Get The App

સાસુ નિવૃત્ત જજ હોવાથી તપાસ દબાવવાનો પ્રયાસ? ટ્વિશા શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટની સુઓમોટો અરજી

Updated: May 23rd, 2026

GS TEAM

Google News
Google News
સાસુ નિવૃત્ત જજ હોવાથી તપાસ દબાવવાનો પ્રયાસ? ટ્વિશા શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટની સુઓમોટો અરજી 1 - image

SC to Hear Twisha Sharma Bhopal Dowry Death Case : 33 વર્ષીય કોર્પોરેટ પ્રોફેશનલ અને ભૂતપૂર્વ અભિનેત્રી ટ્વિશા શર્માના શંકાસ્પદ મોત અને દહેજ ઉત્પીડનના મામલામાં હવે દેશની સર્વોચ્ચ અદાલતે એન્ટ્રી કરી છે. તપાસમાં ન્યાયિક પ્રભાવ, સંસ્થાકીય પક્ષપાત અને પ્રક્રિયાગત ક્ષતિઓના ગંભીર આક્ષેપોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આ મામલે જાતે સંજ્ઞાન (Suo Motu Cognisance) લીધું છે. 

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતની વડપણ હેઠળની ત્રણ જજોની બેન્ચ, જેમાં જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલી સામેલ છે, તે આગામી સોમવાર એટલે કે 25 મેના રોજ આ હાઇ પ્રોફાઇલ મામલાની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે આ સુઓ મોટો કેસને એક ખાસ શીર્ષક આપ્યું છે:  'અકાળે સાસરીમાં યુવતીના થયેલા શંકાસ્પદ મોતની તપાસમાં સંસ્થાકીય પક્ષપાત અને પ્રક્રિયાગત વિસંગતતાઓ.'

સાસુ નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ હોવાથી તપાસ દબાવવાનો આક્ષેપ!

ટ્વિશા શર્માનું ગત 12મે ના રોજ ભોપાલમાં તેના સાસરીયાના ઘરે શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું. સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી દ્વારા સીજીઆઈ સૂર્યકાંત સમક્ષ રજૂ કરાયેલી સિક્રેટ નોટમાં મીડિયા રિપોર્ટ્સ અને હાઈકોર્ટના અવલોકનોને ટાંકીને મોટો ખુલાસો કરાયો છે. આ નોટ અનુસાર, ટ્વિશાના સાસુ નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ હોવાથી ન્યાયિક પ્રભાવનો ઉપયોગ કરીને આ કેસની નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાની ગંભીર આશંકાઓ સેવાઈ રહી છે.

દહેજ ઉત્પીડન અને સંસ્થાકીય કવર-અપનો ગંભીર આક્ષેપ

ટ્વિશા શર્માના પરિવાર વતી સાસરીયાઓ પર માનસિક ત્રાસ, દહેજની માંગણી અને સત્તાનો ઉપયોગ કરીને સમગ્ર મામલા પર પડદો પાડવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. સાસરી પક્ષનો ન્યાયિક તંત્ર સાથે ઊંડો સંબંધ હોવાને કારણે પીડિત પરિવારે આ મામલે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરાવવાની માંગ કરી હતી, જેને સીજીઆઈએ મંજૂરી આપી દીધી છે.

હાઈકોર્ટે આપ્યો AIIMSની ટીમ પાસે બીજી વાર પોસ્ટમોર્ટમ કરાવવાનો આદેશ

આ પહેલાં ટ્વિશાના પરિવારે મધ્યપ્રદેશ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટે આ મામલાની ગંભીરતા અને પરિવારની શંકાઓને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ કર્યું હતું કે, દરેક સામાન્ય માણસનો સમગ્ર ન્યાય પ્રણાલી પર ભરોસો અકબંધ રહે અને તમામ શંકાઓ દૂર થાય તે માટે આ કેસમાં બીજી વાર પોસ્ટમોર્ટમ કરાવવું અનિવાર્ય છે. હાઈકોર્ટે એઇમ્સના ડાયરેક્ટરને ભોપાલ આવીને નિષ્ણાત ડોક્ટરોની સ્વતંત્ર ટીમ પાસે આ તપાસ કરાવવાનો કડક આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટ હવે સમગ્ર દેશ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી શકે છે

સીજીઆઈ સૂર્યકાંતે આ મામલાને સુઓ મોટો ફોજદારી રિટ પિટિશન તરીકે નોંધવાની મંજૂરી આપી દીધી છે. સોમવારે થનારી આ સુનાવણી માત્ર ટ્વિશા કેસ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ ભવિષ્યમાં આવા સંવેદનશીલ કેસોમાં જ્યારે પ્રભાવશાળી લોકો સામેલ હોય, ત્યારે તપાસની નિષ્પક્ષતા અને અખંડિતતા જાળવવા માટે સુપ્રીમ કોર્ટ એક કડક પ્રોટોકોલ અથવા નવી માર્ગદર્શિકા પણ જાહેર કરી શકે છે.