ઈરાન વર્ષોથી ભારતનું સહયોગી, ઈઝરાયલના હુમલા પર ભારતનું મૌન અયોગ્ય: સોનિયા ગાંધી
Images Source: FB |
Iran-Israel War: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર એક લેખ લખ્યો છે. જેમાં તેમણે ઈરાન પર ઈઝરાયલના હુમલાની નિંદા કરી છે અને કેન્દ્ર સરકારના વલણ પર પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે, 'ઈરાન અને ભારતની જૂની મિત્રતા રહી છે અને ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો હંમેશા સારા રહ્યા છે. વર્ષ 1994માં જમ્મુ-કાશ્મીર મુદ્દો સૌથી યાદગાર છે. કારણ કે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગમાં ભારત વિરુદ્ધ ઠરાવ લાવવામાં આવ્યો હતો, ત્યારે ઈરાને ભારતને સમર્થન આપ્યું હતું અને તે ઠરાવને રોકવામાં મદદ કરી હતી.'
સોનિયા ગાંધીએ ભારત અને ઇઝરાયલ વચ્ચેના સંબંધો અંગે શું કહ્યું?
ઈઝરાયલ અને ભારત વચ્ચેના સંબંધો પર સોનિયા ગાંધીએ લખ્યું કે, 'છેલ્લા કેટલાક દાયકાઓથી ભારત અને ઈઝરાયલ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો પણ વધુ મજબૂત બની રહ્યા છે. યુદ્ધની પરિસ્થિતિમાં ભારત પાસે શાંતિ અને સંવાદનો સેતુ બનવાની રાજદ્વારી શક્તિ અને નૈતિક જવાબદારી છે. આ પશ્ચિમ એશિયાના દેશોમાં રહેતા અને કામ કરતા તમામ નાગરિકોની સલામતીનો મામલો છે. તેમની સુરક્ષાને ગંભીરતાથી લેતા, કેન્દ્ર સરકારે વિદેશી રાજદ્વારીમાં પોતાનું સ્થાન મજબૂત બનાવવું પડશે.'
સાતમી ઓક્ટોબર 2023ના રોજ હમાસ દ્વારા ઈઝરાયલ પર કરવામાં આવેલા હુમલાની સોનિયા ગાંધીએ નિંદા કરી છે. તેમણે ઇઝરાયલ દ્વારા હમાસ પર કરવામાં આવેલા બદલાને ભયાનક અને અપ્રમાણસર ગણાવ્યો હતો. તેમણે લખ્યું કે, 'આવા ભયાનક હુમલા સામે ભારત ચૂપ રહી શકે નહીં. 55,000થી વધુ પેલેસ્ટિનિયનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘરો અને હોસ્પિટલો ધરાશાયી થઈ છે. ગાઝા દુષ્કાળની આરે છે અને ત્યાંના લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.'
આ પણ વાંચો: વિશ્વમાં ઉથલપાથલ વચ્ચે પુતિનની ભારત સાથેના સંબંધો અંગે મોટી જાહેરાત, ઓઈલ-ગેસ પર ફોકસ
મોદી સરકાર પર નિશાન સાધ્યું
મોદી સરકાર પર નિશાન સાધતા સોનિયા ગાંધીએ લખ્યું, 'મોદી સરકારે ભારતની સાંસ્કૃતિક અને પરંપરાગત નીતિ જેમાં બે-રાષ્ટ્રના સમાધાનની નીતિ છે. તેમણે આ નીતિની પ્રતિબદ્ધતાનો ત્યાગ કરી દીધો છે. જેમાં એક સ્વતંત્ર પેલેસ્ટાઇનની કલ્પના કરવામાં આવે છે, જે પરસ્પર સુરક્ષા અને આદર સાથે ઈઝરાયલ સાથે ખભે ખભો મિલાવીને રહી શકે.'