Get The App

પેપર લીક સિસ્ટમની નિષ્ફળતા છે, હવે યુવાનો ગર્જના કરશે!, રાહુલ ગાંધીની દેશવ્યાપી આંદોલનની જાહેરાત

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
Rahul Gandhi Slams Government Over Paper Leaks
(IMAGE - IANS)

Rahul Gandhi Slams Government Over Paper Leaks: કોટામાં યોજાનારા પોતાના પ્રથમ વિદ્યાર્થી સંમેલન અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ શેર કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દેશમાં દરેક પેપર લીક થવું કે પરીક્ષા રદ થવી એ માત્ર સિસ્ટમની નિષ્ફળતા નથી, પરંતુ દેશના લાખો યુવાનોના સપના પર મોટો પ્રહાર છે. તેમણે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, 'આજે દેશમાં વિદ્યાર્થીઓને તેમની સખત મહેનતનું ફળ નથી મળી રહ્યું, પરંતુ સપના જોવાની હિંમત કરવા બદલ સજા મળી રહી છે. તેઓ દેશના યુવાનો સાથે મજબૂતીથી ઉભા છે અને તેમને પોતાના ભવિષ્ય માટે લડવા અપીલ કરી છે.'

કોટાથી શરૂ થશે 'છાત્રોં કી ગૂંજ' મહા રેલી

રાહુલ ગાંધીએ પોતાની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પર યુવાનોને સંબોધતાં કહ્યું કે, 'હું જાણું છું કે તમે બધા થાકી ગયા છો અને ગુસ્સામાં છો. પરંતુ યાદ રાખો, જ્યારે સરકાર સાંભળવાની ના પાડે ત્યારે આપણે આપણો અવાજ વધુ બુલંદ કરવો પડે છે.' તેમણે આગામી બુધવારે કોટામાં યોજાનારી 'છાત્રોં કી ગૂંજ' મહારેલીમાં મોટી સંખ્યામાં યુવાનોને જોડાવા આહ્વાન કર્યું છે. આ સાથે જ તેમણે કહ્યું કે, 'કોટાથી શરૂ થયેલો આ અવાજ દેશના ખૂણે-ખૂણે પહોંચશે અને એક એવી ગર્જના બનશે જેને સરકાર પણ નજરઅંદાજ નહીં કરી શકે. વિદ્યાર્થીઓએ કોઈપણ અફવાઓ પર ધ્યાન આપ્યા વિના માત્ર સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખવો જોઈએ.'

પેપર લીક સામે કોંગ્રેસનું રાષ્ટ્રવ્યાપી આંદોલન

કોંગ્રેસ પક્ષ દ્વારા દેશભરમાં પેપર લીક અને પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ સામે એક મોટા રાષ્ટ્રવ્યાપી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે, જેનો પ્રથમ તબક્કો બુધવારે કોટાથી રાહુલ ગાંધીના સંબોધન સાથે શરૂ થશે. આ આંદોલનનો મુખ્ય હેતુ કોઈપણ રાજકીય ભેદભાવ વિના દેશના તમામ વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જ્યાં પ્રભાવિત યુવાનો પોતાના અનુભવો શેર કરી શકે અને વારંવાર થતી પરીક્ષાની નિષ્ફળતાઓ માટે સરકાર પાસે જવાબદારીની માંગ કરી શકે.

આ પણ વાંચો: UP-પંજાબ સહિત આ 4 રાજ્યોમાં સમય પહેલાં યોજાઈ શકે છે વિધાનસભા ચૂંટણી! ભાજપ એક્શન મોડમાં

યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવા અને તેમને ન્યાય અપાવવા માટે રાહુલ ગાંધી દેશના જુદા-જુદા ભાગોમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સીધી વાતચીત કરશે. કોટામાં યોજાનારા સંમેલન બાદ આગળના કાર્યક્રમો પણ નક્કી કરી લેવામાં આવ્યા છે, જે મુજબ આગામી 10 જુલાઈએ અલ્હાબાદ (પ્રયાગરાજ), 11 જુલાઈએ પટણા અને 14 જુલાઈએ દિલ્હી ખાતે આ વિદ્યાર્થી સંમેલનો યોજાશે.

આ આખા અભિયાનને સફળ બનાવવા માટે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI, યુથ કોંગ્રેસ, પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ અને સ્થાનિક એકમો દ્વારા દેશભરમાં મોટા પાયે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.