પાક.માં તાલિમમાં જે કાશ્મીરનું વર્ણન કરાયું તેનાથી અલગ સ્થિતિ જોવા મળી
ગયા મહિને ઝડપાયેલા આતંકી ઉસ્માને એનઆઇએ સમક્ષ ઘૂસણખોરીની પ્રક્રિયા સહિતના રાજ ખોલ્યા
શ્રીનગરના ક્લિનિકમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવવા ૨૪ કલાક રોકાયો હતો, બાદમાં અંગ્રેજી ભાષા પણ શીખવા લાગ્યો હતો
મોહમ્મદ ઉસ્માન નામના આતંકવાદીની ધરપકડ કરી લેવાઇ છે, હાલ કેન્દ્રીય તપાસ એજન્સી એનઆઇએ તેની પૂછપરછ કરી રહી છે જે દરમિયાન મોહમ્મદ ઉસ્માન પોતાની જિંદગીના નવા ચેપ્ટર ખોલી રહ્યો છે.
તે કેવી રીતે પાકિસ્તાનથી ઘૂસ્યો અને ઘાટીમાં ક્યા ગયો કેવી રીતે રહ્યો તે તમામ માહિતી એજન્સી દ્વારા કઢાવાઇ રહી છે. પાકિસ્તાનના લાહોરના રહેવાસી મોહમ્મદ ઉસ્માન ઉર્ફ ચાઇનીઝે કબુલ કર્યું હતું કે તે અનેક હુમલાઓને અંજામ આપવાના ઇરાદાથી જ સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશ્યો હતો. બાદમાં કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિમાં સક્રિય થઇ ગયો હતો.
ગયા મહિને શ્રીનગર પોલીસે ઝડપી પાડેલા આતંકી ઉસ્માને વધુમાં ખુલાસો કર્યો હતો કે મને આતંકવાદી તરીકે પાકિસ્તાનમાં જે તાલિમ અપાઇ તેમાં ભારતના કાશ્મીર અંગે અલગ જ ચિત્ર દેખાડવામાં આવ્યું, પણ જ્યારે મે ખરેખર કાશ્મીરનું જીવ જોયું તો મારા વિચારો બદલાવા લાગ્યા, મારા વાળ ખરી ગયા હતા પરંતુ જ્યારે મે હેર ટ્રાન્સપ્લાન્ટ અંગે સાંભળ્યું ત્યારે મને એમ લાગ્યું કે આ વૈભવી સુવિધા માત્ર પશ્ચિમ વિસ્તારોમાં જ હશે.
મારી સાથે પાકિસ્તાની આતંકી ઝરગામ પણ હતો, જેણે શ્રીનગરમાં મને એક દુકાનદાર સાથે મુલાકાત કરાવી હતી, દુકાનદાર મને એક હેર ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિક પર લઇ ગયો હતો, લાંબા સમય સુધી આ ક્લિનિકમાં રોકાયો અને હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા હતા, બાદમાં હું પંજાબ અને જમ્મુમાં ગયો હતો, જ્યાં મે અંગ્રેજી ભાષા શીખવા પ્રયાસ કર્યો હતો. તુર્કીશ શો પણ નિહાળ્યા હતા, મારે બનાવટી આધાર કાર્ડ, પાન કાર્ડ જોઇતા હતા જેની મદદથી ફેક પાસપોર્ટ તૈયાર કરાવીને હું ભારતથી બહાર જવા માગતો હતો.


