Get The App

સબરીમાલા વિવાદ : ધાર્મિક પરંપરાઓમાં સરકાર દખલ ન કરે, જૈન સંગઠનોની સ્પષ્ટ રજૂઆત

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
સબરીમાલા વિવાદ : ધાર્મિક પરંપરાઓમાં સરકાર દખલ ન કરે, જૈન સંગઠનોની સ્પષ્ટ રજૂઆત 1 - image

Jain Organizations On Sabarimala Case : સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ રહેલા સબરીમાલા સંદર્ભના કેસમાં વિવિધ જૈન સંગઠનોએ અત્યંત મહત્વની દલીલો રજૂ કરી છે. જૈન સંગઠનોએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, કોઈપણ ધર્મની પ્રથાઓ અને તેના નિયમો નક્કી કરવાનો અધિકાર માત્ર તે ધર્મના અનુયાયીઓ પાસે જ હોવો જોઈએ. કોઈ અન્ય ધર્મની વ્યક્તિને બીજા ધર્મની ધાર્મિક પરંપરાઓ કે પ્રથાઓને પડકારવાની મંજૂરી આપવી જોઈએ નહીં.

‘કઈ પ્રથા ધાર્મિક છે અને કઈ નથી તે નક્કી કરવાનું કામ અદાલતોનું નથી’

જૈન સંગઠન દ્વારા અરજીમાં એવો તર્ક અપાયો છે કે, બંધારણની કલમ-25 હેઠળ ધાર્મિક સ્વતંત્રતામાં કોઈપણ ધર્મને પોતાની પ્રથાઓ વ્યાખ્યાયિત કરવાની અને તેને સંચાલિત કરવાની સ્વતંત્રતા મળેલી છે. કઈ પ્રથા ધાર્મિક છે અને કઈ નથી તે નક્કી કરવાનું કામ અદાલતોનું નથી પરંતુ તે ધર્મના અનુયાયીઓનું છે. જ્યાં સુધી ધર્મની અંદર ઉકેલી ન શકાય તેવો આંતરિક વિવાદ ઊભો ન થાય ત્યાં સુધી ન્યાયતંત્રએ તેમાં દખલ ન કરવી જોઈએ.

ધર્મ એ બંધારણની દેન નથી : જૈન સંગઠનો

જૈન સંગઠનોએ વધુમાં સ્પષ્ટ કહ્યું છે કે, રાજ્યની ધારાસભા, કારોબારી કે ન્યાયતંત્ર પાસે કોઈ પણ ધર્મની પ્રથાઓને મર્યાદિત કરવાનો અધિકાર ન હોવો જોઈએ કારણ કે ધર્મ એ બંધારણની દેન નથી. અદાલતો ધાર્મિક બાબતોમાં માત્ર ત્યારે જ હસ્તક્ષેપ કરી શકે જ્યારે સંપ્રદાયની અંદર એવો વિવાદ હોય જે આંતરિક રીતે ઉકેલી શકાય તેમ ન હોય અથવા જ્યારે રાજ્ય દ્વારા બનાવવામાં આવેલ કાયદો ધાર્મિક પ્રથાઓને સીધી અસર કરતો હોય. જોકે આવી સ્થિતિમાં પણ અદાલતે એ નક્કી ન કરવું જોઈએ કે કઈ પ્રથા ધર્મનો આવશ્યક કે અભિન્ન હિસ્સો છે.

આ પણ વાંચો : ‘કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે: યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન

જૈન સંગઠનોએ વધુમાં શું કહ્યું?

સંગઠનોના મતે 'essential religious practice' એટલે કે આવશ્યક ધાર્મિક પ્રથાના અવધારણાનો ઉપયોગ ખૂબ મર્યાદિત હોવો જોઈએ કારણ કે આ શબ્દ બંધારણમાં નથી પરંતુ ન્યાયિક વ્યાખ્યા દ્વારા આવ્યો છે. અદાલતે માત્ર એટલું જ જોવું જોઈએ કે રાજ્યનો હસ્તક્ષેપ જાહેર વ્યવસ્થા, નૈતિકતા કે સ્વાસ્થ્યના આધારે ઉચિત છે કે નહીં.

‘કોર્ટ ધાર્મિક માન્યતાને માત્ર પોતાના દ્રષ્ટિકોણથી અનૈતિક જાહેર ન કરી શકે’

દલીલોમાં એવું પણ કહેવાયું છે કે, કલમ-25 અને 26ને બંધારણના મૂળભૂત માળખાનો હિસ્સો માનવો જોઈએ. ધર્મની સ્વતંત્રતાનો સીધો સંબંધ સમાનતા (કલમ-14), અભિવ્યક્તિની સ્વતંત્રતા (કલમ-19) અને વ્યક્તિગત સ્વતંત્રતા (કલમ-21) સાથે જોડાયેલો છે. આ ઉપરાંત અદાલતોએ 'નૈતિકતા' શબ્દને માત્ર 'બંધારણીય નૈતિકતા' તરીકે ન સમજવો જોઈએ કારણ કે અદાલતો કોઈ ધાર્મિક માન્યતાને માત્ર પોતાના દ્રષ્ટિકોણથી અનૈતિક જાહેર કરી શકે નહીં. 

7 એપ્રિલથી સુનાવણી

જૈન સમુદાયે મહિલાઓની સ્થિતિમાં સમય સાથે થયેલા ફેરફારોને આંતરિક સુધારાના ઉદાહરણ તરીકે રજૂ કર્યા છે. જૈન સંગઠનોએ એવી પણ વિનંતી કરી છે કે, જનહિતની અરજી (PIL)ના માધ્યમથી અન્ય ધર્મની વ્યક્તિને કોઈ ધાર્મિક પ્રથાને પડકારવાની છૂટ ન મળવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આ મામલે 9 ન્યાયાધીશોની ખંડપીઠ 7 એપ્રિલથી સુનાવણી શરૂ કરવાની છે અને અગાઉ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પણ આવી જ દલીલો રજૂ કરી હતી.

આ પણ વાંચો : ‘તે વાત નથી કરતી, બેભાન છે કદાચ...', લિવ ઈન રિલેશનશિપમાં રહેતી 7 વર્ષ મોટી પ્રેમિકાની હત્યા, 20 દિવસ બાદ ભાંડો ફૂટ્યો