Somvati Amavasya 2026 Date Shubh Muhurat : સનાતન ધર્મમાં અમાસ તિથિનું ખૂબ જ વિશેષ મહત્વ માનવામાં આવે છે. પરંતુ, જ્યારે અમાસ સોમવારના દિવસે આવે છે, ત્યારે તેનું મહત્વ અનેકગણું વધી જાય છે, અને તેને 'સોમવતી અમાસ' કહેવામાં આવે છે. આગામી 15 જૂન 2026ના રોજ વર્ષની પ્રથમ સોમવતી અમાસ આવી રહી છે. સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત હોવાથી આ દિવસ ભોળાનાથ અને માતા પાર્વતીની વિશેષ કૃપા મેળવવા માટે અત્યંત પૂણ્યશાળી અને મંગળકારી માનવામાં આવે છે.
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, સોમવતી અમાસના દિવસે શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના અને દાન કરવાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. આ દિવસે કરવામાં આવેલા શુભ કાર્યોનું પૂણ્યફળ અનેકગણું વધીને પ્રાપ્ત થાય છે.
સોમવતી અમાસ તિથિ અને શુભ મુહૂર્ત
પંચાંગ અનુસાર, અમાસ તિથિની શરૂઆત અને સમાપ્તિનો સમય નીચે મુજબ છે:
અમાસ તિથિ પ્રારંભ: 14 જૂન 2026ના રોજ બપોરે 12 વાગ્યાને 20 મિનિટે
અમાસ તિથિ સમાપ્ત: 15 જૂન 2026, સોમવારના રોજ સવારે 8 વાગ્યાને 24 મિનિટે
ઉદયા તિથિ: શાસ્ત્રોક્ત નિયમ મુજબ ઉદયા તિથિના આધારે સોમવતી અમાસ 15 જૂનના રોજ જ ઉજવવામાં આવશે.
વિશેષ શુભ મુહૂર્ત
બ્રહ્મ મુહૂર્ત: સવારે 04.02 વાગ્યાથી સવારે 04.42 વાગ્યા સુધી.
ગોધૂલિ મુહૂર્ત: સાંજે 07.17 વાગ્યાથી સાંજે 07.37 વાગ્યા સુધી.
સોમવતી અમાસની સરળ પૂજા વિધિ
આ પવિત્ર દિવસે અક્ષય પૂણ્યની પ્રાપ્તિ માટે નીચે મુજબની વિધિ કરવી ઉત્તમ માનવામાં આવે છે.
પવિત્ર સ્નાન: આ દિવસે સવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. જો શક્ય હોય તો પવિત્ર નદી કે ગંગાજીમાં સ્નાન કરવું, અથવા ઘરમાં જ સ્નાનના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું.
શિવ-પાર્વતી પૂજા: સ્નાન કર્યા પછી નજીકના શિવ મંદિરમાં જઈને ભગવાન શિવ અને માતા પાર્વતિની સંયુક્ત પૂજા કરવી.
અભિષેક: મહાદેવને ગાયના કાચા દૂધ અને જળથી અભિષેક કરવો. પૂજામાં બીલીપત્ર, અક્ષત (ચોખા) અને ચંદનનો તિલક અર્પણ કરી આરતી કરવી.

દાન અને પિતૃ તર્પણનું વિશેષ મહત્વ
સોમવતી અમાસના દિવસે દાન કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ દિવસે અન્નદાનને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે.

આ વસ્તુઓનું કરો દાન: જરૂરિયાતમંદ લોકોને ચોખા, દાળ, લોટ, મીઠું, ફળ, શાકભાજી, વસ્ત્રો અને દક્ષિણાનું દાન કરવું જોઈએ.
પિતૃ દોષમાંથી મુક્તિ: આ પવિત્ર દિવસે ઘણા લોકો પોતાના પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કર્મ પણ કરે છે, જેનાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.


