Get The App

રાહુલ ગાંધીએ ભાજપને 'ભ્રષ્ટ જનતા પાર્ટી' ગણાવી, કહ્યું - ડબલ એન્જિન સરકારોએ લોકોનું જીવન બરબાદ કર્યું

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
રાહુલ ગાંધીએ ભાજપને 'ભ્રષ્ટ જનતા પાર્ટી' ગણાવી, કહ્યું - ડબલ એન્જિન સરકારોએ લોકોનું જીવન બરબાદ કર્યું 1 - image

Rahul Gandhi on BJP : કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ભારતીય જનતા પાર્ટી (BJP) પર અત્યાર સુધીનો સૌથી મોટો અને સીધો હુમલો કર્યો છે. તેમણે ભાજપને 'ભ્રષ્ટ જનતા પાર્ટી' ગણાવતા કહ્યું કે દેશભરમાં તેમની 'ડબલ એન્જિન' સરકારોએ જનતાનું જીવન તબાહ કરી નાખ્યું છે. અંકિતા ભંડારી હત્યાકાંડથી લઈને ઉન્નાવ બળાત્કાર કાંડ સુધીના મુદ્દાઓ ઉઠાવીને તેમણે ભાજપ શાસનને રીતસર આરોપીના કઠેડામાં ઊભું કરી દીધું છે.

રાહુલ ગાંધીએ ભાજપને 'ભ્રષ્ટ જનતા પાર્ટી' ગણાવી, કહ્યું - ડબલ એન્જિન સરકારોએ લોકોનું જીવન બરબાદ કર્યું 2 - image

'ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ અને અહંકારનું ઝેર'

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આક્રમક અંદાજમાં લખ્યું, "ભ્રષ્ટાચારની સાથે સત્તાનો દુરુપયોગ અને અહંકારનું ઝેર ભાજપની રાજનીતિમાં ઉપરથી નીચે સુધી ફેલાઈ ચૂક્યું છે. તેમની સિસ્ટમમાં ગરીબ, અસહાય, મજૂર અને મધ્યમ વર્ગના લોકોનું જીવન માત્ર એક આંકડો બનીને રહી ગયું છે અને વિકાસના નામે માત્ર વસૂલી-તંત્ર ચાલી રહ્યું છે."

અંકિતા-ઉન્નાવ કાંડ પર સરકારને ઘેરી

ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની ઘટનાઓનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધીએ ભાજપ શાસનમાં મહિલા સુરક્ષાના દાવાઓની પોલ ખોલી હતી.

અંકિતા ભંડારી હત્યાકાંડ: તેમણે લખ્યું, "ઉત્તરાખંડમાં અંકિતા ભંડારીની નિર્મમ હત્યાએ આખા દેશને હચમચાવી દીધો - પરંતુ સવાલ આજે પણ એ જ છે: સત્તાનું સંરક્ષણ ભાજપના કયા VIPને બચાવી રહ્યું છે? કાયદો બધા માટે સમાન ક્યારે થશે?"

ઉન્નાવ બળાત્કાર કાંડ: ઉત્તર પ્રદેશના ઉન્નાવ કાંડ પર પ્રહાર કરતાં તેમણે લખ્યું, "આખા દેશે જોયું છે કે કેવી રીતે સત્તાના ઘમંડમાં અપરાધીઓને બચાવવામાં આવ્યા અને પીડિતાને ન્યાય માટે કેટલી મોટી કિંમત ચૂકવવી પડી."

'આ લાપરવાહી નહીં, ભ્રષ્ટાચારની સીધી માર છે'

રાહુલ ગાંધીએ આરોગ્ય અને માળખાકીય સુવિધાઓની દુર્દશા માટે સીધા ભ્રષ્ટાચારને જવાબદાર ઠેરવ્યો.

ઝેરી પાણીથી મોત: "ઇન્દોરમાં ઝેરી પાણી પીવાથી થતાં મોત હોય કે ગુજરાત-હરિયાણા-દિલ્હી સુધી ‘કાળા પાણી’ અને દૂષિત સપ્લાયની ફરિયાદો - ચારે તરફ બીમારીઓનો ભય છે."

કુદરતી સંસાધનોની લૂંટ: "રાજસ્થાનની અરવલ્લી હોય કે અન્ય કુદરતી સંસાધનો - જ્યાં-જ્યાં અબજોપતિઓનો લાલચ અને સ્વાર્થ પહોંચ્યો, ત્યાં-ત્યાં નિયમોને કચડી નાખવામાં આવ્યા. પહાડો કાપવામાં આવી રહ્યા છે, જંગલો ઉજ્જડ થઈ રહ્યા છે - અને જનતાને બદલામાં મળી રહ્યું છે: ધૂળ, પ્રદૂષણ અને આપત્તિ."

ભ્રષ્ટાચારની સીધી અસર: તેમણે વધુમાં લખ્યું, "ખાંસીના સિરપથી બાળકોના મોત, સરકારી હૉસ્પિટલોમાં નવજાત શિશુઓને મારતા ઉંદરો, સરકારી શાળાઓની પડતી છતો - આ લાપરવાહી નથી, ભ્રષ્ટાચારની સીધી માર છે. પુલ તૂટે છે, રસ્તાઓ ધસી જાય છે, ટ્રેન અકસ્માતોમાં પરિવારો ખતમ થઈ જાય છે અને ભાજપ સરકાર દર વખતે એ જ કરે છે: ફોટો-ઓપ, ટ્વીટ અને વળતરની ઔપચારિકતા."

'ડબલ એન્જિન માત્ર અબજોપતિઓ માટે'

અંતમાં, 'ડબલ એન્જિન' સરકારના નારા પર કટાક્ષ કરતાં રાહુલ ગાંધીએ લખ્યું, "મોદીજીનું ડબલ એન્જિન ચાલી રહ્યું છે - પણ માત્ર અબજોપતિઓ માટે. સામાન્ય ભારતીય માટે આ ભ્રષ્ટાચારની ડબલ એન્જિન સરકાર વિકાસ નહીં, પણ તબાહીની રફતાર છે - જે દરરોજ કોઈને કોઈની જિંદગી કચડી રહી છે."