India

હડકાયા અને જોખમી કૂતરાઓને 'ઇન્જેક્શન'થી મારી નાંખવાની સુપ્રીમ કોર્ટની લીલીઝંડી

By GS Team
20 May 20263 mins read
હડકાયા અને જોખમી કૂતરાઓને 'ઇન્જેક્શન'થી મારી નાંખવાની સુપ્રીમ કોર્ટની લીલીઝંડી

- જાહેર સ્થળોએથી રખડતા કૂતરા નહીં હટાવો તો કાર્યવાહી થશે : સુપ્રીમની રાજ્યોને ટકોર

- લોકોના જીવનનું રક્ષણ સરકારની જવાબદારી, કૂતરાઓના ત્રાસને અવગણી ન શકાય

- બાળકો-વૃદ્ધો પર કૂતરાના હુમલા, કરડવાની ઘટનાઓ ચિંતાજનક, તમામ હાઇકોર્ટો મામલા પર નજર રાખે : સુપ્રીમના આદેશ

નવી દિલ્હી : રખડતા કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે, એવામાં સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. સુપ્રીમ કોર્ટે એવા કૂતરાઓ કે જે કાબુ બહાર જઇ રહ્યા હોય કે હડકાયા થઇ ગયા હોય તેને દયામૃત્યુ આપવાની છૂટ આપી છે. એટલે કે આવા હડકાયા અને લોકો માટે જોખમકારક કૂતરાઓને મારી નાખવામાં આવશે. કેમ કે તેમના કરડવાથી માનવીઓમાં પણ હડકવા ફેલાવાના મામલા વધી રહ્યા છે. 

આ ઉપરાંત અગાઉ જે પણ આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યા હતા તેનો યોગ્ય રીતે અમલ કરવા તમામ રાજ્યોને સુપ્રીમે ટકોર કરી છે. જો યોગ્ય રીતે અમલ નહીં થાય તો અવમાનનાની કાર્યવાહી કરવા ચીમકી ઉચ્ચારી છે.    

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મેહતા, એનવી અંજારિયાની બેંચે ચુકાદો આપતા કહ્યું છે કે તાજેતરમાં પણ કૂતરા કરડવાની ઘટનાઓ સામે આવી રહી છે, લોકોના જીવનનું રક્ષણ કરવું તે કેન્દ્ર અને રાજ્યની સરકારોની જવાબદારી છે. લોકોને જીવન જીવવાનો જે અધિકાર મળ્યો છે તેનું રક્ષણ થવું જોઇએ.  જ્યારે કૂતરા કાબુ બહાર જતા રહે અને હડકવા કે જોખમી બીમારીનો ભોગ બને ત્યારે સારવારની કોઇ શક્યતા ના જણાય તો તેવા કેસોમાં આવા કૂતરાઓને દયામૃત્યુ આપી શકાય. સુપ્રીમ કોર્ટે પ્રશાસનને આવા કૂતરાઓની હત્યા કરવાની છૂટ આપી દીધી છે. 

આ પહેલા સુપ્રીમ કોર્ટે તમામ જાહેર સ્થળો જેવા કે સ્કૂલ, કોલેજો, બસ સ્ટેશનો વગેરે આસપાસ રખડતા કૂતરાઓને હટાવવા આદેશ આપ્યો હતો. આ આદેશની સામે કેટલાક શ્વાન પ્રેમીઓએ સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટને ફરી વિચારવા અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અપીલને ફગાવી દીધી છે અને પોતાના આદેશને યોગ્ય ઠેરવ્યો છે. એટલુ જ નહીં તેને વધુ ઝડપથી અમલ કરવા રાજ્યો અને કેન્દ્ર સરકારને કહ્યું છે. 

સુપ્રીમ કોર્ટે તેના નવા આદેશમાં કહ્યું છે કે પ્રશાસન એનિમલ બર્થ કન્ટ્રોલ નિયમોને ધ્યાનમાં રાખીને કાયદાકીય રીતે માન્ય હોય તેવા પગલા લે, જેમાં ઠીક ના થઇ શકે તેવા કૂતરાઓને મૃત્યુ આપવાનો પણ સમાવેશ થાય છે. આ દયામૃત્યુ સારવાર અશક્ય હોય, હડકવા થયો હોય કે લોકો માટે જોખમી હોય હુમલા કરતા તેવા કૂતરાઓને પ્રશાસન આપી શકશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જાહેર સ્થળો પર કૂતરાઓનું હોવુ જ એક રીતે ચેતવણી સમાન છે, વૃદ્ધો અને બાળકો પર કૂતરાઓના હુમલા અને કરડવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે પોતાના અગાઉના આદેશમાં કોઇ જ ફેરફાર કરવાની ના પાડી દીધી હતી. સુપ્રીમે કહ્યું છે કે વૃદ્ધો બાળકો પર હુમલા થઇ રહ્યા છે અમે આ બધાથી અજાણ થઇને ના રહી શકીએ. સુપ્રીમ કોર્ટે કેટલાક નવા આદેશ પણ રાજ્યોને જારી કર્યા છે.