India

તમિલનાડુનાં સીફૂડ એક્સપોર્ટ યુનિટમાં એમોનિયા લીક થતાં સાતનાં મોત

By GS Team
22 Jun 20261 min read
તમિલનાડુનાં સીફૂડ એક્સપોર્ટ યુનિટમાં એમોનિયા લીક થતાં સાતનાં મોત

રાજ્યનાં ગવર્નર રાજેન્દ્ર અલેંકરે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ

67 લોકોને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જે પૈકી સાત લોકો વેન્ટિલેટર પર

ચેન્નાઇ: તમિલનાડુનાં સીફૂડ એક્સપોર્ટ યુનિટમાં એમોનિયા ગેસ લીક થવાથી સાત લોકોનાં મોત થયા છે. જ્યારે ૬૭ લોકોને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે પૈકી સાત લોકો વેન્ટિલેટર પર છે.

તિરુવલ્લૂર જિલ્લા કલેક્ટર એસ કવિતાએ જણાવ્યું હતું કે કુલ ૬૭ અસરગ્રસ્ત શ્રમિકોને તરત જ સ્થાનિક હોસ્પિટલોમાં લઇ જવામાં આવ્યા હતાં. 

આ ઘટના પેેરિયાપાલયમની પાસે કનિગઇપાયરમાં આવેલ સેંટ પીટર્સ એન્ડ પોલ  સીફૂડ એક્સપોર્ટ્સ ફેસિલિટીમાં બની હતી. 

અસરગ્રસ્ત કર્મચારીઓ જેમાંથી મોટાભાગનાં ઉત્તરનાં રાજ્યોમાંથી છે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. જે લોકોમાં ચક્કર અને વોમિટિંગ જેવા લક્ષણો જોવા  મળ્યા તેમને પણ સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં.

ગવર્નર રાજેન્દ્ર અલેંકરે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે. 

લોકભવનથી જારી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તિરુવલ્લૂર જિલ્લાનાં પેરિયાપાલયમની પાસે કનિગઇપાયર ગામમાં એક ઝીંગા પ્રોસેસિંગ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીક થવાની ઘટનાથી મને ખૂબ જ દુઃખ થયું છે. 

તેમણે જણાવ્યું હતું કે હું એ પીડિત પરિવારો પ્રત્યે પોતાની ઉંડી સંવેદના વ્યક્ત કરું છું જેમણે આ કમનસીબ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. 

હું પ્રાર્થના કરું છું કે  તેમને આ મુશ્કેલ સમયમાં હિંમત મળે. જે લોકોની સારવાર ચાલી રહી છે તે તમામની ત્વરિત સાજા થવાની પ્રાર્થના કરું છું.