બંગાળ બાદ તેલંગાણામાં 89 લાખ મતદારો પર સંકટ, ચૂંટણી પંચ ફટકારશે નોટિસ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Telangana Voter List Controversy : પશ્ચિમ બંગાળ બાદ હવે તેલંગાણામાં પણ મતદાર યાદીને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. ચૂંટણી પંચની પ્રાથમિક તપાસમાં રાજ્યની મતદાર યાદીમાં આશરે 89 લાખ શંકાસ્પદ અથવા ગડબડયુક્ત એન્ટ્રીઓ મળી આવી છે. હવે આ મામલે વિશેષ તપાસ (SIR) હાથ ધરવામાં આવશે, જેના પરિણામે રાજ્યના રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારની શક્યતા છે.
કેવી રીતે સામે આવી ગડબડી?
ચૂંટણી પંચે વર્ષ 2002ની મતદાર યાદીની હાલની યાદી સાથે સરખામણી કરી હતી. આ પ્રક્રિયા દરમિયાન મતદારોના ડેટામાં 11 પ્રકારની ગડબડીઓ મળી આવી. તેલંગાણાના મુખ્ય ચૂંટણી અધિકારી સી. સુદર્શન રેડ્ડીએ આ વિગતો જાહેર કરી હતી.
કઈ પ્રકારની ગડબડીઓ મળી?
તપાસ દરમિયાન અનેક અસામાન્ય વિગતો સામે આવી છે. કેટલાક કિસ્સાઓમાં માતા-પિતા અને સંતાનની ઉંમરમાં 15 વર્ષથી ઓછો તફાવત જોવા મળ્યો હતો. કેટલાક ભાઈ-બહેનોની ઉંમરમાં 9 મહિનાથી ઓછો અંતર નોંધાયો હતો. ઉપરાંત દાદા અને પૌત્રની ઉંમરમાં અસામાન્ય રીતે ઓછો તફાવત જોવા મળ્યો હતો. કેટલાક મતદારોના સંબંધોની વિગતોમાં પણ ફેરફાર જોવા મળ્યો હતો. જૂની અને નવી યાદીની સરખામણીમાં એક જ વ્યક્તિ માટે પરિવારના સભ્યોના નામ અથવા સંબંધ બદલાયેલા જોવા મળ્યા હતા.
હવે ચૂંટણી પંચ શું કરશે?
ચૂંટણી પંચ હવે રાજ્યમાં વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) કરશે. ચૂંટણી પંચ હવે 89 લાખ શંકાસ્પદ મતદારોને નોટિસ મોકલીને તેમની ઓળખ અને વિગતો અંગે પુરાવા માંગશે. 25 જૂનથી 24 જુલાઈ દરમિયાન બૂથ લેવલ ઓફિસર (BLO) ઘર-ઘર જઈને મતદારોની વિગતોની ચકાસણી કરશે. મતદાર યાદીમાં નોંધાયેલી માહિતી અને વાસ્તવિક સ્થિતિ વચ્ચે મેળ બેસે છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. જો કોઈ મતદાર વિશે યોગ્ય પુરાવા નહીં મળે અથવા વ્યક્તિ તે સરનામે રહેતી ન હોય તો તેનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી શકે છે.









