India

‘કરોડો રામભક્તોની આસ્થા પર કુઠારાઘાત કરનારા દોષિતોને સજા કરો...’ રામ મંદિર દાન ચોરી મુદ્દે RSSનું નિવેદન

By GS Team
3 Jul 20263 mins read
TukuTouch Logo
અયોધ્યામાં રામલલા મંદિરના દાનપાત્રોમાંથી ચોરી થતા RSSએ ચિંતા વ્યક્ત કરી છે. સંઘે તેને માત્ર ચોરી નહીં, પરંતુ કરોડો રામભક્તોની આસ્થા પર આઘાત ગણાવ્યો છે. સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ દોષિતો સામે કડક કાર્યવાહી અને મંદિર વ્યવસ્થાપનમાં સુધારાની માંગ કરી છે. SIT તપાસ શરૂ થઈ છે, ત્યારે સંઘે પારદર્શિતા અને મજબૂત દેખરેખ પર ભાર મૂક્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘કરોડો રામભક્તોની આસ્થા પર કુઠારાઘાત કરનારા દોષિતોને સજા કરો...’ રામ મંદિર દાન ચોરી મુદ્દે RSSનું નિવેદન

RSS Statement On Ram Mandir Theft : અયોધ્યામાં રામલલા મંદિરનો ચઢાવો ચોરી થવાની ઘટના પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)એ કડક નિવેદન જાહેર કર્યું છે. સંઘે કહ્યું કે, આ ઘટના માત્ર ચોરીનો મામલો નથી, પરંતુ આનાથી કરોડો રામ ભક્તોની આસ્થા અને શ્રદ્ધાને ઊંડો કુઠારાઘાત પહોંચ્યો છે. સંઘે દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરવાની સાથે મંદિર મેનેજમેન્ટ અને વ્યવસ્થામાં સુધારાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે શું કહ્યું અને કેમ ચિંતા વ્યક્ત કરી?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું કે, શ્રી રામ જન્મભૂમિ પર બનેલું ભવ્ય મંદિર પેઢીઓના સંઘર્ષ, કરોડો રામ ભક્તોના સમર્પણ, ત્યાગ અને બલિદાનનું પ્રતીક છે. આ જ કારણ છે કે, આ મંદિર સમગ્ર હિંદુ સમાજની આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનું પ્રમુખ કેન્દ્ર છે. આવા સમયમાં અયોધ્યા સ્થિત શ્રી રામલલા મંદિરના દાન પાત્રોમાં જમા થયેલી ધનરાશિની ચોરીની ઘટના અત્યંત કમનસીબ છે. સંઘે કહ્યું કે, આ ઘટનાથી સમગ્ર સમાજ અને રામ ભક્તોની લાગણીઓ દુભાઈ છે. તેથી આ મામલાને સામાન્ય ગુનાની જેમ નહીં, પરંતુ કરોડો લોકોની આસ્થા સાથે જોડાયેલા ગંભીર વિષય તરીકે જોવો જોઈએ.

દોષિતો સામે શું કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી?

સંઘે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસ(ટ્રસ્ટ)ના આગ્રહ પર ઉત્તર પ્રદેશ સરકારે આ મામલાની તપાસ માટે વિશેષ તપાસ ટીમ(SIT)ની રચના કરી છે. તપાસ ટીમની ભલામણના આધારે કાનૂની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. સંઘે સ્પષ્ટ કહ્યું કે, તપાસમાં જે પણ વ્યક્તિ દોષિત સાબિત થાય, તેની સામે કડકમાં કડક કાર્યવાહી સુનિશ્ચિત થવી જોઈએ. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું કે, ન્યાય ત્યારે જ પૂરો થયેલો ગણાશે, જ્યારે દોષિતોને કાયદા મુજબ સખત સજા મળશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન નહીં થાય.

મંદિર મેનેજમેન્ટ પાસેથી સંઘની શું અપેક્ષા છે?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કહ્યું કે, આ ઘટનાને અસાધારણ ગણીને મંદિર મેનેજમેન્ટે વ્યવસ્થા અને સંચાલનની તમામ ખામીઓને દૂર કરવા માટે અસરકારક પગલાં ભરવા જોઈએ. સંઘના જણાવ્યા અનુસાર વર્તમાન સમયમાં જે ભ્રમ અને મૂંઝવણની સ્થિતિ ઊભી થઈ છે, તેને વહેલી તકે સમાપ્ત કરવી જરૂરી છે. આ માટે મંદિર મેનેજમેન્ટ અને તંત્ર દ્વારા ગઠિત વિશેષ તપાસ ટીમ જરૂરી પહેલ કરે. સંઘે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, સુદૃઢ નાણાકીય સંચાલન, સંપૂર્ણ પારદર્શિતા, મજબૂત દેખરેખ વ્યવસ્થા અને ધાર્મિક પવિત્રતાના વાતાવરણ દ્વારા શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કરોડો શ્રદ્ધાળુઓનો વિશ્વાસ વધુ મજબૂત કરશે.

હિંદુ સમાજને સંઘે શું અપીલ કરી?

પોતાના નિવેદનના અંતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સમગ્ર હિંદુ સમાજને ધૈર્ય અને સંયમ જાળવી રાખવાની અપીલ કરી છે. સંઘે કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં સમાજે ભાવનાઓમાં વહી જવાને બદલે જવાબદારીનો પરિચય આપવો જોઈએ. સાથે જ એવું પણ કહ્યું કે, આ કમનસીબ ઘટનાનો લાભ ઉઠાવીને હિંદુ વિરોધી અને રાષ્ટ્ર વિરોધી શક્તિઓ હિંદુ ધર્મ તથા સમાજને બદનામ કરવાનો પ્રયાસ કરી શકે છે. આવા કોઈપણ ષડયંત્રને નિષ્ફળ બનાવવું એ સમગ્ર સમાજની જવાબદારી છે. સંઘે ભરોસો વ્યક્ત કર્યો કે, નિષ્પક્ષ તપાસ, પારદર્શી વ્યવસ્થા અને અસરકારક સુધારાઓ દ્વારા મંદિરની ગરિમા, પવિત્રતા અને કરોડો રામ ભક્તોની આસ્થા પહેલાની જેમ જ અખંડ રહેશે.