અસ્થિઓ લેવા પણ ન આવી દીકરીઓ, ₹5,100 મોકલીને કહ્યું- 'અંતિમ સંસ્કાર સરખી રીતે કરી દેજો'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Haryana Sonipat news : સોનીપતમાંથી સામે આવેલો એક કિસ્સો માત્ર એક વૃદ્ધના અવસાનની ઘટના નથી, પરંતુ બદલાતા કળિયુગી સંબંધો અને પારિવારિક મૂલ્યોની દર્દનાક વાસ્તવિકતા છતી કરતો કિસ્સો છે. પોતાના જમાનાના મોટા કાપડના વેપારી શિવચરણ ગુપ્તાએ પોતાની ત્રણ દીકરીઓને તમામ મુશ્કેલીઓ વેઠીને ભણાવી-ગણાવીને પોતાના પગભર કરી હતી. પરંતુ જીવનના અંતિમ પડાવમાં પિતા પાસે જવાનો કે તેમના અંતિમ દર્શન કરવાનો દીકરીઓ પાસે સમય નહોતો.
વૃદ્ધાશ્રમમાં રહેતા હતા શિવચરણ ગુપ્તા
મહારાષ્ટ્રના મૂળ વતની અને જાણીતા કાપડ વેપારી શિવચરણ ગુપ્તા અંદાજે દોઢ વર્ષ પહેલા પોતાની પત્ની મીના ગુપ્તા સાથે સોનીપતના એક વૃદ્ધાશ્રમમાં આવ્યા હતા. તેમને કોઈ પુત્ર નહોતો, તેથી તેમણે પોતાની ત્રણેય પુત્રીઓ (અનિતા, નિશા અને પ્રિયા) ને સક્ષમ બનાવી હતી. જેમાં બે પુત્રીઓ શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. થોડા સમય પહેલાં તેમની પત્નીનું અવસાન થતાં તેઓ એકલા પડી ગયા હતા.
વૃદ્ધાશ્રમના સંચાલક આનંદના જણાવ્યા મુજબ, શિવચરણભાઈ દીકરીઓ સાથે વાત કરવા માટે પોતાની પાસે ફોન રાખતા હતા, પરંતુ તેમની બીમારી બાદ દીકરીઓના ફોન આવવાના બંધ થઈ ગયા હતા. 20 દિવસ પહેલા જ્યારે તેમની તબિયત લથડી ત્યારે દીકરીઓને જાણ કરવામાં આવી હતી, પરંતુ તેમણે બહાના બનાવીને આવવાનું ટાળ્યું હતું.
અંતિમ સંસ્કાર અને અસ્થિ વિસર્જન વૃદ્ધાશ્રમે કરવું પડ્યું
અવસાનના દિવસે પણ વૃદ્ધાશ્રમ સંચાલકોએ મૃતદેહ સાચવી રાખવાની તૈયારી બતાવી હતી, પરંતુ સમય નથી તેમ કહીને દીકરીઓએ આવવાનો ઇનકાર કરી દીધો હતો. મોટી દીકરી અનીતા નેપાળમાં શિક્ષિકા છે, બીજી દીકરી નિશા યુપીના આઝમગઢમાં અને સૌથી નાની દીકરી પ્રિયા મુંબઈમાં રહે છે. ત્રણેયમાંથી એક પણ દીકરી પિતાની આખરી વિદાયમાં ન પહોંચી.
નેપાળ રહેતી શિક્ષિકા દીકરી અનીતાએ ઓનલાઈન ₹5,100 ટ્રાન્સફર કરીને સંચાલકોને કહ્યું કે પિતાના અંતિમ સંસ્કાર યોગ્ય રીતે કરી દેજો અને વીડિયો મોકલી દેજો. પહેલાં તેમણે અસ્થિઓ સાચવી રાખવા કહ્યું હતું, પરંતુ બાદમાં સમય નથી તેમ કહીને વૃદ્ધાશ્રમ સંચાલકને જ ગંગાજીમાં અસ્થિ વિસર્જન કરી દેવા વિનંતી કરી હતી. પિતાની અંતિમ વિધિ દીકરીઓએ વીડિયો કોલના માધ્યમથી જોઈ હતી.









