Rahul Gandhi On US Threat To India : ઓમાન દરિયા નજીક અમેરિકી સૈન્ય કાર્યવાહીમાં ભારતીય નાવિકોના મોત અને હોર્મુઝ જળમાર્ગ અંગે અમેરિકાના તાજેતરના નિવેદનો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો કે, અમેરિકાની ધમકી અને કડક સંદેશા છતાં પીએમ મોદી મૌન કેમ છે? તેમણે આક્ષેપ કર્યો કે કોઈપણ સાર્વભૌમ દેશ આવી ભાષા ક્યારેય સ્વીકારી ન શકે. રાહુલ ગાંધીની આ પ્રતિક્રિયા અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર વચ્ચેની વાતચીત બાદ સામે આવી છે, જેમાં અમેરિકાએ હોર્મુઝમાં પોતાના નિર્દેશોનું પાલન કરવા પર ભાર મૂક્યો છે.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર લગાવ્યા ગંભીર આક્ષેપો
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, અમેરિકી હુમલામાં 3 ભારતીય નાવિકોના મોત બાદ પણ અમેરિકા દ્વારા કોઈ ખેદ વ્યક્ત કરવામાં આવ્યો નથી કે માફી માંગવામાં આવી નથી. તેના બદલે અમેરિકા ભારતને આદેશો આપી રહ્યું છે. પીએમ મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એક આજ્ઞાકારી સેવકની જેમ આદેશો સાંભળે છે અને તેનું પાલન કરે છે. તેમણે દાવો કર્યો કે, આવું નેતૃત્વ દેશના સન્માનની રક્ષા કરી શકતું નથી.
આ પણ વાંચો : હોર્મુઝમાં ભારતીયોના મોત પર અમેરિકાની દાદાગીરી ! જયશંકર અને રુબિયો વચ્ચે ઉગ્ર ચર્ચા
ભારત અને અમેરિકા વચ્ચે વિવાદનું મુખ્ય કારણ
આ વિવાદ ત્યારે સામે આવ્યો, જ્યારે માર્ક રુબીયોએ એસ.જશયંકર (S.Jaishankar) સાથે ફોન પર થયેલી વાતચીતમાં સ્પષ્ટ કહ્યું હતું કે, હોર્મુઝ જળમાર્ગમાં અમેરિકાની નાકાબંધીનું ઉલ્લંઘન અને ઈરાની તેલનું ગેરકાયદેસર પરિવહન સહન કરવામાં આવશે નહીં. અમેરિકી વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર, વિદેશ મંત્રી માર્કો રુબિયો (US Foreign Minister Marco Rubio)એ એસ. જયશંકર સાથેની વાતચીતમાં આ વાત કહી હતી. આ પહેલા જયશંકરે ભારતીય નાવિકોના મોત પર કડક વિરોધ નોંધાવ્યો હતો અને નવી દિલ્હીમાં અમેરિકી કાર્યવાહક રાજદૂત જેસન મીક્સને પણ સમન્સ પાઠવીને સ્પષ્ટ કહ્યું હતું કે, ભારતીય ક્રૂ મેમ્બર્સ વાળા જહાજો પર આવા ઘાતક હુમલા સ્વીકાર્ય નથી.
ઓમાન અને હોર્મુઝ ક્ષેત્રમાં વધતું તણાવ
રાહુલ ગાંધીએ ઓમાનના દુક્મ બંદરગાહ પર ઉભેલા એક જહાજમાં મૃત્યુ પામેલા ભારતીય નાગરિક નિશાંત ઉર્થનાથનનો મુદ્દો પણ ઉઠાવ્યો છે અને તેનો પાર્થિવ દેહ વહેલી તકે ભારત લાવવા માંગ કરી છે. બીજી તરફ, હોર્મુઝને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ ચાલી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) ઈરાન પર ભારતીય જહાજોને નિશાન બનાવીને ડ્રોન હુમલા કરવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે ઈરાને આ વાતને નકારી કાઢી છે. આ તણાવને કારણે દરિયાઈ માર્ગે ભારતીય નાવિકોની સુરક્ષાને લઈને ચિંતાઓ વધી ગઈ છે.
આ પણ વાંચો : G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા


