Get The App

ઈઝરાયલ કે ઈરાન, ભારત કોની તરફેણમાં? યુદ્ધ વચ્ચે ઉઠતા સવાલોનો જયશંકરે આપ્યો જવાબ

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
ઈઝરાયલ કે ઈરાન, ભારત કોની તરફેણમાં? યુદ્ધ વચ્ચે ઉઠતા સવાલોનો જયશંકરે આપ્યો જવાબ 1 - image

Iran America War : અમેરિકા અને ઇઝરાયલની વધુ નજીક જવાનો ફાયદો શું છે? ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને લઈને આ સવાલ અવારનવાર પૂછવામાં આવે છે. બુધવારે સર્વપક્ષીય બેઠક દરમિયાન પણ આવો જ એક સવાલ સામે આવ્યો હતો. જે અંગે વિદેશ મંત્રી એસ. જયશંકરે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ઇઝરાયલે અનેક યુદ્ધો દરમિયાન આપણને મદદ કરી છે અને તે આપણા માટે એક મોટો ડિફેન્સ પાર્ટનર છે. તેના દ્વારા આપણને સંરક્ષણ ટેકનોલોજીની બાબતમાં મોટી મદદ મળતી રહી છે. આ રીતે તેમણે ઇઝરાયલ સાથેના નજીકના સંબંધો પર બેટૂક જવાબ આપ્યો હતો. એટલું જ નહીં, ઈરાનને લઈને પણ તેમણે કહ્યું કે, તેની સાથે આપણા સંબંધો પહેલાની જેમ જ કાયમ છે અને મૈત્રીપૂર્ણ સંબંધોને કારણે જ તેણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આપણા 4 જહાજોને પસાર થવા દીધા, જ્યારે અન્ય દેશોના જહાજો ત્યાં ફસાયેલા છે.

NCP અને SP ના નેતાના સવાલોનો જવાબ

એનસીપી-સપાના સાંસદ સુપ્રિયા સુલેએ સર્વપક્ષીય બેઠક દરમિયાન એસ. જયશંકરને પૂછ્યું હતું કે, આખરે આપણને ઇઝરાયલ અને અમેરિકા સાથે સંબંધો રાખવામાં શું ફાયદો છે. જેના જવાબમાં એસ. જયશંકરે જણાવ્યું કે, તે આપણો નજીકનો ભાગીદાર છે અને અનેક જંગોમાં ઇઝરાયલે આપણી મદદ કરી છે. મીડિયા અહેવાલ મુજબ જયશંકરે કહ્યું કે, અમેરિકા ભારતનો એક મોટો વ્યાપારી ભાગીદાર છે અને હાઈ-એન્ડ ટેકનોલોજી આપણે ત્યાંથી લઈએ છીએ. આ ઉપરાંત ઇઝરાયલ પણ એક મોટું ટેકનિકલ પાર્ટનર છે. તેણે અનેક યુદ્ધો દરમિયાન આપણી મદદ કરી હતી.

આ પણ વાંચો : યુદ્ધ ખતમ થવાની અણીએ? ટ્રમ્પે સહયોગીઓને કહ્યું - જલદી ખતમ કરો, બીજા ઘણાં કામ છે

ઇઝરાયલ હંમેશા આપણી મદદે આવ્યું છે

વિદેશ મંત્રી એસ. જયશંકરે ખુલીને નથી જણાવ્યું કે, ઇઝરાયલે ક્યારે અને કેવી રીતે મદદ કરી, પરંતુ માનવામાં આવે છે કે તેમનો ઈશારો પાકિસ્તાન સાથેના યુદ્ધો દરમિયાન મળેલી સહાય તરફ હતો. અત્યાર સુધી યુદ્ધો દરમિયાન ઇઝરાયલ તરફથી મળતી મદદના માત્ર અટકળો જ લગાવાતી હતી, પરંતુ સ્પષ્ટ રીતે ક્યારેય કહેવામાં આવ્યું નહોતું કે તેણે શું મદદ કરી છે. પહેલીવાર વિદેશ મંત્રીએ આ પ્રકારે ઇઝરાયલને લઈને ખુલીને વાત કરી છે. તેની સાથે જ તેમણે એ વાતને પણ ફગાવી દીધી હતી કે ભારતે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખમેનેઈની હત્યા પર મૌન સેવ્યું હતું અને ખૂબ જ મોડો જવાબ આપ્યો હતો.

વિદેશમંત્રાલય શોક વ્યક્ત કરી ચુક્યું છે

વિદેશ મંત્રીએ કહ્યું કે, આ આરોપો ખોટા છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ તેમના નિધન અંગે શોક સંવેદના વ્યક્ત કરી હતી અને સંદેશ પણ લખ્યો હતો. આ દરમિયાન વિદેશ મંત્રીને એવો પણ સવાલ થયો કે, ઈરાન પરના હુમલાની નિંદા ન કરવાથી આ શિયા દેશ સાથે આપણા સંબંધો નબળા પડ્યા છે. જેના પર તેમણે કહ્યું કે સાઉદી અરેબિયા અને યુએઈમાં ઈરાન તરફથી હુમલા કરવામાં આવ્યા હતા. આપણને ત્યાંની પણ ચિંતા હતી કારણ કે મોટી સંખ્યામાં ભારતીયો ત્યાં પણ રહે છે. આ બે દેશોમાં જ અંદાજે 80 લાખ ભારતીયો વસેલા છે. એવામાં ત્યાં ઈરાની ડ્રોન્સ અને મિસાઈલોથી જે હુમલા થયા, આપણને તેને લઈને પણ ચિંતા હતી અને ભારતીયોના હિતમાં અમે વિચારી રહ્યા હતા.