Rahul Gandhi on PM Modi : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 25 દિવસથી ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. હવે આ દેશો એકબીજાના ઊર્જા સ્થળો, ગેસ અને ઓઇલ પ્લાન્ટો પર હુમલાઓ કરી રહ્યા છે. આ કારણે ભારતમાં એલપીજી અને ગેસની અછત ઉભી થયાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ સંકટની અસર ભારતમાં જોવા મળ્યા બાદ દેશમાં રાજકારણ શરૂ થઈ ગયું છે. આ સંકટ મુદ્દે કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વડાપ્રધાનની વિદેશ નીતિની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે કેન્દ્ર સરકારની વ્યૂહનીતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
પીએમ મોદી સંપૂર્ણ ટ્રમ્પના નિયંત્રણમાં
રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતની વિદેશ નીતિ હવે વડાપ્રધાન મોદીની વ્યક્તિગત વિદેશ નીતિ બની ગઈ છે અને તેની આપણે અસર પણ જોઈ રહ્યા છીએ. ભારતની વિદેશ નીતિ એક મજાક બની ગઈ છે. આખી દુનિયા તેને મજાક માની રહી છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિયંત્રણમાં હોવાનો પણ રાહુલે આક્ષેપ કર્યો છે.
રાહુલ ગાંધીએ ચેતવણી આપી
કોંગ્રેસ સાંસદે ચેતવણી સાથે કહ્યું કે, ‘પીએમ મોદી સંપૂર્ણ ટ્રમ્પના નિયંત્રણમાં છે. ટ્રમ્પને સંપૂર્ણ ખબર છે કે, પીએમ મોદી શું કરવાના છે અને શું નથી કરવાના. જો વડાપ્રધાનની સ્થિતિ નબળી પડી તો દેશની વિદેશ નીતિ પણ નબળી પડી જશે.’ વડાપ્રધાન મોદીએ સંસદમાં આપેલા ભાષણ મુદ્દે રાહુલે કહ્યું કે, ‘અમેરિકા સાથે વેપાર સમજૂતી કરી દીધી, કાલે સંસદમાં અર્થહીન ભાષણ આપ્યું, જેમાં વડાપ્રધાન તરીકે કોઈપણ ચોક્કસ વલણ જોવા મળ્યું નથી.’
સામાન્ય નાગરિકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે : રાહુલ ગાંધી
તેમણે એમ પણ કહ્યું કે, વડાપ્રધાનના આ ભાષણોના કારણે સામાન્ય નાગરિકોએ મુશ્કેલી સામનો કરવો પડશે, જેમ કે એલપીજી અને પેટ્રોલની વધતી કિંમતો. રાહુલ ગાંધીએ યાદ અપાવ્યું કે, વડાપ્રધાન મોદીએ વર્તમાન સ્થિતિને કોરોના સાથે જોડીને રજૂ કરી છે, જોકે તેમણે એ કહ્યું નથી કે, કોવિડ વખતે કેટલા લોકોના મોત થયા અને કેટલી સમસ્યાઓ થઈ.’
રાહુલ સર્વપક્ષીય બેઠકમાં સામેલ નહીં થાય
આ ઉપરાંત તેમણે કહ્યું કે, કેરળમાં કાર્યક્રમ હોવાના કારણે તેઓ સર્વપક્ષીય બેઠકમાં આવી નહીં શકે. તેમણે આક્ષેપ કર્યો કે, બેઠકમાં માળખાગત ભૂલ થઈ છે, તેમાં સુધારો થઈ શકતો નથી. વડાપ્રધાન અમેરિકા અને ઈઝરાયલના નિર્દેશ મુજબ કામ કરે છે, તેઓ દેશ અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેતા નથી. આવી સ્થિતિ દેશ અને નાગરિકો માટે ચિંતાનો વિષય છે.
આ પણ વાંચો : લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી
PM મોદીએ આજે રાજ્યસભામાં શું કહ્યું?
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ આજે રાજ્યસભામાં સંબોધનમાં કહ્યું કે, યુદ્ધની શરૂઆત બાદ મેં પશ્ચિમ એશિયાના દેશોના વડા સાથે બે વખત વાતચીત કરી છે. અમે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા સાથે પણ સતત સંપર્કમાં છીએ. અમે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે પણ વાતચીત કરી છે. કોમર્શિયા જહાજો પર હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટમાં અડચણ અસ્વીકાર્ય છે. ભારતે નાગરિકો તથા સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો વિરોધ કર્યો છે. ભારત ડિપ્લોમસીના માધ્યમથી યુદ્ધના આ માહોલમાં જહાજોની અવરજવર માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. દુનિયાના અનેક દેશોથી ક્રૂડ ઓઇલ અને LPGના જહાજ ભારત પહોંચી રહ્યા છે. જો યુદ્ધની પરિસ્થિતિ લાંબા સમય સુધી રહે તો ગંભીર દુષ્પરિણામ નક્કી છે. જે માટે ભારતે તૈયારી શરૂ કરી છે. ભારતનો 90 ટકા વેપાર વિદેશી જહાજો પર થાય છે, જેથી ભારતે હવે મેડ ઇન ઇન્ડિયા જહાજો બનાવવા માટે 70 હજાર કરોડ રૂપિયાનું અભિયાન શરૂ કર્યું છે. આ સિવાય ભારતના મોટા ભાગના હથિયાર પણ દેશમાં જ બનાવવામાં આવી રહ્યા છે. વર્તમાન સંકટના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું છે.
આ પણ વાંચો : ખેડૂતોની આવક બમણી જ નહીં, પણ ત્રણથી ચાર ગણી વધી ગઈ!, કેન્દ્ર સરકારનો દાવો


