| (IMAGE - IANS) |
Mamata Banerjee TMC Split: તૃણમૂલ કોંગ્રેસ (TMC) પશ્ચિમ બંગાળ વિધાનસભાની સત્તા ગુમાવી ચૂકી છે અને 58 ધારાસભ્યોના બળવા બાદ હવે પક્ષના અસ્તિત્વ સામે જ ગંભીર સંકટ ઊભું થયું છે. આ દરમિયાન દિલ્હીમાં ટીએમસીના સંસદીય દળના મોટા વિભાજનના મંડાણ થઈ ચૂક્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહની શરૂઆતમાં જ્યારે મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી વિપક્ષી ઇન્ડિયા (INDIA) ગઠબંધનની બેઠકમાં ભાગ લેવા દિલ્હી પહોંચશે, ઠીક એ જ સમયે પક્ષના ઓછામાં ઓછા 22 સાંસદો બળવો પોકારીને પોતાનું જૂથ જ અસલી ટીએમસી હોવાનો દાવો કરી શકે છે. સંસદમાં આકાર લઈ રહેલા આ સંભવિત રાજકીય તખ્તાપલટ અને બાગી જૂથની કમાન બારાસાતના લોકસભા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારના હાથમાં હોવાનું સામે આવ્યું છે, જેમાં લોકસભા અને રાજ્યસભા બંને ગૃહના સાંસદો જોડાઈ રહ્યા છે.
ભાજપના નેતાઓ દિલ્હીમાં સક્રિય, ટીએમસી હવે 'ઇતિહાસ' બનશે?
બંગાળના આ મોટા રાજકીય ગરમાવા વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્ય અત્યારે દિલ્હીમાં જ ડેરા જમાવીને બેઠા છે. દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન રાજ્યસભા સાંસદ સમિક ભટ્ટાચાર્યએ દાવો કર્યો હતો કે, તૃણમૂલ કોંગ્રેસના સાંસદો સતત તેમના સંપર્કમાં છે અને તેમના પર સતત ફોન કોલ્સ આવી રહ્યા છે. ટીએમસી હવે વીતેલા જમાનાની વાત બની ચૂકી છે અને નજીકના ભવિષ્યમાં તે ઇતિહાસના એક નાના પ્રકરણ પૂરતી જ સીમિત રહી જશે. બીજી તરફ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ લોકેટ ચેટર્જીએ પણ સ્મિત સાથે જણાવ્યું હતું કે, 4 મેના રોજ આવેલા ચૂંટણી પરિણામો બાદથી જ ટીએમસીના ઘણા સાંસદો ટેક્સ્ટ મેસેજ, વોટ્સએપ અને કોલ્સ દ્વારા સતત ભાજપના સંપર્કમાં છે અને તેઓ ગમે ત્યારે પક્ષ બદલવા માટે તૈયાર બેઠા છે.
પક્ષપલટા કાયદાથી બચવા માટે આંકડાની માયાજાળ
સંસદમાં સત્તાવાર રીતે વિભાજનને માન્યતા અપાવવા અને પક્ષપલટા વિરોધી કાયદા (દસમી અનુસૂચિ) હેઠળ અયોગ્ય જાહેર થવાથી બચવા માટે બાગી જૂથને બે-તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે. હાજી નુરુલ ઇસ્લામના અવસાન બાદ લોકસભામાં ટીએમસીના 28 સભ્યો છે, જ્યારે રાજ્યસભામાં તેના 13 સભ્યો છે. કોલકાતાની તર્જ પર દિલ્હીમાં ખેલ કરવા માટે બાગીઓને ઓછામાં ઓછા 19 લોકસભા અને 9 રાજ્યસભા સાંસદોના સમર્થનની જરૂર પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાગી છાવણીમાં અત્યારે બંને ગૃહોના મળીને કુલ 22 સાંસદોનો આંકડો તૈયાર થઈ ચૂક્યો છે.
મમતા-અભિષેકની હાજરીમાં જ દિલ્હીમાં થશે મોટો ધડાકો
બાગી જૂથના એક મુખ્ય સૂત્રે જણાવ્યું છે કે, આ તમામ સાંસદો સોમવારે લોકસભા સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણનને મળીને પોતાને જ અસલી તૃણમૂલ જાહેર કરવાના છે. મમતા બેનર્જી માટે આ બાબત અત્યંત પીડાદાયક હશે, કારણ કે જ્યારે ફઈ-ભત્રીજો (મમતા અને અભિષેક) દિલ્હીમાં હાજર હશે, બરાબર ત્યારે જ આ મોટો રાજકીય ધડાકો જોવા મળશે. ટીએમસીના વરિષ્ઠ રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રાયે પણ આ સંભવિત ભંગાણને સમર્થન આપતા કહ્યું છે કે સંસદીય દળનું વિખરાઈ જવું હવે અનિવાર્ય છે, તે બસ થોડા જ સમયની વાત છે.
ટીએમસી સાંસદોના ફોન સ્વિચ ઓફ, સોશિયલ મીડિયા પર આર-પારની જંગ
શુક્રવારે જ્યારે તૃણમૂલ કોંગ્રેસના અનેક સાંસદોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે પક્ષના 16માંથી 15 સાંસદોના ફોન સતત સ્વિચ ઓફ આવી રહ્યા હતા. આ સાંસદોમાં મનોરંજન જગતના સેલિબ્રિટીઝ, ભૂતપૂર્વ સ્પોર્ટ્સમેન અને પહેલીવાર ચૂંટણી જીતીને આવેલા સાંસદોનો સમાવેશ થાય છે. આ આખા બળવાના મુખ્ય સૂત્રધાર ગણાતા મહિલા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અમેરિકન પ્રમુખ વુડરો વિલ્સનનું કથન અને ચાર્લ્સ મેકેની કવિતાઓ શેર કરીને પોતાની 4 દાયકા લાંબી રાજકીય સફરનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પક્ષ સામે આર-પારની જંગનું એલાન કરતાં ચેતવણીભર્યા અંદાજમાં લખ્યું છે કે- 'મધમાખીના પૂડામાં હાથ નાખશો નહીં.'
બીજી તરફ, કોલકાતામાં બાગી જૂથના નેતા અને નવનિયુક્ત વિરોધ પક્ષના નેતા ઋતબ્રત બેનર્જીએ આ સમગ્ર સ્થિતિ પર તંજ કસતા કહ્યું કે, 'આજે મારે કંઈક કામ હોવાથી મેં 5 સાંસદોને ફોન કર્યો હતો, પણ બધાના ફોન એકસાથે બંધ આવતા હતા. હવે આનો જે મતલબ કાઢવો હોય તે કાઢી લો. ડર ચેપી હોય છે, પરંતુ સાહસ પણ ચેપી હોય છે.'


