India

સમગ્ર ભારતમાં ખાંડના ભાવ રૅકોર્ડ સ્તરે, તહેવારોની સિઝન પહેલાં ગુજરાતમાં છૂટક ભાવ ₹65-70 પ્રતિ કિલો સુધી પહોંચ્યા

By GS Team
20 Aug 20263 mins read
TukuTouch Logo
દેશ અને ગુજરાતમાં ખાંડના ભાવ ₹41.50થી વધી ₹60 આસપાસ પહોંચી ગયા છે. રિફાઇન્ડ ખાંડ ₹65 પ્રતિ કિલો વેચાઈ રહી છે. સ્ટોક ઘટવા, ઇથેનોલ ઉત્પાદનમાં વપરાશ અને તહેવારોની માંગને કારણે આ ભાવવધારો થયો છે. કેન્દ્ર સરકારે જથ્થાબંધ વપરાશકર્તાઓ માટે સ્ટોક મર્યાદા 15 દિવસ કરી છે. જો પુરવઠો નહીં સુધરે તો ભાવ ₹70 સુધી પહોંચી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સમગ્ર ભારતમાં ખાંડના ભાવ રૅકોર્ડ સ્તરે, તહેવારોની સિઝન પહેલાં ગુજરાતમાં છૂટક ભાવ ₹65-70 પ્રતિ કિલો સુધી પહોંચ્યા
AI તસવીર

Sugar Price Hike Gujarat: દેશ સહિત ગુજરાતમાં ખાંડના ભાવમાં મસમોટો ઉછાળો આવ્યો છે. ગુજરાતમાં ખાંડના ભાવ ₹41.50થી વધીને ₹60ની આસપાસ પહોંચી ગયા છે. સામાન્ય ખાંડનો ભાવ અગાઉ પ્રતિ કિલો ₹38ની આસપાસ હતો, જે 1 જુલાઈએ વધીને ₹41.50 થયો હતો. હવે આ ભાવ પ્રતિ કિલો ₹60ની આસપાસ પહોંચી ગયો છે, જ્યારે રિફાઇન્ડ ખાંડ ₹65 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. વેપારીઓનું કહેવું છે કે, આટલા ઊંચા ભાવે પણ ખાંડ મેળવવી મુશ્કેલ બની રહી છે. જો મુખ્ય તહેવારો પહેલા પુરવઠાની સ્થિતિમાં સુધારો નહીં થાય, તો ભાવ પ્રતિ કિલો ₹70 સુધી પહોંચી શકે છે, તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગત 1 જુલાઈએ GST સિવાય ગુજરાતમાં S/30 ગ્રેડ ખાંડનો એક્સ-મિલ ભાવ ₹4,001-4,031 પ્રતિ ક્વિન્ટલ અને M/30 ગ્રેડનો ભાવ ₹4,141-4,151 પ્રતિ ક્વિન્ટલ હતો.

ખાંડના ભાવ કેમ વધી રહ્યા છે?

ભાવ વધારા માટે કેટેગરી અનુસાર કેટલાક મુખ્ય પરિબળો જવાબદાર છે.

ઘટતો સ્ટોક: બજાર હાલની પિલાણ સીઝનના અંત તરફ વધી રહ્યું છે, જેથી મિલોમાં સ્ટોક ઘટી રહ્યો છે. 2026-27ની સીઝન માટેના ઓપનિંગ સ્ટોક અંગે વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી છે. એક અંદાજ મુજબ 30 સપ્ટેમ્બર સુધીમાં ક્લોઝિંગ સ્ટોક ઘટીને 3-3.3 મિલિયન ટન (30-33 લાખ ટન) આસપાસ રહી શકે છે, જે વર્ષોમાં સૌથી ઓછો સ્ટોક ગણાશે.

ઇથેનોલ ઉત્પાદનમાં વપરાશ: શેરડીના રસ અને B-હેવી મોલાસીસનો એક ભાગ ઇથેનોલ ઉત્પાદન તરફ વાળવામાં આવ્યો છે, જેનાથી ખાંડના ઉત્પાદન માટેનો પુરવઠો ઘટ્યો છે. ભારતના ઇથેનોલ-બ્લેન્ડિંગ પ્રોગ્રામના વિસ્તરણ સાથે આ મુદ્દો વધુ મહત્ત્વપૂર્ણ બન્યો છે.

તહેવારોની માંગ: ઑગસ્ટથી નવેમ્બર વચ્ચે તહેવારોની મોસમ શરૂ થતાં ખાંડની માંગ વધી જાય છે. રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, જન્માષ્ટમી, દશેરા અને દિવાળી માટે મીઠાઈ ઉત્પાદકો, કન્ફેક્શનરી કંપનીઓ, બેકરીઓ અને ફૂડ-પ્રોસેસિંગ યુનિટ્સ સ્ટોક કરી રહ્યા છે, જેનાથી બજારમાં તંગી વધી છે.

ઉત્પાદન વધારે હોવા છતાં પુરવઠો મર્યાદિત

આ સીઝનમાં રાષ્ટ્રીય સ્તરે ખાંડનું ઉત્પાદન વધુ હોવા છતાં ભાવ વધ્યા છે. ISMAના ડેટા અનુસાર, 1 ઑક્ટોબરથી 31 જુલાઈ વચ્ચે ભારતમાં 349 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે, જે ગત વર્ષના 295 લાખ ટનની સરખામણીએ 18% કરતાં વધુ છે. જોકે, ખાંડ ઉદ્યોગનું માનવું છે કે ભાવ વધારાનો અર્થ ખાંડની સંપૂર્ણ અછત નથી. ISMA અને નેશનલ ફેડરેશન ઑફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝે જણાવ્યું છે કે આવનારી સીઝન સુધી ઘરઆંગણે જરૂરિયાત પહોંચી વળવા પૂરતો સ્ટોક છે. તેમણે તહેવારો પહેલા પુરવઠો સુધારવા 2026-27ની સીઝન 10-15 દિવસ વહેલી શરૂ કરવાની દરખાસ્ત પણ મૂકી છે.

આ પણ વાંચોઃ મિડલ ક્લાસનું બજેટ ખોરવાશે! તહેવારો ટાણે જ ખાંડનો ભાવ વધતાં સરકાર લાવી નવો નિયમ

કેન્દ્ર સરકારે સ્ટોક મર્યાદા ઘટાડીને 15 દિવસ કરી

ખાંડના વધતા ભાવને નિયંત્રિત કરવા કેન્દ્ર સરકારે જથ્થાબંધ વપરાશકર્તાઓ પર નિયંત્રણો સખત કર્યા છે. 1 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર સુધી, મહિને 10 મેટ્રિક ટનથી વધુ ખાંડ વાપરતા ઉત્પાદકો (જેમ કે મીઠાઈ વિક્રેતાઓ, સોફ્ટ-ડ્રિંક્સ ઉત્પાદકો વગેરે) માત્ર 15 દિવસનો સ્ટોક જ રાખી શકશે, જે મર્યાદા અગાઉ 30 દિવસની હતી.

મિલ તપાસ અને આયાત પર વિચારણા

ડાયરેક્ટોરેટ ઑફ સુગરે મિલોને આદેશ આપ્યો છે કે, ખરીદદારો વેચાણના 7 દિવસમાં સ્ટોક ઉપાડે તેની ખાતરી કરવામાં આવે. આ ઉપરાંત, કેન્દ્ર સરકાર ઘરઆંગણે પુરવઠો વધારવા માટે મર્યાદિત શુલ્ક-મુક્ત (ડ્યુટી-ફ્રી) ખાંડની આયાત પર પણ વિચાર કરી રહી છે.

મીઠાઈ ઉત્પાદકો પર બોજ

ભાવ વધારાની અસર મીઠાઈ ઉત્પાદકો પર પડવા લાગી છે. તહેવારોની માંગ વચ્ચે ખાંડના ઊંચા ભાવને કારણે મોંઘવારી વધશે અથવા તો અંતે ગ્રાહકોએ જ વધારે કિંમત ચૂકવવી પડશે. સામાન્ય પરિવારો માટે ચિંતા એ છે કે, જો નવી સીઝન સુધી પુરવઠો મર્યાદિત રહેશે, તો હાલના ₹58-65 પ્રતિ કિલોના રાષ્ટ્રીય ભાવ અને ₹60-65 પ્રતિ કિલોના ગુજરાતના ભાવ તહેવારો દરમિયાન વધુ ઊંચે જઈ શકે છે.