Get The App

દેશ ચલાવવો હવે 'કોમ્પ્રોમાઇઝ્ડ' PMના ગજા બહારની વાત છે: PM મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહાર

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
દેશ ચલાવવો હવે 'કોમ્પ્રોમાઇઝ્ડ' PMના ગજા બહારની વાત છે: PM મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહાર 1 - image


Rahul Gandhi Slams PM Modi : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની ભારત પર પડનારી આર્થિક અસરોને લઈને દેશમાં રાજકારણ ગરમાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેલંગાણાના હૈદરાબાદમાં એક રેલી દરમિયાન દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલના મર્યાદિત ઉપયોગ, સોનાની ખરીદી ટાળવા અને વિદેશ પ્રવાસ મુલતવી રાખવા જેવી કરકસરની અપીલ કરી હતી. જેના પર આકરા પ્રહાર કરતાં લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાનને 'કોમ્પ્રોમાઇઝ્ડ'(લાચાર) ગણાવ્યા છે.

PM મોદીની જનતાને અપીલ: રાષ્ટ્ર પ્રથમ, સુવિધા પછી

વડાપ્રધાને જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે પેટ્રોલ અને ખાતરના ભાવમાં ધરખમ વધારો થયો છે. વિદેશી મુદ્રા ભંડાર બચાવવા માટે તેમણે નીચે મુજબના સૂચનો કર્યા હતા:

પરિવહન: પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવો, મેટ્રો રેલનો ઉપયોગ કરવો, કારપૂલિંગ અને ઈલેક્ટ્રિક વાહનોને પ્રાધાન્ય આપવું.

વર્ક ફ્રોમ હોમ: કોરોનાકાળની જેમ ફરીથી વર્ક ફ્રોમ હોમ, વર્ચ્યુઅલ મીટિંગ્સ અને વીડિયો કોન્ફરન્સિંગ અપનાવવું.

કરકસર: એક વર્ષ માટે સોનાની ખરીદી અને વિદેશ પ્રવાસ મુલતવી રાખવો. ખાદ્ય તેલ અને રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડી કુદરતી ખેતી અને 'સ્વદેશી' ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું.


રાહુલ ગાંધી અને કોંગ્રેસનો હુમલો

વડાપ્રધાનની આ અપીલને કોંગ્રેસે સરકારની આર્થિક નિષ્ફળતા ગણાવી છે. રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરીને કહ્યું કે, ગઈકાલે મોદીજીએ જનતા પાસે બલિદાન માંગ્યું - સોનું ન ખરીદો, વિદેશ ન જાઓ, પેટ્રોલ ઓછું વાપરો. આ સલાહ નથી, પણ સરકારની નિષ્ફળતાનો પુરાવો છે. સરકારની નિષ્ફળતાને કારણે જનતાએ શા માટે ભોગ આપવો જોઈએ?

રાહુલ ગાંધીએ સરકારની નીતિઓ પર નિશાન સાધતા ઉમેર્યું કે, 12 વર્ષમાં દેશને એવા મુકામ પર લાવી દીધો છે કે હવે જનતાને જણાવવું પડે છે કે શું ખરીદવું અને શું ન ખરીદવું, ક્યાં જવું અને ક્યાં ન જવું. વડાપ્રધાન દર વખતે જવાબદારી જનતા પર ઢોળી દે છે જેથી તેઓ પોતે બચી શકે. દેશ ચલાવવો હવે 'Compromised PM'ના ગજા બહારની વાત છે.