Extramarital Affair Law: સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ વ્યક્તિ પોતાના જીવનસાથીના ગેરકાયદે સંબંધો (એક્સ્ટ્રા મેરિટલ અફેર)થી પરેશાન થઈને આત્મહત્યા કરે છે, તો માત્ર આ સંબંધોના આધારે પાર્ટનર પર આત્મહત્યા માટે ઉશ્કેરણીનો (દુષ્પ્રેરણ) કેસ ચલાવી શકાય નહીં.
આત્મહત્યા અને ઉશ્કેરણી અંગે કોર્ટની સ્પષ્ટતા
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને જસ્ટિસ અતુલ ચંદુરકરની બેન્ચે આ મામલે મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો (કલમ 306) ત્યારે જ ગણાય જ્યારે આરોપીએ કોઈ એવું સક્રિય કામ કર્યું હોય જેનાથી વ્યક્તિ મરવા માટે મજબૂર થઈ જાય. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે, સામેવાળી વ્યક્તિનો ઈરાદો સ્પષ્ટપણે મૃતકને આત્મહત્યા તરફ ધકેલવાનો હોવો જોઈએ. કાયદાની નજરમાં 'ઉશ્કેરણી' એટલે એવું કોઈ પગલું, જેના કારણે પીડિત વ્યક્તિ પાસે જીવ ટૂંકાવવા સિવાય અન્ય કોઈ રસ્તો જ ન બચ્યો હોય. માત્ર માનસિક દબાણ કે તણાવને ઉશ્કેરણી સમાન ગણી શકાય નહીં.
લગ્નેતર સંબંધથી ઉશ્કેરણી સાબિત ના થાય
સુપ્રીમ કોર્ટે આ મામલે છત્તીસગઢ હાઈકોર્ટના જૂના આદેશને રદબાતલ ઠેરવ્યો છે. હાઈકોર્ટે અગાઉ એવી દલીલ સાથે કેસ ચલાવવાની મંજૂરી આપી હતી કે, પત્નીના અન્ય પુરુષ સાથેના સંબંધોથી થતા માનસિક તણાવને કારણે પતિએ આત્મહત્યા કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે પત્નીના પ્રેમી વિરુદ્ધનો કેસ ખારીજ કરતા સ્પષ્ટ કર્યું કે, માત્ર અનૈતિક સંબંધો હોવા એ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો સાબિત કરવા માટે પૂરતું નથી. કોર્ટે અવલોકન કર્યું કે આરોપીએ કોઈ એવું ગુનાહિત કાર્ય કર્યું હોય કે જેનાથી મૃતકને મરવા માટે સીધી કે આડકતરી મદદ મળી હોય, તેવા કોઈ નક્કર પુરાવા રેકોર્ડ પર જોવા મળ્યા નથી.
આ પણ વાંચો: સંસદમાં પ્રિયંકા ગાંધીનો પાવર પ્લે, અમિત શાહ પણ હસી પડ્યા, રાહુલ ગાંધીએ કર્યા વખાણ
ઉશ્કેરણી સાબિત કરવા નક્કર પુરાવા અનિવાર્ય
આ ચુકાદામાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, આત્મહત્યા અને ઉશ્કેરણીની ઘટના વચ્ચે સીધો અને તાત્કાલિક સંબંધ હોવો જોઈએ. માત્ર માનસિક તણાવ કે સંબંધોની જાણ થવી એ કાયદાની નજરમાં ગુનો ઠેરવવા માટે પૂરતું નથી. ઉલ્લેખનીય છે કે, આ રાહત માત્ર અપીલ કરનાર પત્નીના પ્રેમીને જ મળી છે. મૃતકની પત્ની આ કેસમાં સહ-આરોપી છે, પરંતુ તેણે ટ્રાયલને પડકાર્યો ન હોવાથી તેની સામેનો કેસ યથાવત રહેશે. અદાલતે અંતમાં સારાંશ આપ્યો કે ઉશ્કેરણીના કૃત્યને સાબિત કરવા માટે નક્કર પુરાવા હોવા અનિવાર્ય છે.


