Get The App

કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો, જાણો કેમ લીધો નિર્ણય

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો, જાણો કેમ લીધો નિર્ણય 1 - image


Sugar Export Ban : કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ખાંડના ભાવ પર નિયંત્રણ મેળવવા અને સ્થાનિક પુરવઠો જાળવી રાખવા માટે ખાંડના નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા બુધવારે ખાંડના નિકાસ અંગે એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં ખાંડના વધતા ભાવને અંકુશમાં લેવા અને સ્થાનિક બજારમાં પર્યાપ્ત માત્રામાં ખાંડ ઉપલબ્ધ રહે તે હેતુથી સરકારે ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે.


સપ્ટેમ્બર 2026 સુધી પ્રતિબંધ

સરકારના આ આદેશ મુજબ, કાચી (Raw), સફેદ અને રિફાઇન્ડ ખાંડના નિકાસ પર સપ્ટેમ્બર 2026 સુધી રોક લગાવવામાં આવી છે. વધુમાં, આ પ્રતિબંધના સમયગાળાને પરિસ્થિતિ મુજબ ભવિષ્યમાં વધુ લંબાવવાની શક્યતા પણ સરકારે ખુલ્લી રાખી છે.

નિર્ણય પાછળનું મુખ્ય કારણ

છેલ્લા કેટલાક સમયથી દેશમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાંડ એ સામાન્ય માણસના રસોડાની અનિવાર્ય વસ્તુ હોવાથી, તેના ભાવ આસમાને ન પહોંચે તે માટે સરકારે અગમચેતીના ભાગરૂપે આ પગલું ભર્યું છે. નિકાસ પર રોક લાગવાને કારણે હવે દેશમાં ઉત્પાદિત થતી ખાંડનો મોટો જથ્થો સ્થાનિક બજારોમાં જ રહેશે, જેનાથી ગ્રાહકોને વ્યાજબી ભાવે ખાંડ મળી રહેશે.

કોને પ્રતિબંધમાંથી મુક્તિ મળશે?

આ પ્રતિબંધ તમામ પ્રકારની નિકાસ પર લાગુ થશે નહીં. નીચેની શરતો હેઠળ ખાંડની નિકાસ ચાલુ રાખી શકાશે:

CXL અને TRQ ક્વોટા: યુરોપિયન યુનિયન (EU) અને અમેરિકા (USA) માં CXL અને TRQ ક્વોટા હેઠળ થતી નિકાસને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.

એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ (AAS): આ સ્કીમ હેઠળ થતી નિકાસ પર પ્રતિબંધ લાગુ પડશે નહીં.

સરકારી સ્તરે નિકાસ (G2G): અન્ય દેશોની ખાદ્ય સુરક્ષા (Food Security) ની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકારથી સરકાર (Government-to-Government) વચ્ચે થતા શિપમેન્ટને મંજૂરી અપાશે.

ચાલુ નિકાસ: જે કન્સાઇનમેન્ટ્સ પહેલેથી જ એક્સપોર્ટ પાઈપલાઈનમાં છે અથવા ભૌતિક રીતે નિકાસની પ્રક્રિયામાં છે, તેમને પણ મુક્તિ આપવામાં આવી છે.