Get The App

‘મહિલાને તેની મરજી વિરુદ્ધ માતા બનવા મજબૂર કરી શકાય નહીં’ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
‘મહિલાને તેની મરજી વિરુદ્ધ માતા બનવા મજબૂર કરી શકાય નહીં’ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો 1 - image


Supreme Court On Abortion Case : સુપ્રીમ કોર્ટ દ્વારા મહિલાઓના પ્રજનન અધિકારો અને તેમની સ્વાયત્તતાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. શુક્રવારે (6 ફેબ્રુઆરી) સુપ્રીમ કોર્ટે એક સગીરાને 30 સપ્તાહનો ગર્ભ કાયદેસર રીતે દૂર કરવાની મંજૂરી આપી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, કોઈપણ મહિલા અને ખાસ કરીને સગીરાને તેની મરજી વિરુદ્ધ માતા બનવા માટે મજબૂર કરી શકાય નહીં.

મહિલાની પ્રજનન સ્વાયત્તતા સર્વોપરી

લાઈવ લોના રિપોર્ટ મુજબ, ન્યાયાધીશ બી.વી.નાગરત્ના અને ન્યાયાધીશ ઉજ્જવલ ભુઈયાની બેન્ચે આ મામલે સુનાવણી કરતા મહિલાની પ્રજનન સ્વાયત્તતાને સર્વોપરી ગણાવી છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, જ્યારે સગીરા પોતે ગર્ભ રાખવા માંગતી નથી, ત્યારે તેની સ્વાયત્તતાને મહત્વ આપવું જોઈએ. સગીરા હોવાના કારણે આ ગર્ભાવસ્થા પહેલેથી જ કાયદાકીય રીતે જટિલ હતી, પરંતુ કોર્ટે માનવીય અને માનસિક પાસાઓને ધ્યાને રાખી આ આદેશ આપ્યો છે.

સ્ત્રીની ઈચ્છા સૌથી મહત્વની

કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું છે કે, કયા કારણે ગર્ભાવર્થા થઈ છે, તે મુદ્દો નથી, પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે સગીરા પોતે શું ઈચ્છે છે. સગીરાના વકીલે દલીલ કરી હતી કે, ગેરકાયદે બાળકને જન્મ આપવાથી સામાજિક બદનામી અને માનસિક આઘાતનો સામનો કરવો પડશે. સુપ્રીમ કોર્ટે આ દલીલ સાથે ચુકાદો આપ્યો છે કે, જો માતા પોતે બાળકને જન્મ આપવા માંગતી ન હોય, તો તેને તેના માટે દબાણ કરવું તે તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.

આ પણ વાંચો : VIDEO : તંત્રના પાપે ખાડામાં પડતા યુવકનું મોત, આખી રાત પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો રહ્યો પરિવાર

હોસ્પિટલને પ્રક્રિયાની સોંપાઈ જવાબદારી

સુપ્રીમ કોર્ટે મુંબઈની એક હોસ્પિટલને ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે હોસ્પિટલને તમામ તબીબી પ્રોટોકોલનું પાલન કરીને સુરક્ષિત રીતે ગર્ભપાત કરવાની જવાબદારી સોંપી છે. જોકે, કોર્ટે સ્વીકાર્યું હતું કે, આવા આદેશો આપવા તેમના માટે પણ મુશ્કેલ હોય છે.

'અમારા માટે આવો નિર્ણય લેવો મુશ્કેલ'

ન્યાયાધીશ નાગરત્નાએ ભાવુક થતા જણાવ્યું હતું કે, 'આવો નિર્ણય લેવો અમારા માટે પણ મુશ્કેલ છે, કારણ કે જે બાળક જન્મ લેવાનું છે તે પણ એક જીવન છે. પરંતુ પ્રશ્ન એ છે કે જ્યારે સગીરા પોતે આ ગર્ભાવસ્થાને આગળ વધારવા નથી માંગતી, ત્યારે તેને મજબૂર કરી શકાય નહીં. જો 24 સપ્તાહમાં ગર્ભપાત થઈ શકતો હોય, તો 30 સપ્તાહમાં કેમ નહીં? સૌથી મોટી સમસ્યા એ છે કે તે પોતે આ બાળકને જન્મ આપવા તૈયાર નથી.'

આ પણ વાંચો : ભારતની સરહદ નજીક જાનૈયા ભરેલી બસ ખીણમાં ખાબકી