West Bengal Politics News : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃમણૂલ કોંગ્રેસ(TMC)ની શરમજનક હાર થયા બાદ પાર્ટીના ધારાસભ્યો અને સાંસદોએ મમતા બેનર્જીનો સાથ છોડવાની શરૂઆત કરી દીધી છે. રાજ્યમાં દિવસેને દિવસે પાર્ટીના એક પછી એક રાજીનામા પડી રહ્યા છે. તાજેતરમાં જ મમતાના ખાસમખાસ સાંસદ કાકોલી ઘોષે દસ્તીદારે દાવો કર્યો છે કે, ટીએમસીના 20 સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને NDAને સમર્થન આપવા માંગે છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે બળવાખોર 20 સાંસદોની યાદીમાં સામેલ ટીએમસી સાંસદ પ્રતિમા મંડલે આજે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, તેમણે એનડીએને સમર્થનવાળા કોઈપણ પત્ર પર સહી કરી નથી.
હું NDAના સમર્થનમાં નથી : TMC સાંસદ પ્રતિમા મંડલ
જયનગરના ટીએમસી સાંસદ પ્રતિમા મંડલે ટીએમસીના બળવાખોર જૂથ સામે મોરચો ખોલી દીધો છે. તેમણે એનડીએને સમર્થન આપવાના પત્ર પર હસ્તાક્ષર કર્યા હોવાના અહેવાલોને ખોટા ગણાવીને બળવાખોરોને જાહેરમાં પડકાર ફેંક્યો છે. બળવાખોરોમાં તેમનું નામ સામેલ કરતાં તેઓ નારાજ થયા છે. તેમણે એએનઆઇને કહ્યું કે, ‘મેં NDAને સમર્થન આપવાના પત્ર પર હસ્તાક્ષર કર્યા હોવાની વાત સંપૂર્ણ ખોટી છે. મને જયનગરના લોકોએ વિજેતા બનાવીને આશીર્વાદ આપ્યા છે. હું 4 તારીખ બાદ દિલ્હી જ ગઈ નથી, હું કોલકાતામાં જ છું.’
આ પણ વાંચો : જે રાહુલને PM બનતા જોવા માગે છે...', TMCમાં બળવા વચ્ચે મમતાને કોંગ્રેસની મોટી ઓફર
‘20 સાંસદોના હસ્તાક્ષરવાળો પત્ર મીડિયાને કેમ દેખાડતા નથી?’
પ્રતિમા મંડલે બળવાખોર જૂથને જાહેરમાં પડકાર ફેંકીને કહ્યું કે, ‘જે લોકો આવા ખોટા અહેવાલો ફેલાવી રહ્યા છે, જો તમારી પાસે 20 સાંસદો છે અને આ સમાચાર છેલ્લા 2-3 દિવસથી ચાલી રહ્યા છે. તેથી હું કહેવા માંગુ છું કે, તમામ સાંસદોના હસ્તાક્ષરવાળો પત્ર મીડિયાને કેમ દેખાડતા નથી? તે પત્ર બતાવીને સાબિત કરો કે, તેમાં મારું નામ છે કે નહીં. મારા લોકોને દગો ન આપો. હું લોકોના જનાદેશનો સન્માન કરું છું અને હું 2029 સુધી અહીં જ રહીશ.’


