Get The App

પેટ્રોલ, ડીઝલ અને એટીએફની નિકાસ પરની ડયુટીમાં ઘટાડો

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
પેટ્રોલ, ડીઝલ અને એટીએફની નિકાસ પરની ડયુટીમાં ઘટાડો 1 - image

સરકારે આ ટેક્સની શરૂઆત 27 માર્ચે કરી હતી

પેટ્રોલની નિકાસ પર  રૂ. 1.5 પ્રતિ લિટર, ડીઝલ પર રૂ. 3 અને એટીએફમાં રૂ. સાત ડયુટી ઘટી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એટીએફ અંગે મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા જારી નિવેદન અનુસાર ૧ જૂનથી પેટ્રોલ, ડીઝલ અને એટીએફની નિકાસ પરની ડયુટીને ઘટાડી દેવામાં આવશે.

પેટ્રોલની નિકાસ પર ૧.૫ રૂપિયા પ્રતિ લિટર, ડીઝલની નિકાસ પર ૩ રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ની નિકાસ પર લાગતા ટેક્સમાં પ્રતિ લિટર ૭ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે આ ઘટાડાની અસર ઘરેલુ સ્તરે જોવા મળશે નહીં કારણકે સરકારે ઘરેલુ સ્તરે ટેક્સમાં કોઇ ફેરફાર કર્યો નથી. એક્સપોર્ટ ડયુટીમાં ઘટાડાનો નિર્ણય સરકારે એવા સમયે લીધો છે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 

સરકારે આ સ્પેશિયલ ટેક્સની શરૂઆત ૨૭ માર્ચનાં રોજ કરી હતી. પશ્ચિમ એશિયામાં જારી તંગદિલીની વચ્ચે ઘરેલુ સ્તરે પેટ્રોલ અને ડીઝલની ઉપલબ્ધતા ચાલુ રાખવા માટે સરકારે આ ટેક્સ નાખ્યો હતો. 

મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૭.૫ રૂપિયાનો વધારો થયો છે. આજે રવિવારે ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં કોઇ ફેરફાર કર્યો નથી. છેલ્લે સોમવારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. 

દેશનાં અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૧૦ રૂપિયાને પાર થઇ ગયો છે. હૈદરાબાદમાં પેટ્રોલનો ભાવ ૧૧૫ રૂપિયાને ક્રોસ થઇ ગયો છે. કોલકાતામાં ૧ લીટર પેટ્રોલ માટે લોકોને ૧૧૦ રૂપિયાથી વધુનો ખર્ચ કરવો પડી રહ્યો છે.