલી ઘોષ દસ્તીદારે લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે ટીએમસી સાંસદ અને નવા ચીફ વ્હીપ કલ્યાણ બેનર્જી સામે ગંભીર આક્ષેપો કરીને તેમની વિરુદ્ધ ઔપચારિક ફરિયાદ નોંધાવવાની મંજૂરી માંગી છે, જેનાથી બંગાળના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

કલ્યાણ બેનર્જી પર દુર્વ્યવહાર અને અપમાનજનક ભાષાનો આક્ષેપ

કાકોલી ઘોષ દસ્તીદારે લોકસભા સ્પીકરને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો છે કે કલ્યાણ બેનર્જીએ લોકસભામાં તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમણે વધુમાં દાવો કર્યો છે કે કલ્યાણ બેનર્જીનું વલણ માત્ર તેમની સાથે જ નહીં, પરંતુ ગૃહની અન્ય મહિલા સાંસદો પ્રત્યે પણ હંમેશા અયોગ્ય અને અપમાનજનક રહ્યું છે. કાકોલી ઘોષે આ મામલે સ્પીકરને હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે અને તપાસ બાદ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.


પદ પરથી હટાવવા અને આઇ-પેકની શૈલી સામે નારાજગી

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કાકોલી ઘોષને લોકસભામાં ટીએમસીના ચીફ વ્હીપ પદ પરથી હટાવીને તેમના સ્થાને કલ્યાણ બેનર્જીની નિમણૂક કરવામાં આવી. આ ફેરફારથી નારાજ થઈને કાકોલી ઘોષે બુધવારે પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ટીએમસી છોડી રહ્યા નથી અને એક સામાન્ય કાર્યકર્તા તરીકે પક્ષમાં જોડાયેલા રહેશે. આ સાથે જ તેમણે પાર્ટીમાં ચૂંટણી વ્યૂહરચનાકાર સંસ્થા આઇ-પેકના વધી રહેલા પ્રભાવ અને પક્ષની અંદર પનપી રહેલી અલોકતાંત્રિક કાર્યશૈલીની પણ આકરી આલોચના કરી છે.

કલ્યાણ બેનર્જીનો કટાક્ષ અને ભાજપમાં જોડાવાની અટકળો

કાકોલી ઘોષના રાજીનામા બાદ તેઓ ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો તેજ થઈ છે. આ દરમિયાન કલ્યાણ બેનર્જીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કાકોલી ઘોષ પર આડકતરો કટાક્ષ કર્યો હતો. તેમણે લખ્યું કે, 'તમારી આગળની સફર સુગમ રહે અને નવા ભવિષ્ય માટે શુભેચ્છાઓ. કદાચ હવે તમારી આસપાસના તમામ ડાઘ અને વિવાદો ધોવાઈ જશે. આ નવો અધ્યાય ત્યાં સફળ થાય જ્યાં અગાઉની તમામ સ્પષ્ટતાઓ નિષ્ફળ રહી હતી.'

આ પણ વાંચો: ભાજપનો મોટો ફેરફાર: દિલ્હી-પંજાબ સહિત 4 રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક

ટીએમસીના આંતરિક વિવાદ પર ભાજપની પ્રતિક્રિયા

ટીએમસીના આ આંતરિક ઘમાસાણ પર ભાજપના સાંસદ રાહુલ સિન્હાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે, આ કાકોલી ઘોષનો અંગત મામલો છે અને તૃણમૂલ કોંગ્રેસની અંદરની લડાઈ છે. ભાજપને ટીએમસીની અંદરની બાબતોમાં દખલ કરવામાં કોઈ રસ નથી અને તેમનું પૂરેપૂરું ધ્યાન અત્યારે માત્ર બંગાળના વિકાસ પર જ કેન્દ્રિત છે.