ભારતમાં ઋતુ ચક્ર ખોરવાયું: 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ગુજરાત સહિત 27 રાજ્યો પ્રભાવિત, 315 જિલ્લા રેડઝોનમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Summer Monsoon 2026 Deficient Rainfall: ભારતમાં ચાલુ વર્ષે ઉનાળુ ચોમાસાની શરૂઆત છેલ્લા દોઢ દાયકામાં સૌથી નબળી રહી છે. જેણે દેશના કૃષિ ક્ષેત્ર અને વહીવટીતંત્રની ચિંતામાં મોટો વધારો કર્યો છે. જૂન મહિનામાં સમગ્ર દેશમાં સરેરાશ કરતાં 42 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જેના કારણે દેશનો 76 ટકા હિસ્સો હાલ વરસાદની ભારે અછતનો સામનો કરી રહ્યો છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, પ્રશાંત મહાસાગરમાં સક્રિય થયેલી 'અલ નીનો'ની પ્રતિકૂળ અસરોને કારણે આગામી જુલાઈ મહિનો પણ સામાન્ય કરતાં વધુ સૂકો રહેવાની સંભાવના છે.
ડેમોમાં પાણી તળિયે, મુખ્ય જળાશયો ખાલીખમ
સમગ્ર દેશમાં પીવાના પાણી અને સિંચાઈ માટે મોનિટર કરવામાં આવતા 166 મુખ્ય જળાશયોમાં પાણીનું સ્તર ચિંતાજનક રીતે ઘટી ગયું છે. 25 જૂનની સ્થિતિએ આ ડેમોમાં તેમની કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર 26 ટકા (આશરે 48 અબજ ક્યુબિક મીટર) જ લાઈવ સ્ટોરેજ બચ્યું છે. પાણીની સપાટી ઘટીને ઈન્દિરા સાગરમાં 14 ટકા, નાગાર્જુન સાગરમાં 5 ટકા અને તેહરી ડેમમાં માત્ર 2 ટકા સુધી પહોંચી ગઈ છે, જે આગામી સમયમાં જળસંકટ ઊભું થવાના સ્પષ્ટ સંકેતો આપે છે.
વર્ષ 2009 જેવા ભયાનક દુષ્કાળની આશંકા
હવામાન ભૌતિકશાસ્ત્રી અને પૂર્વ કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન સચિવ માધવન રાજીવનના જણાવ્યા અનુસાર, ચાલુ ચોમાસાની આ સ્થિતિ વર્ષ 2009 ના ભયાનક દુષ્કાળ જેવા લક્ષણો દર્શાવી રહી છે. તે વર્ષે પણ જૂનમાં 47 ટકા ઓછો વરસાદ પડ્યો હતો અને આખું ચોમાસું 22 ટકા નીચું રહ્યું હતું. આ વર્ષે પણ જૂન મહિનામાં બંગાળની ખાડીમાં એક પણ લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ નથી, જે સામાન્ય રીતે મધ્ય અને ઉત્તર ભારતમાં વ્યાપક વરસાદ લાવવા માટે ટ્રિગરનું કામ કરે છે.
27 રાજ્યો અસરગ્રસ્ત, ટૂંકા ગાળાના પાક લેવા સરકારની અપીલ
ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના 27 રાજ્યો હાલમાં વરસાદની અછતનો સામનો કરી રહ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલય અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) દ્વારા દેશના 315 જિલ્લાઓને અત્યંત સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 111 એવા હાઈ-પ્રાયોરિટી જિલ્લાઓ છે. જ્યાં સિંચાઈ કવરેજ 25 ટકાથી પણ ઓછું છે. સરકારે રાજ્ય સરકારોને અપીલ કરી છે કે તેઓ ખેડૂતોને ઓછું પાણી માંગતા અને ટૂંકા ગાળાના વૈવિધ્યસભર પાક ઉગાડવા માટે પ્રોત્સાહિત કરે અને પીવાના પાણીના પુરવઠાને પ્રાથમિકતા આપે. જો કે, સરકારે આશ્વાસન આપ્યું છે કે દેશમાં ઘઉં અને ચોખાના બફર સ્ટોક પૂરતા પ્રમાણમાં હોવાથી ખાદ્ય સુરક્ષા પર કોઈ તાત્કાલિક ખતરો નથી. કૃષિ વિજ્ઞાનીઓના મતે, ખેતીના વાવેતર માટે જૂન કરતાં જુલાઈ અને ઓગસ્ટ મહિનાનો વરસાદ વધુ નિર્ણાયક હોય છે, તેથી ખરીફ પાકના કુલ ઉત્પાદન પર અલ નીનોની ચોક્કસ શું અસર થશે તે જુલાઈના અંતમાં જ સ્પષ્ટ થઈ શકશે.









