સાઈ પલ્લવી-યશ શાનદાર છે, પણ રણબીર કપૂર...: 'રામાયણ' ફિલ્મની કાસ્ટિંગથી રામાનંદ સાગરના પૌત્ર નારાજ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ramayana Casting Controversy: નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'ને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને સાઈ પલ્લવી દ્વારા સીતાનું પાત્ર ભજવવા અંગે લોકોના અલગ-અલગ અભિપ્રાય છે. કોઈ તેમની સાદગીના વખાણ કરી રહ્યું છે, તો કોઈ તેમને આ પાત્ર માટે યોગ્ય નથી માની રહ્યું. પરંતુ હવે રામાનંદ સાગરના પૌત્ર શિવ સાગરે આ સમગ્ર વિવાદ પર પોતાનો મત રજૂ કર્યો છે અને સાઈ પલ્લવીનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. જોકે, તેમણે રણબીર કપૂરને ભગવાન રામના રોલમાં લેવા અંગે પોતાની ચિંતા પણ વ્યક્ત કરી છે.
સાઈ પલ્લવી-યશ શાનદાર
શિવ સાગરે કહ્યું કે, 'મને 'રામાયણ'નું નવું ટ્રેલર ખૂબ જ પસંદ આવ્યું. અગાઉના ટીઝરમાં વધુ માહિતી નહોતી, પરંતુ આ વખતે ટ્રેલરમાં પાત્રો, VFX અને રાવણની ઝલકે પ્રભાવિત કર્યા છે.'
તેમણે કહ્યું કે, 'મને યશનો રાવણવાળો લુક ખૂબ જ પસંદ આવ્યો. તો બીજી તરફ સાઈ પલ્લવી પણ સીતાના રોલ માટે શાનદાર પસંદ છે. બંને સાઉથ ઈન્ડિયાથી આવે છે અને આપણી પૌરાણિક વાર્તાઓને બાળપણથી સાંભળતા તેમજ સમજતા મોટા થયા છે. તેથી તેમને આ પાત્રોનો સ્વભાવ અને લાગણીઓ સારી રીતે સમજાય છે. આ જ કારણ છે કે બંને પોતાના રોલમાં પૂરેપૂરા ઢળેલા નજર આવે છે.'
વાસ્તવમાં સાઈ પલ્લવીના સીતા બનવા પર સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાયેલું છે. કેટલાક લોકો તેના લુક, કોસ્ચ્યુમ, હિન્દી ભાષા અને સ્ક્રીન પ્રેઝન્સ પર સવાલો ઉઠાવી રહ્યા છે. તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો તેનું સમર્થન પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, 'કોઈપણ કલાકારની અસલી ઓળખ તેનો અભિનય હોય છે, માત્ર ભાષા કે લુક નહીં.'
રણબીક કપૂરને લઈને કેમ ચિંતા વ્યક્ત કરી?
એક તરફ જ્યાં શિવ સાગરે સાઈ પલ્લવી અને યશની પ્રશંસા કરી, તો બીજી તરફ રણબીર કપૂરને ભગવાન રામના રોલમાં લેવા અંગે તેમણે થોડો સંદેહ વ્યક્ત કર્યો છે.
તેમણે કહ્યું કે, 'ભગવાન રામ જેવા પાત્ર માટે આપણે હંમેશાં નવા ચહેરા પસંદ કરતા આવ્યા છીએ જેથી દર્શકો તે કલાકારને એ જ રૂપમાં સ્વીકારી શકે. પરંતુ રણબીર કપૂરની પહેલેથી જ એક મજબૂત ઈમેજ બનેલી છે. ખાસ કરીને 'એનિમલ' પછી તેની છબી અલગ પ્રકારની બની ગઈ છે. તેથી મને ખબર નથી કે લોકો તેમને ભગવાન રામના રૂપમાં સરળતાથી સ્વીકારી શકશે કે નહીં.'
શિવ સાગરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે 'રામાયણ'ના ટ્રેલર બાદ ફિલ્મની કાસ્ટિંગને લઈને વિવાદ વધી ગયો છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે રિલીઝ પછી દર્શકો સાઈ પલ્લવીને સીતા અને રણબીર કપૂરને ભગવાન રામના રૂપમાં કેટલા પસંદ કરે છે.









