Get The App

'PM મોદી ફરીથી સરન્ડર કરશે...', ટેરિફ કેસમાં US કોર્ટના ચુકાદા વચ્ચે રાહુલ ગાંધીના પ્રહાર

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
'PM મોદી ફરીથી સરન્ડર કરશે...', ટેરિફ કેસમાં US કોર્ટના ચુકાદા વચ્ચે રાહુલ ગાંધીના પ્રહાર 1 - image

Rahul Gandhi : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ (આયાત શુલ્ક) ને લઈને સર્જાયેલા વિવાદે હવે ભારતના રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો છે. અમેરિકી સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલે આરોપ લગાવ્યો છે કે, ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં દેશના હિતો સાથે સમાધાન કરવામાં આવ્યું છે અને હવે તેની સત્યતા સામે આવી રહી છે.

ટ્રમ્પના ટેરિફ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો

અમેરિકી સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને રદ કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિને આ પ્રકારના શુલ્ક લાદવાનો અધિકાર નથી. કોર્ટના આ ચુકાદાના થોડા જ કલાકોમાં ટ્રમ્પે વૈશ્વિક સ્તરે 10 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે તેઓ એક નવા આદેશ પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છે, જેના હેઠળ વિશ્વભરના દેશો પર 10% ગ્લોબલ ટેરિફ લાગુ થશે.

રાહુલ ગાંધીનો સીધો પ્રહાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું છે કે, "વડાપ્રધાને સમજૂતી કરી લીધી છે, તેમની છેતરપિંડી હવે સામે આવી ગઈ છે. તેઓ ફરીથી વાતચીત કરી શકશે નહીં, તેઓ ફરીથી સરેન્ડર (શરણાગતિ) કરી દેશે." કોંગ્રેસ સતત આરોપ લગાવી રહી છે કે ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં ભારતીય હિતો, ખાસ કરીને ખેડૂતો અને નાના વેપારીઓની અવગણના કરવામાં આવી છે.

જૂનો વિવાદ અને ટ્રેડ ડીલની સ્થિતિ

આ પહેલીવાર નથી જ્યારે રાહુલ ગાંધીએ ટ્રેડ ડીલ અને ટેરિફના મુદ્દે સરકારને ઘેરી હોય. આ અગાઉ પણ સંસદ અને જાહેર મંચો પરથી તેઓ પીએમ મોદીની નીતિઓની ટીકા કરી ચૂક્યા છે.

ભારત-અમેરિકા ટ્રેડ ડીલની મુખ્ય વિગતો:

- ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વાતચીત બાદ 7 ફેબ્રુઆરીએ સમજૂતીની જાહેરાત કરવામાં આવી હતી.

- આ સમજૂતી હેઠળ ભારતીય કૃષિ ઉત્પાદનોને અમેરિકામાં ઝીરો ટેરિફ પર નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

- બીજી તરફ, અમેરિકી કૃષિ ઉત્પાદનોને ભારતમાં ટેરિફમાં કોઈ ખાસ છૂટ આપવામાં આવી નથી.

- ભારત સરકારનો દાવો છે કે ખેડૂતો અને ડેરી ક્ષેત્રના હિતો સાથે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી.