'ગાળો બોલવી એ કોઈ અપરાધ નથી..', PM મોદી અંગે અપશબ્દો વાપરનાર યુવતીના બચાવમાં CJP
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CJP On Ruchika Singh FIR : દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અશોભનીય ભાષાનો ઉપયોગ કરવા બદલ નોઈડાની 25 વર્ષીય રુચિકા સિંહ સામે પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે. આ FIR બાદ હવે કોકરોચ જનતા પાર્ટી (CJP) રુચિકાના સમર્થનમાં આવી છે અને આ કાર્યવાહીનો વિરોધ કર્યો છે.
યુવાનોને હેરાન કરવાનું બંધ થવું જોઈએ: CJP
CJPના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે (CJP Saurav Das) સોશિયલ મીડિયા પર રુચિકાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, 'વિરોધ પ્રદર્શન દરમિયાન અયોગ્ય ભાષાના ઉપયોગની નિંદા થઈ શકે છે, પરંતુ તેના માટે ક્રિમિનલ કેસ દાખલ કરીને 25 વર્ષની યુવતીને નિશાન બનાવવી તે બિલકુલ ખોટું છે.' તેમણે ઉમેર્યું હતું કે રોજિંદા જીવનમાં પણ લોકો આવી ભાષા વાપરતા હોય છે, ત્યારે આ પ્રક્રિયા દ્વારા યુવાનોને ડરાવવાનું બંધ કરીને તે યુવતીને મુક્ત કરવી જોઈએ.
ગંભીર કેસ ધરાવતા સાંસદો પર પોલીસ ધ્યાન આપે
સૌરવ દાસે સાંસદો પર નોંધાયેલા કેસોનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે, 'લોકસભામાં 50% થી વધુ સાંસદો પર રેપ, હત્યા અને લૂંટ જેવા ગંભીર ગુનાહિત કેસો ચાલી રહ્યા છે, જેમાં 100 થી વધુ સાંસદો તો ભાજપના જ છે.' પોલીસે પોતાની શક્તિ અને ઊર્જા યુવાનોને હેરાન કરવાના બદલે આવા ગંભીર ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં વાપરવી જોઈએ.
FIR બંધ કરવા અને પ્રદર્શનકારીઓને મુક્ત કરવા માંગ
દિલ્હી સરકારના નોટિફિકેશન અંગે માહિતી આપતા સૌરવ દાસે જણાવ્યું હતું કે, 'દિલ્હી સરકારના હિસાબે 13 FIR નોંધાઈ છે, પરંતુ અમારી માહિતી મુજબ 20 FIR છે.' તેમણે માંગ કરી છે કે સરકારે નોટિફિકેશનમાં યોગ્ય ભાષાનો ઉપયોગ કરવો જોઈએ અને સ્પષ્ટ કરવું જોઈએ કે ભવિષ્યમાં પ્રદર્શનકારીઓ સામે કોઈ કાર્યવાહી નહીં થાય. આ તમામ FIR ને બંધ ગણવામાં આવે અને અટકાયત કરાયેલા કે ધરપકડ કરાયેલા લોકોને વહેલી તકે છોડી મુકવામાં આવે.
વિદ્યાર્થીઓને ડરાવવાનું ષડયંત્ર: અભિજીત દીપક
CJPના સ્થાપક અભિજીત દીપકે (Abhijeet Dipke) આક્ષેપ કર્યો છે કે, 'આ કામ ભાજપના ગુંડાઓએ કર્યું છે. તેઓ વિદ્યાર્થીઓને લક્ષ્ય બનાવી રહ્યા છે જેથી તેઓ સરકાર સામે સવાલ ઉઠાવવાની કે પ્રદર્શન કરવાની હિંમત ન કરે.' તેમણે ઉમેર્યું કે પોલીસ પર હુમલા કરનારા લોકો માટે તેમને સહાનુભૂતિ છે, પરંતુ જે વિદ્યાર્થીઓને પોલીસે નિર્દયતાથી માર માર્યો છે તેમના પરિવારનું શું? બિહાર, આસામ અને બંગાળ જેવા રાજ્યોમાં પણ સરકારો સાથે યોગ્ય નોટિફિકેશન અંગે વાટાઘાટો ચાલી રહી છે.









