Revanth Reddy Hitler Remark : તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીનું HYDRAAને લઈને આપેલું નિવેદન રાજકીય વિવાદનું કેન્દ્ર બન્યું છે. મુખ્યમંત્રીએ દાવો કર્યો છે કે, રાજ્યની દબાણ વિરોધી એજન્સીના નામ અને વિચારની પ્રેરણા તેમને એડોલ્ફ હિટલર પાસેથી મળી હતી. આ ટિપ્પણી બાદ ભાજપ (BJP) અને બીઆરએસ (BRS) એ કોંગ્રેસ પર આકરા પ્રહારો શરૂ કરી દીધા છે. તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીના એક નિવેદનથી મોટો રાજકીય વિવાદ ઊભો થયો છે. રેવંત રેડ્ડીએ દાવો કર્યો કે 'હૈદરાબાદ ડિઝાસ્ટર રિસ્પોન્સ એન્ડ એસેટ પ્રોટેક્શન એજન્સી' (HYDRAA)ના નામ અને કન્સેપ્ટની પસંદગી તેમણે જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરથી પ્રેરિત થઈને કરી હતી. હાઇડ્રા (HYDRAA) તેલંગાણાની દબાણ વિરોધી એજન્સી છે. મુખ્યમંત્રી રેડ્ડીના આ નિવેદન પર ભાજપ અને બીઆરએસ સહિતના વિપક્ષી પક્ષોએ આકરી પ્રતિક્રિયા આપી છે.
હિટલરની કોર ટીમનું નામ હતું હાઇડ્રા?
બેંગલુરુમાં શનિવારે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા રેવંત રેડ્ડીએ કહ્યું, 'હાઇડ્રા શબ્દ હિટલરનો મનપસંદ શબ્દ હતો. તેની કોર ટીમને હાઇડ્રા કહેવામાં આવતી હતી, જે કોઈની પણ હત્યા કરી શકતી હતી. મેં હિટલર પાસેથી પ્રેરણા લઈને રાજ્યની દબાણ વિરોધી એજન્સીનું નામ HYDRAA રાખ્યું.'
જો કે, ઇતિહાસકારોએ મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીના આ દાવા પર સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે, 'હિટલરની કોઈ કોર ટીમનું નામ 'Hydra' હોવાના કોઈ ઐતિહાસિક પુરાવા ઉપલબ્ધ નથી. 'Hydra' નામ દ્વિતીય વિશ્વયુદ્ધ (Second World War) દરમિયાન નાઝી જર્મની વિરુદ્ધ બ્રિટિશ રોયલ એરફોર્સના એક બોમ્બમારો કરવાના મિશન સાથે જોડાયેલું હતું.'
ભાજપે કોંગ્રેસને ઘેરી
મુખ્યમંત્રી રેડ્ડીના નિવેદન પર ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કોંગ્રેસને ઘેરતા આકરો હુમલો કર્યો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'કોંગ્રેસની ખતરનાક હિટલર અને ઇમરજન્સી વાળી માનસિકતા વધુ એક વખત ખુલ્લેઆમ સામે આવી ગઈ છે. રેવંત રેડ્ડી જાહેરમાં સ્વીકારી રહ્યા છે કે, HYDRAA બનાવવાની પ્રેરણા તેમને હિટલર પાસેથી મળી.' ભાજપના પ્રવક્તાએ તેને કોંગ્રેસની સરમુખત્યારશાહી વિચાર ગણાવ્યો અને કહ્યું કે ઇન્દિરા ગાંધીની ઇમરજન્સીથી લઈને પત્રકારો અને વિદ્યાર્થીઓ પરની કાર્યવાહી સુધી આ જ માનસિકતા જોવા મળે છે.
ઉત્તર-દક્ષિણ વિભાજનના મુદ્દે પણ વિવાદ
શહઝાદ પૂનાવાલાએ રેવંત રેડ્ડીના એ કથિત નિવેદન પર પણ વાંધો ઉઠાવ્યો, જેમાં તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ઉત્તર ભારતમાંથી છે, અને દક્ષિણ ભારતના લોકોએ બીજા દરજ્જાના નાગરિક ન બનવું જોઈએ. પૂનાવાલાએ આ ટિપ્પણીઓને વિભાજનકારી ગણાવતા આરોપ લગાવ્યો કે, કોંગ્રેસના નેતાઓ ઉત્તર-દક્ષિણ વિભાજનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભાજપના પ્રવક્તાએ કહ્યું, 'વડાપ્રધાન ગુજરાતના છે, અને દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ ઓડિશાના છે. તેમ છતાં આવા નિવેદનો ભારતને વહેંચનારી રાજનીતિને પ્રોત્સાહન આપે છે.' ઉલ્લેખનીય છે કે ગુજરાત ભારતના પશ્ચિમ છેડે આવેલું છે, જ્યારે ઓડિશા પૂર્વ છેડે છે. આવી સ્થિતિમાં રેવંત રેડ્ડી દ્વારા પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મૂને ઉત્તર ભારતના ગણાવવા તે તથ્યાત્મક રીતે ખોટું છે.


