India

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું: કહ્યું- હિંસાથી મન દુઃખી, દેશવિરોધી શક્તિઓ આંદોલનનો ગેરલાભ ન ઉઠાવે

By GS Team
25 Jul 20262 mins read
TukuTouch Logo
NEET પેપરલીક મામલે દિલ્હીમાં એક મહિનાથી ચાલતા વિદ્યાર્થી આંદોલન બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે (25 જુલાઈ 2026) રાજીનામું આપ્યું. જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની મુખ્ય માંગણીઓ સ્વીકારાતા, જેમાં રાજીનામું, વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી નહીં અને આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને વળતરનો સમાવેશ થાય છે, વિદ્યાર્થીઓએ 'વિદ્યાર્થી એકતા ઝિંદાબાદ'ના નારા લગાવ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું: કહ્યું- હિંસાથી મન દુઃખી, દેશવિરોધી શક્તિઓ આંદોલનનો ગેરલાભ ન ઉઠાવે

Dharmendra Pradhan Resigns: નીટ પેપરલીક મામલે સમગ્ર દેશમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન બાદ આખરે કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓની માંગ સ્વીકારી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. છેલ્લા એક મહિનાથી દિલ્હીના જંતર મંતર પર વિદ્યાર્થીઓ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આંદોલન કરી રહ્યા હતા.

ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પત્રમાં શું લખ્યું?

પોતાના અધિકૃત પત્રમાં દેશના યુવાનોને સંબોધતા ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય કોઈ તેમની વ્યક્તિગત પ્રતિષ્ઠાનો વિષય નથી.

હું છેલ્લા 4 દાયકાથી વધુ સમયથી છાત્રો, શિક્ષકો અને શિક્ષણ સુધાર માટે સમર્પિત રહ્યો છું. દેશના યુવાનોની આકાંક્ષાઓ અને ન્યાયી અપેક્ષાઓનું હું ઊંડું સન્માન કરું છું. 3 મે 2026ના રોજ લેવાયેલી NEET-UG પરીક્ષામાં ગેરરીતિ સામે આવતા જ સરકારે તુરંત તપાસ સીબીઆઇ(CBI)ને સોંપી હતી. પરંતુ છેલ્લા 10 દિવસના ઘટનાક્રમથી મારું મન અત્યંત વ્યથિત થયું છે.

રાજીનામા પાછળનું મુખ્ય કારણ: જંતર-મંતર પર અને દેશમાં જે સ્થિતિ બની છે, તેનો 'રાષ્ટ્ર વિરોધી તાકાતો' લાભ ના ઉઠાવે, દેશની એકતા જળવાઈ રહે, કોઈ વિદ્યાર્થીનું ભવિષ્ય કાનૂની ગૂંચવણોમાં ના અટવાય અને આપણા બાળકો અભ્યાસ તથા કરિયર પર ધ્યાન આપી શકે, તે માટે મેં મારું ત્યાગપત્ર વડાપ્રધાનને મોકલી આપ્યું છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનું પદ છોડવું એ કોઈ અંગત પ્રતિષ્ઠાનો વિષય નથી:

પ્રથમ દિવસથી જ મેં આ સમગ્ર મામલે જવાબદારી લીધી હતી અને ક્યારેય આ પરિસ્થિતિથી મોં ફેરવ્યું નથી. મારો એ જ સંકલ્પ હતો કે આપણે પરીક્ષા માફિયાઓને કોઈ પણ તેજસ્વી વિદ્યાર્થીનું ભવિષ્ય બગાડવા દઈશું નહીં.

આંદોલનની ૩ મુખ્ય માંગણીઓ જે સરકારે સ્વીકારી

દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા એક મહિનાથી આક્રોશિત વિદ્યાર્થીઓ કેમ્પિંગ કરી રહ્યા હતા. શુક્રવારે સરકારે વિદ્યાર્થીઓની બે માંગણીઓ સ્વીકારી લીધી હતી, પરંતુ રાજીનામા અંગે મૌન સેવ્યું હતું.

શિક્ષણ મંત્રીના રાજીનામા સાથે જ વિદ્યાર્થીઓની તમામ ૩ મુખ્ય માંગણીઓ પૂરી થઈ ગઈ છે:

  1. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું.
  2. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સામે કોઈ કાનૂની કાર્યવાહી નહીં.
  3. NEET પેપર લીક બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને યોગ્ય વળતર.

જંતર-મંતર પર ઉજવણી: "અમે કરી બતાવ્યું"

શિક્ષણ મંત્રીના રાજીનામાના સમાચાર મળતાં જ જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને સમગ્ર વાતાવરણ 'વિદ્યાર્થી એકતા ઝિંદાબાદ'ના નારાઓથી ગુંજી ઊઠ્યું હતું.

CJP સ્થાપક અભિજીત દીપકેની પ્રતિક્રિયા: જંતર-મંતરના સ્ટેજ પરથી જાહેરાત કરતાં અભિજિત દીપકે કહ્યું, "લોકો કહેતા હતા કે આ સરકારમાં કોઈ રાજીનામું આપતું નથી. પરંતુ અમે આ કરી બતાવ્યું છે. વિદ્યાર્થી શક્તિનો વિજય થયો છે."

CJPના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પણ "Long Live Student Power"ની પોસ્ટ મૂકવામાં આવી હતી.