Raghav Chadha PM Comment Viral Video: આમ આદમી પાર્ટી (AAP) અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા વચ્ચેનો ગજગ્રાહ ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્યસભામાં ઉપનેતાના પદ પરથી હટાવવામાં આવ્યા બાદ હાલમાં રાઘવ ચઢ્ઢાને લઈને સતત રાજકીય હલચલ તેજ થઈ રહી છે. એવી પણ અટકળો ચાલી રહી છે કે તેઓ ભાજપમાં સામેલ થઈ શકે છે. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું પરંતુ એક્સપર્ટ માની રહ્યા છે કે જો રાઘવ ચઢ્ઢા AAP છોડીને ભાજપમાં સામેલ થશે તો આમ આદમી પાર્ટી સામે ભાજપ મજબૂત થઈ જશે. એક તરફ જ્યાં આમ આદમી પાર્ટી તરફથી રાઘવ ચઢ્ઢા પર એક પછી એક આરોપો લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ રાઘવ ચઢ્ઢા પણ એક પછી એક વીડિયો જારી કરીને સત્યનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે આ તમામ વચ્ચે રાઘવ ચઢ્ઢાનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે મજાકમાં કહ્યું હતું કે, 'એક દિવસ હું PM બની જઈશ'.
રાઘવ ચઢ્ઢાના ભાજપમાં સામેલ થવાની અટકળો તેજ
હાલમાં સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ શકે છે. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરીથી છવાઈ ગયો છે. આ ક્લિપ જુલાઈ 2025માં તેમના ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોના એક મજેદાર એપિસોડની છે, જ્યાં બંનેએ પોતાની કેમિસ્ટ્રી અને હ્યૂમરથી દર્શકોને ખૂબ એન્ટરટેઈન કર્યા હતા.
જ્યારે ચોરી થઈ ગયા જૂતા અને શરૂ થઈ ગયો મજાક
શૉમાં આ કપલની એન્ટ્રી થતાં જ હોસ્ટ કપિલ શર્માની નજર રાઘવના ખુલ્લા પગ પર પડી. તેના પર રાઘવે હસતા-હસતા જણાવ્યું કે, મારા જૂતા ચોરાઈ ગયા છે. બીજી તરફ કૃષ્ણા અભિષેક અને કીકુ શારદા જૂતા લઈને સ્ટેજ પર આવ્યા અને દુલ્હનના ભાઈ બનીને પૈસાની માગ કરવા લાગ્યા. આ આખા સીને માહોલને વધુ મમજેદાર બનાવી દીધો.
લંડનમાં શરૂ થઈ હતી રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની લવ સ્ટોરી
શૉમાં વાતચીત દરમિયાન પરિણીતીએ જણાવ્યું કે અમારી પહેલી મુલાકાત લંડનમાં થઈ હતી. તેણે મજાકમાં કહ્યું કે, મુલાકાત બાદ મેં ગુગલ પર રાઘવની હાઈટ પણ સર્ચ કરી હતી. કપિલ પરિણીતીને કહે છે કે તમે કહ્યું હતું કે તમે ક્યારેય પોલિટિશિયન સાથે લગ્ન નહીં કરો, જેના પર રાઘવે તરત જ કટાક્ષ કરતા કહ્યું કે, 'પરિણીતી જે કંઈ પણ કહે છે, તેનાથી વિપરીત થઈ જાય છે. તેથી હું તેને દરરોજ સવારે જગાડીને કહું છું કે એવું બોલો કે હું ક્યારેય વડા પ્રધાન નહીં બનીશ. તો પછી એક દિવસ હું વડા પ્રધાન બની જઈશ.'
આમ આદમી પાર્ટી સાથે વિવાદ વચ્ચે રાઘવ ચઢ્ઢાનું નિવેદન વાઇરલ
આ હળવો મજાક એવા સમયે વાઇરલ થઈ રહ્યો છે જ્યારે આમ આદમી પાર્ટી અને રાઘવ ચઢ્ઢા વચ્ચે અણબનાવના અહેવાલો ચર્ચામાં છે. પાર્ટીએ તેમને રાજ્યસભામાં ડેપ્યુટી લીડર પદ પરથી હટાવી દીધા છે અને અને તેમની જગ્યાએ અશોક મિત્તલને આ જવાબદારી સોંપી છે. બીજી તરફ સૌરભ ભારદ્વાજ અને અનુરાગ ઢાંડા જેવા નેતાઓએ તેમના પર સંસદમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર આક્રમક ન રહેવાનો આરોપ લગાવ્યો છે. આના જવાબમાં રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, હું અસલી મુદ્દાઓ ઉઠાવી રહ્યો છું. હું જાહેર મુદ્દાઓ ઉઠાવી રહ્યો છું, જેમ કે પાણી સંકટ, પ્રદૂષણ અને ગિગ વર્કર્સના અધિકારો. મને ચૂપ કરવાના ઇઈરાદાપૂર્વક પ્રયાસો થઈ રહ્યા છે. કેટલાકયુઝર્સનો દાવો છે કે તેમણે તેમની જૂની ભાજપ વિરોધી પોસ્ટ્સ ડિલીટ કરી દીધી છે અને હવે તેમના એકાઉન્ટમાં નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતી પોસ્ટ્સ વધુને વધુ દેખાઈ રહી છે. જોકે, આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. રાઘવ ચઢ્ઢાનું 'PM બનવા'નું નિવેદન ભલે મજાકમાં આપવામાં આવ્યું હોય, પરંતુ વર્તમાન રાજકીય સ્થિતિને જોતા હવે તેને અલગ દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહ્યું છે.


