India

મમતા બેનરજીના ઉદ્ધવ ઠાકરે જેવા હાલ થશે, તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીનું નામ-પ્રતીક ગુમાવશે?

By GS Team
15 Jun 20263 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળમાં સત્તા છીનવાઈ ગયા પછી મમતા બેનરજીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં એક બહુ મોટો બળવો થયો છે, જેના કારણે મમતા બેનરજીને જોરદાર ફટકો પડ્યો છે. ટીએમસીના બળવાખોર સાંસદોએ હવે ત્રિપુરાની એક નાની રાજકીય પાર્ટી સાથે જોડાણ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરીને સંસદમાં પોતાના માટે અલગ બેઠક વ્યવસ્થા કરવાની માંગ પણ કરી છે. આ રાજકીય ઊથલપાથલ વચ્ચે એવી ચર્ચાઓ પણ તેજ થઈ ગઈ છે કે ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનને લોકસભામાં તેનો સૌથી મોટો સહયોગી પક્ષ મળવા જઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મમતા બેનરજીના ઉદ્ધવ ઠાકરે જેવા હાલ થશે, તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીનું નામ-પ્રતીક ગુમાવશે?
(IMAGE - IANS)

West Bengal political crisis: પશ્ચિમ બંગાળમાં સત્તા છીનવાઈ ગયા પછી મમતા બેનરજીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં એક બહુ મોટો બળવો થયો છે, જેના કારણે મમતા બેનરજીને જોરદાર ફટકો પડ્યો છે. ટીએમસીના બળવાખોર સાંસદોએ હવે ત્રિપુરાની એક નાની રાજકીય પાર્ટી સાથે જોડાણ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરીને સંસદમાં પોતાના માટે અલગ બેઠક વ્યવસ્થા કરવાની માંગ પણ કરી છે. આ રાજકીય ઊથલપાથલ વચ્ચે એવી ચર્ચાઓ પણ તેજ થઈ ગઈ છે કે ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનને લોકસભામાં તેનો સૌથી મોટો સહયોગી પક્ષ મળવા જઈ રહ્યો છે.

સુદીપ બંદોપાધ્યાય પણ બળવાખોર જૂથમાં સામેલ

લોકસભામાં બે-તૃતીયાંશ સાંસદોના બળવા પછી, બળવાખોર જૂથને જે મોટા નેતાની શોધ હતી તે હવે પૂરી થઈ ગઈ છે. મમતા બેનરજીના ક્યારેક સૌથી વિશ્વાસુ અને લોકસભામાં ટીએમસીના સંસદીય દળના નેતા રહેલા સુદીપ બંદોપાધ્યાય હવે સત્તાવાર રીતે બળવાખોર જૂથમાં જોડાઈ ગયા છે. બળવાખોર જૂથમાં જોડાતાની સાથે જ તેમણે મમતા બેનરજી સામે મોરચો ખોલ્યો છે. સુદીપ બંદોપાધ્યાયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, બળવાખોરોનું ત્રિપુરાની પાર્ટીમાં વિલીનીકરણ માત્ર એક કામચલાઉ વ્યવસ્થા છે અને ટૂંક સમયમાં તેઓ મોટો દાવ રમશે.

શું છે બળવાખોર સાંસદોનો પ્લાન?

લોકસભામાં ટીએમસીના 28માંથી 20 સાંસદોનું સમર્થન હોવાનો દાવો કરતા સુદીપ બંદોપાધ્યાયે તેમની લાંબાગાળાની વ્યૂહરચનાનો ખુલાસો કર્યો છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં સંકેત આપ્યા છે કે, આગામી જુલાઈ મહિનામાં આ બળવાખોર જૂથ ચૂંટણી પંચ અને કોર્ટ સમક્ષ સત્તાવાર માંગણી રાખશે કે તેમની પાસે બે-તૃતીયાંશ બહુમતી હોવાથી તેમને જ અસલી તૃણમૂલ કોંગ્રેસ માનવામાં આવે અને પાર્ટીનું નામ તથા પ્રતીક પણ તેમને જ આપવામાં આવે. તેમણે કહ્યું કે, જ્યારે તમે બે-તૃતીયાંશ બહુમતી સાથે પાર્ટી છોડો છો ત્યારે આ જ કાયદાકીય પ્રક્રિયા હોય છે અને હવે કોર્ટ આના પર આખરી નિર્ણય કરશે.

ત્રિપુરાની NCPI પાર્ટી સાથે વિલીનીકરણની જાહેરાત

લોકસભામાં બળવાખોર સાંસદોની આગેવાની કરી રહેલા કાકોલી ઘોષ દસ્તીદારે જણાવ્યું કે, તૃણમૂલ કોંગ્રેસના 20 સાંસદોએ સ્પીકર ઓમ બિરલાને સોંપેલા આવેદનપત્ર પર સહી કરી છે. તેમણે લોકસભા અધ્યક્ષને પત્ર સોંપીને એક અલગ જૂથ તરીકે માન્યતા આપવા માંગ કરી છે. આ સાંસદો ત્રિપુરાની રજિસ્ટર્ડ પાર્ટી 'નેશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા'માં પોતાનું વિલીનીકરણ કરશે અને કેન્દ્રની એનડીએ સરકારને સમર્થન જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે, NCPI ત્રિપુરાની ખૂબ જ નાની પાર્ટી છે અને 2023ની વિધાનસભા ચૂંટણીમાં તેના ઉમેદવારોને નોટા જેટલા જ વોટ મળ્યા હતા.

આ પણ વાંચો: અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે 'જેકપોટ', સામાન્ય નાગરિકોને થશે મોટો ફાયદો

લોકસભામાં ભાજપની સૌથી મોટી સહયોગી બનશે આ નવી ટીમ

જો લોકસભામાં ટીએમસીનું આ બળવાખોર જૂથ એનડીએ સરકારને સમર્થન આપશે, તો તે ભાજપનું સૌથી મોટું સહયોગી જૂથ બની જશે. હાલમાં કેન્દ્ર સરકારમાં ભાજપ પાસે બે મોટા સહયોગી પક્ષો છે, જેમાં આંધ્રપ્રદેશની ટીડીપીના 16 સાંસદો અને જનતા દળ યુનાઇટેડના 12 સાંસદો સામેલ છે. હવે ટીએમસીના આ 20 બળવાખોર સાંસદોના ટેકાને કારણે લોકસભામાં એનડીએની સભ્ય સંખ્યા વધીને 313 સુધી પહોંચી શકે તેમ છે. બીજી તરફ ભાજપે પણ આ નિર્ણયને આવકારતા કહ્યું છે કે જો ટીએમસીના સાંસદો દેશહિતમાં એનડીએને સમર્થન આપવા માંગતા હોય તો તે આવકારદાયક છે.