| Photo from X |
TCS Controversy : ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના મહારાષ્ટ્ર સ્થિત નાસિક યુનિટમાં જાતીય સતામણી અને ધાર્મિક ઉત્પીડનના ગંભીર આરોપો બાદ કંપનીએ સત્તાવાર સ્પષ્ટતા કરી છે. TCS ના CEO અને MD કે. કૃતિવાસને જણાવ્યું કે, જે કર્મચારીઓએ પોલીસમાં FIR નોંધાવી છે. તેઓએ કંપનીની આંતરિક એથિક્સ કમિટી અથવા POSH (Prevention of Sexual Harassment) ચેનલ પર ક્યારેય કોઈ ફરિયાદ કરી નહોતી.
કંપનીની પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું?
TCS દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ સિસ્ટમ અને રેકોર્ડની શરૂઆતી તપાસ દર્શાવે છે કે જે પ્રકારના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, તેવી કોઈ ફરિયાદ કંપનીના પોર્ટલ કે હેલ્પલાઇન પર મળી નથી. HR મેનેજર અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે, મીડિયામાં જેમને HR મેનેજર તરીકે દર્શાવવામાં આવી છે તે તે નિદા ખાન ખરેખર એક પ્રોસેસ એસોસિએટ હતી. તેની પાસે ભરતી કે લીડરશીપની કોઈ જવાબદારી નહોતી.નાસિક યુનિટ બંધ થવાની અફવાઓને ફગાવતા કંપનીએ કહ્યું કે ત્યાં કામગીરી અવિરત ચાલુ છે.
શું છે સમગ્ર મામલો?
નાસિક BPO યુનિટમાં કામ કરતા કેટલાક કર્મચારીઓએ સાથી કર્મચારીઓના એક જૂથ પર અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે અત્યાર સુધી 9 FIR નોંધવામાં આવી છે. જેમાં જાતીય સતામણી, હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન, બળજબરીથી ધર્મ પરિવર્તનનો પ્રયાસ અને માંસાહારી ખોરાક ખાવા માટે દબાણ કરવું જેવા આરોપોનો સમાવેશ થાય છે. આ કેસમાં અત્યાર સુધી 1 મહિલા સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, કેટલાક આરોપીઓ સિનિયર પદો પર હતા અને પદનો દુરુપયોગ કરીને સહકર્મીઓને પરેશાન કરતા હતા.
ટાટા ગ્રુપનું વલણ
ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને આ ઘટનાને અત્યંત ચિંતાજનક અને પરેશાન કરનારી ગણાવી છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, બળજબરી કે ગેરરીતિના મામલામાં તેમની ઝીરો-ટોલરન્સ નીતિ છે અને તેઓ તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે. જરૂરી તમામ તપાસમાં ન માત્ર સહયોગ અપાશે પરંતુ કર્મચારીઓને પણ નિર્દેશ અપાશે કે જો હાલના પણ કોઇ કર્મચારી પીડિત હોય તો પોલીસ કે કંપની તંત્રને ફરિયાદ કરી શકે છે.


