India

રામ મંદિર દાન ચોરી કેસ : 3 આરોપીઓના 24 કલાકના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર, સામસામે બેસાડી કરાશે પૂછપરછ

By GS Team
7 Jul 20262 mins read
TukuTouch Logo
અયોધ્યાના રામ મંદિર દાન ચોરી કેસમાં તપાસ તેજ બની છે. કોર્ટે ધરપકડ કરાયેલા લવકુશ મિશ્રા, અનુકલ્પ મિશ્રા અને કરુણેશ પાંડેના 24 કલાકના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે ત્રણેય આરોપીઓની સામસામે પૂછપરછ કરશે અને પુરાવા એકત્રિત કરશે. SITના વચગાળાના અહેવાલમાં 6 લોકોની સંડોવણી દર્શાવવામાં આવી છે. CCTV ફૂટેજમાં કર્મચારીઓ નોટો છુપાવતા દેખાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

રામ મંદિર દાન ચોરી કેસ : 3 આરોપીઓના 24 કલાકના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર, સામસામે બેસાડી કરાશે પૂછપરછ

Ram Mandir Donation Theft : અયોધ્યાના રામ મંદિર દાન ચોરી મામલામાં તપાસ તેજ થઈ ગઈ છે. અયોધ્યા કોર્ટે આ મામલામાં ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓના 24 કલાકના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરી દીધા છે. પોલીસ હવે ત્રણેય આરોપીઓને સામસામે બેસાડીને પૂછપરછ કરશે, અને મામલા સાથે જોડાયેલા પુરાવા એકત્રિત કરવાનો પ્રયાસ કરશે. કોર્ટના આદેશ અનુસાર, આરોપી લવકુશ મિશ્રા, અનુકલ્પ મિશ્રા અને કરુણેશ પાંડે 24 કલાક સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ પર રહેશે. અયોધ્યા પોલીસ બુધવારે સવારે 10 વાગ્યાથી ત્રણેયની પૂછપરછ શરૂ કરશે. તપાસ દરમિયાન પોલીસ ત્રણેય આરોપીઓને તેમના ઠેકાણા પર પણ લઈ જશે. ત્યાં કૌભાંડ સાથે જોડાયેલી સામગ્રી અને અન્ય પુરાવાઓ રિકવર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. તપાસ એજન્સીઓના નિશાન પર અનુકલ્પ મિશ્રાની તાજેતરમાં ખરીદાયેલી મિલકતો પણ છે. પોલીસ તેના નવા ઘર અને ગાડીને લઈને પણ પૂછપરછ કરશે. જરૂર પડ્યે આ સ્થળોની તલાશી પણ લેવામાં આવશે.

SITના વચગાળાના અહેવાલમાં શું છે?

આ દરમિયાન મામલામાં રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT)નો વચગાળાનો અહેવાલ પણ સામે આવ્યો છે. અહેવાલમાં પ્રથમ દૃષ્ટિએ 6 લોકોની સંલિપ્તતા હોવાનું જણાવવામાં આવ્યું છે. જેમાં અવનીશ શુક્લા, અનુજ કુમાર મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ કુમાર યાદવ, કૃષ્ણમ પાંડે અને રામશંકર મિશ્રાના નામ સામેલ છે. SITએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, સંબંધિત લોકોએ સુરક્ષાના પગલાંનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કર્યું ન હતું. નિયમોના પાલનમાં ખામીઓ હોવાની જાણકારી હોવા છતાં, પૂરતા સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા ન હતા. આનાથી કથિત ગેરરીતિઓને રોકવામાં બેદરકારી સામે આવી છે.

CCTVમાં દાન ચોરીના પુરાવા!

રિપોર્ટ અનુસાર, તપાસ દરમિયાન CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. ટ્રસ્ટે SITને જણાવ્યું કે, CCTV સિસ્ટમની સ્ટોરેજ ક્ષમતા મર્યાદિત હતી. આ જ કારણે ફૂટેજ એક નક્કી સમયગાળા પછી આપમેળે ડિલીટ થઈ જતા હતા. તેથી મર્યાદિત સમયગાળાનું જ રૅકોર્ડિંગ ઉપલબ્ધ થઈ શક્યું હતું. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, નોટોની ગણતરીના રૂમમાં કેટલાક કર્મચારીઓને નોટોની થપ્પીઓમાંથી ખુલ્લી નોટો કાઢીને પોતાના કપડાં, ખિસ્સા, શૂઝ અને અન્ય જગ્યાઓ પર છુપાવતા જોવામાં આવ્યા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, કેટલાક કર્મચારીઓ ઇશારા દ્વારા એકબીજાને ઍલર્ટ કરતાં જોવા મળ્યા હતા.

SITએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, CCTV ફૂટેજ અને તપાસના આધારે આશરે 70 વખત ચોરી કે કૌભાંડ કરવામાં આવ્યું હોવાના સંકેત મળ્યા છે. જોકે આ દાવો તપાસનો એક ભાગ છે, અને તેની વિગતવાર તપાસ ચાલુ છે. જો 27 એપ્રિલ પહેલાના ફૂટેજ ઉપલબ્ધ હોત તો વધુ ખુલાસા થઈ શક્યા હોત.