Get The App

'ભત્રીજા અભિષેકને પસંદ કરો કા મને...' દિગ્ગજ નેતાના અલ્ટીમેટમથી મમતાની TMC સામે મોટું સંકટ

Updated: Jun 11th, 2026

GS TEAM

Google News
Google News
TMC political crisis West Bengal
(IMAGE - IANS)

TMC political crisis West Bengal: પશ્ચિમ બંગાળની સત્તા પર છેલ્લા 15 વર્ષથી રાજ કરનાર મમતા બેનર્જી અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અત્યારે ભારે સંકટમાં ઘેરાયેલા છે. પાર્ટીના નેતાઓ એક પછી એક સાથ છોડી રહ્યા છે. અત્યાર સુધીમાં 60થી વધુ ધારાસભ્યો બળવાખોર થઈ ચૂક્યા છે, જ્યારે દિલ્હીમાં પક્ષના લોકસભા સાંસદોએ પણ બગાવતનું રણશિંગું ફૂંકી દીધું છે. આ બધાની વચ્ચે મમતા બેનર્જી માટે સૌથી મોટો ઝટકો તેમના પરમ વફાદાર ગણાતા કલ્યાણ બેનર્જીનું બદલાયેલું વલણ છે, જે હવે પાર્ટીના પતન તરફ ઇશારો કરી રહ્યું છે.

કલ્યાણ બેનર્જીનું અલ્ટીમેટમ: 'અભિષેક અથવા વફાદાર નેતાઓમાંથી ગમે તે એકને ચૂંટો'

મમતા બેનર્જીએ જેમને ચીફ વ્હીપ બનાવવા માટે પોતાના 40 વર્ષ જૂના સાથી કાકોલી ઘોષને પદ પરથી હટાવી દીધા હતા, તે જ કલ્યાણ બેનર્જી હવે બળવાના માર્ગે છે. કલ્યાણ બેનર્જીએ ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીને સીધું અલ્ટીમેટમ આપતાં કહ્યું છે કે, 'દીદીએ હવે નક્કી કરવું પડશે કે તેમને કાં તો અભિષેક બેનર્જી જોઈએ અથવા મારા જેવા વફાદાર નેતાઓ. જો મમતા બેનર્જી અભિષેક બેનર્જીને પદ પરથી નહીં હટાવે, તો હું પક્ષમાં રહી શકીશ નહીં.

મધ્યરાત્રિએ વકીલ બદલાતા કલ્યાણ બેનર્જી થયા અપમાનિત

અભિષેક બેનર્જી સામે ચાલી રહેલા નકલી સહીના કેસમાંથી કલ્યાણ બેનર્જીએ પોતાને અલગ કરી લીધા છે. તેમણે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, 'અમે મધ્યરાત્રિ સુધી અભિષેકના કેસની તૈયારી કરી રહ્યા હતા અને અચાનક રાત્રે મને જાણ કરવામાં આવી કે વકીલ બદલી નાખવામાં આવ્યા છે. આ ઘણું અપમાનજનક છે. અભિષેકે ક્યારેય મારા પર ભરોસો કર્યો નથી અને તેઓ વરિષ્ઠ નેતાઓનું સન્માન કરવાનું જાણતા નથી.'

'અભિષેક ઘમંડી છે, દીદી હવે પરિવાર કે પાર્ટીમાંથી એકને પસંદ કરે'

કલ્યાણ બેનર્જીએ અભિષેક બેનર્જી પર આકરા પ્રહારો કરતાં તેમને 'ઘમંડી' ગણાવ્યા છે અને કહ્યું છે કે તેમના કારણે જ પાર્ટીને આટલું મોટું નુકસાન વેઠવું પડ્યું છે. તેમણે કહ્યું, 'હું મમતા બેનર્જીની સાથે જ છું, પરંતુ દીદીએ હવે ફેંસલો કરવો પડશે કે તેમને પક્ષ અને વફાદાર નેતાઓ વહાલા છે કે પછી પરિવાર.'

આ પણ વાંચો: કોંગ્રેસમાં વિલયના અહેવાલોને TMCના બળવાખોર જૂથે ફગાવ્યા, કહ્યું - હજુ તો ઘણા રાજીનામા પડશે

કલ્યાણ બેનર્જી માત્ર મમતા બેનર્જીના ખાસ જ નહોતા, પરંતુ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં હાર બાદ કોર્ટમાં પાર્ટીના તમામ મહત્ત્વના કેસોની પેરવી પણ તેઓ જ કરી રહ્યા હતા. અભિષેક બેનર્જી આરોપી છે તેવા નકલી સહીના કેસમાં પણ તેઓ જ મુખ્ય વકીલ હતા. આવી સ્થિતિમાં કલ્યાણ બેનર્જીનું બળવાખોર વલણ હવે ટીએમસી માટે શબપેટીમાં છેલ્લા ખીલા સમાન સાબિત થઈ શકે છે.