India

ઈથેનોલના કારણે એન્જિન બગડવાના કોઈ પુરાવા નથી, શુદ્ધ પેટ્રોલ નહીં જ મળે: સંસદમાં સરકારનો જવાબ

By GS Team
21 Jul 20262 mins read
TukuTouch Logo
E20 પેટ્રોલ મુદ્દે કેન્દ્ર સરકારે સંસદમાં સ્પષ્ટતા કરી છે. સરકારે જણાવ્યું કે, દેશના પેટ્રોલ પંપો પર શુદ્ધ પેટ્રોલ કે E10 પેટ્રોલની સમાંતર સપ્લાયનો કોઈ પ્રસ્તાવ નથી. પેટ્રોલિયમ રાજ્યમંત્રી સુરેશ ગોપીએ રાજ્યસભામાં જણાવ્યું કે, E20 થી એન્જિન ખરાબ થવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોજિસ્ટિક્સ અને ખર્ચને કારણે અલગ સપ્લાય અશક્ય છે. સરકારે ઊર્જા સુરક્ષા અને ખેડૂતોના કલ્યાણ માટે E20 ને મહત્વપૂર્ણ ગણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈથેનોલના કારણે એન્જિન બગડવાના કોઈ પુરાવા નથી, શુદ્ધ પેટ્રોલ નહીં જ મળે: સંસદમાં સરકારનો જવાબ

E20 Petrol Government Response Parliament : દેશભરમાં E20 (20% ઇથેનોલ મિશ્રિત) પેટ્રોલને લઈને ચાલી રહેલી ચર્ચાઓ અને વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે સંસદમાં મોટો ખુલાસો કર્યો છે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે દેશના પેટ્રોલ પંપો પર શુદ્ધ પેટ્રોલ (E0) કે ઓછું ઇથેનોલ ધરાવતા E10 પેટ્રોલની સમાંતર સપ્લાય શરૂ કરવાનો કોઈ વિચાર કે પ્રસ્તાવ નથી. રાજ્યસભામાં સાંસદ ડૉ. વી શિવદાસન અને અશોક સિંહ દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપતાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ રાજ્યમંત્રી સુરેશ ગોપીએ આ માહિતી આપી હતી.

‘E20 થી એન્જિન ખરાબ થવાના કોઈ પુરાવા નથી’

પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે E20 બળતણના ઉપયોગથી વાહનના એન્જિન ખરાબ થવા, અસામાન્ય ઘસારો થવો કે પ્રદર્શનમાં મોટો ઘટાડો થવા અંગેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા કે પુષ્ટિ થયેલી ફરિયાદો મળી નથી. સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સમાં ઉઠાવવામાં આવેલી ચિંતાઓનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન, લાંબા સમયની લેબ ટેસ્ટિંગ અને ફીલ્ડ વેલિડેશન કરાવવામાં આવ્યું છે, જેમાં E20 થી વાહનો પર વિપરીત અસર થવાનું સાબિત થયું નથી.

શુદ્ધ પેટ્રોલની સપ્લાય કેમ શક્ય નથી?

સરકારે શુદ્ધ પેટ્રોલ કે E10 ના વેચાણથી ઇનકાર કરવા પાછળ બે મુખ્ય કારણો દર્શાવ્યા છે:
લોજિસ્ટિક્સ અને ખર્ચ: દેશના 1 લાખથી વધુ પેટ્રોલ પંપો પર E0, E10 અને E20 માટે અલગ-અલગ સપ્લાય ચેઈન અને હેન્ડલિંગની વ્યવસ્થા કરવી વ્યાવહારિક નથી. તેનાથી ખર્ચ અને લોજિસ્ટિક્સની જટિલતા ખૂબ વધી જશે.
કંપનીઓનો ભરોસો અને વોરંટી: ઓટોમોબાઈલ કંપનીઓ E20 પેટ્રોલથી ચાલતી ગાડીઓ પર પોતાની વોરંટી (Warranty) સંપૂર્ણપણે યથાવત રાખી રહી છે. જો કંપનીઓ સંતૃષ્ટ ન હોત તો તેઓ E20 વાહનો બનાવત જ નહીં.

પાછળ હટવાનો કે જૂના બળતણ પર પાછા ફરવાનો પ્રશ્ન જ નથી

મંત્રાલયે જણાવ્યું કે ઇથેનોલ મિશ્રણની શરૂઆત વર્ષ 2001 માં એક પાઇલટ પ્રોજેક્ટ તરીકે થઈ હતી. નિષ્ણાતોની સલાહ બાદ જ 2013-14 માં 1.53% થી વધારીને તેને 2025-26 સુધીમાં 20% સુધી પહોંચાડવામાં આવ્યું છે. દેશની ઊર્જા સુરક્ષા, પર્યાવરણની સ્થિરતા અને ખેડૂતોના કલ્યાણને ધ્યાનમાં રાખીને 1 એપ્રિલ 2026 થી ન્યૂનતમ 95 રિસર્ચ ઓક્ટેન નંબર (RON) વાળા ઇથેનોલ બ્લેન્ડેડ ઇંધણને નોટિફાય કરાયું છે. હવે જૂના ઇંધણ તરફ પાછા ફરવાથી ઊર્જા સુરક્ષા અને ખેડૂતોને થતા ફાયદા ઓછા થઈ જશે.