India

મોદી કેબિનેટમાં હવે અધિકારીઓને મંત્રી પદ આપવાની તૈયારી! આ બેનું નામ રેસમાં સૌથી આગળ

By GS Team
4 Jul 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગામી કેબિનેટ વિસ્તરણમાં અનુભવી નિવૃત્ત અમલદારોને મહત્વની જવાબદારીઓ મળી શકે છે. સૂત્રો અનુસાર, શક્તિકાંત દાસ અને તપન ડેકા જેવા ઉચ્ચ અધિકારીઓના નામ ચર્ચામાં છે. 'પર્ફોર્મન્સ' અને 'લોયલ્ટી' ના આધારે પીએમ મોદી આવા અધિકારીઓને જલ્દી નિવૃત્ત થવા દેતા નથી. આ મોડેલ પ્રશાસનિક સાતત્ય જાળવી રાખી મોટા સુધારાઓને ગતિ આપશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોદી કેબિનેટમાં હવે અધિકારીઓને મંત્રી પદ આપવાની તૈયારી! આ બેનું નામ રેસમાં સૌથી આગળ

Modi Cabinet Reshuffle : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રસ્તાવિત કેબિનેટ વિસ્તરણની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. આ વિસ્તરણમાં અનુભવી નિવૃત્ત અમલદારો (નોકરશાહો)ને મહત્વની જવાબદારીઓ મળવાની અટકળો છે. સૂત્રોનું કહેવું છે કે 'પર્ફોર્મન્સ' અને 'લોયલ્ટી' ના ફોર્મ્યુલા પર ખરા ઉતરતા અધિકારીઓને પીએમ મોદી જલ્દી નિવૃત્ત થવા દેતા નથી. આવી સ્થિતિમાં કેટલાક મોટા અધિકારીઓના નામ મંત્રીમંડળના ફેરબદલમાં સામેલ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં સૌથી વધુ ચર્ચામાં શક્તિકાંત દાસ અને તપન ડેકા જેવા ઉચ્ચ અધિકારીઓના નામ છે. આ સિવાય પણ કેટલાક અધિકારીઓ મહત્વના સ્થાનો પર જોવા મળી શકે છે. અગાઉની સરકારોમાં પણ ક્યારેક આવા પ્રયોગો થયા હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં આ એક વ્યવસ્થિત માળખું બની ચૂક્યું છે.

નિવૃત્ત અધિકારીઓને સેવા વિસ્તરણ (એક્સ્ટેન્શન) મળવું સામાન્ય બની ગયું છે, અને તેઓ વિવિધ મંત્રાલયો તેમજ સરકાર ચલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ મોડલ માત્ર વહીવટી નિરંતરતા સુનિશ્ચિત કરતું નથી, પરંતુ મોટા સુધારાઓને ગતિ આપવામાં અને સંકટ વ્યવસ્થાપનમાં પણ મદદરૂપ સાબિત થઈ રહ્યું છે.

સરકારોને આનાથી થાય છે લાભ

દાયકાઓનો વહીવટી અનુભવ, જટિલ નીતિઓની ઊંડી સમજ, સંસ્થાકીય સ્મૃતિની જાળવણી, મોટા સુધારાઓમાં સાતત્ય, સંકટ સમયે અનુભવી નેતૃત્વની ઉપલબ્ધતા અને પ્રદર્શન આધારિત મૂલ્યાંકન એ નિવૃત્ત લોકોને જવાબદારી સોંપવાના મોટા કારણો હોવાનું કહેવાય છે. જો કે, આ મોડલની ટીકા પણ થાય છે. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, અતિશય સેવા વિસ્તરણને કારણે નવા અધિકારીઓની પ્રમોશનની તકો પ્રભાવિત થઈ શકે છે.

ભારત જ નહીં, ઘણા દેશોમાં પણ આ પ્રયોગ

આ ટ્રેન્ડ માત્ર ભારત પૂરતો મર્યાદિત નથી. સિંગાપુરમાં કાયમી સચિવો નિવૃત્તિ પછી સરકારી કંપનીઓ, અને નીતિ આયોગોનું નેતૃત્વ કરે છે. અમેરિકામાં જેમ્સ મેટિસ અને લોયડ ઓસ્ટિન (નિવૃત્ત જનરલ) સંરક્ષણ મંત્રી બન્યા. જેનેટ યેલેન (ભૂતપૂર્વ ફેડ ચેર) નાણા મંત્રી બન્યા. જેરોમ પોવેલ સેન્ટ્રલ બેંકનું નેતૃત્વ કરી રહ્યા છે. બ્રિટનમાં નિવૃત્ત વરિષ્ઠ સિવિલ સેવકોને હાઉસ ઓફ લોર્ડ્સ, જાહેર આયોગો અને નિયમનકારી સંસ્થાઓમાં નિયુક્ત કરવા સામાન્ય છે. ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પોતે ઉચ્ચ સિવિલ સેવામાંથી આવ્યા છે. જાપાનમાં 'અમકુદરી' (સ્વર્ગમાંથી અવતરણ) પરંપરા હેઠળ વરિષ્ઠ અમલદારો નિવૃત્તિ પછી ખાનગી કંપનીઓમાં નેતૃત્વ સંભાળે છે.