'મોદી ને મરવા દિયા...', કોંગ્રેસની ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાહુલ ગાંધીના કટાક્ષની દેશભરમાં ચર્ચા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi Modi remark : દેશમાં વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને NEET તેમજ CBSE સહિતની પરીક્ષાઓમાં પેપર લીકના ગંભીર મુદ્દાઓ પર કેન્દ્રની મોદી સરકારને ઘેરવા માટે દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે કોંગ્રેસની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં પક્ષના તમામ મહાસચિવો, રાજ્ય પ્રભારીઓ અને પ્રદેશ પ્રમુખો હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની એક ટિપ્પણી ભારે ચર્ચાનો વિષય બની છે, જેમાં તેમણે દેશની પ્રવર્તમાન સ્થિતિ પર કટાક્ષ કરતા કહ્યું કે, 'મોદી ને મરવા દિયા'.
નિવેદન પાછળનો સાચો અર્થ શું છે?
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ સામાન્ય બોલચાલની ભાષાના મુહાવરા 'મરવા દિયા' (મુશ્કેલીમાં મૂકી દીધા) નો ઉપયોગ કરીને દેશની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. આ બેઠકમાં તેમણે કહ્યું કે, "બેરોજગારીથી દેશનો યુવાન પરેશાન છે, પેપર લીકને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે અને નબળી વિદેશ નીતિને કારણે મોંઘવારી આસમાને પહોંચી છે, જેનાથી સામાન્ય નાગરિક પીસાઈ રહ્યો છે. અમેરિકા સાથેની ટ્રેડ ડીલને લીધે ખેડૂતો ચિંતિત છે અને સંવિધાનની અવગણના કરીને લોકશાહીને નબળી પાડવામાં આવી રહી છે."
2 મહિનાનું દેશવ્યાપી આંદોલન અને પક્ષની વ્યૂહરચના
ગ્રાઉન્ડ લેવલ પર જોડાણ: બેઠક બાદ કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે પક્ષ આગામી બે મહિના સુધી મોંઘવારી અને પેપર લીક જેવા મુદ્દાઓ પર દેશવ્યાપી ઝુંબેશ ચલાવશે. આ આંદોલન માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં, પરંતુ રાજ્ય, જિલ્લા અને બ્લોક સ્તર સુધી લઈ જવામાં આવશે.
TMC સાથે વધતી નિકટતા
આ બેઠક એવા સમયે યોજાઈ છે જ્યારે પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટા ઉલટફેર વચ્ચે મમતા બેનરજી અને અભિષેક બેનરજીની રાહુલ-સોનિયા ગાંધી સાથેની મુલાકાતો બાદ વિપક્ષની એકતા મજબૂત થઈ રહી છે. રાહુલે ભારપૂર્વક કહ્યું કે, રાષ્ટ્રીય સ્તરે ભાજપ અને RSS નો મક્કમતાથી સામનો કરવાની ક્ષમતા માત્ર કોંગ્રેસ પાસે જ છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે વિરોધ પ્રદર્શનની પરંપરાગત રીતોથી આગળ વધીને પક્ષના કાર્યકરો સીધા પીડિત જનતાના ઘરો સુધી પહોંચશે અને રસ્તા પર ઉતરીને જનઆંદોલન છેડશે.









