મમતા વકીલનો કાળો કોટ પહેરી પહેલી વખત હાઈકોર્ટ પહોંચ્યા
મમતા બેનરજી કલકત્તા હાઈકોર્ટમાંથી બહાર નીકળતા વકીલોના જૂથે 'ચોર-ચોર'નો સૂત્રોચ્ચાર કરી અરાજક્તા સર્જી
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પરિણામો પછી તૃણમૂલ કોંગ્રેસ પક્ષની ઓફિસો પર થયેલા કથિત હુમલાના એક કેસમાં દલીલો કરવા માટે ભૂતપૂર્વ સીએમ મમતા બેનરજી પોતે ગુરુવારે કલકત્તા હાઈકોર્ટ પહોંચ્યા હતા. તેમણે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુજોય પાલની વિભાગીય ખંડપીઠ સમક્ષ અરજી કરતા ચૂંટણી પછી લોકોનું હુમલાખોરોથી રક્ષણ કરવા ન્યાયિક દખલની માગ કરવા આ કેસની તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી.
કાયદાની ડિગ્રી ધરાવતા મમતા બેનરજી ગુરુવારે પક્ષના વરિષ્ઠ નેતાઓ અને વકીલો ચંદ્રીમા બેનરજી અને કલ્યાણ બેનરજી સાથે વકીલના કાળા કોટમાં પહેલી વખત કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. તેઓ તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ઉત્તરપારા વિધાનસભા બેઠક પરથી તૃણમૂલના ઉમેદવાર અને કલ્યાણ બેનરજીના પુત્ર સિરસાન્યા બંદોપાધ્યાયે દાખલ કરેલી અરજી માટે દલીલો કરવા હાઈકોર્ટ પહોંચ્યા હતા.
તૃણમૂલ સુપ્રીમો મમતાએ અરજીમાં જણાવ્યું કે, ચૂંટણી પરિણામો જાહેર થયા પછી પશ્ચિમ બંગાળમાં લગભગ છ હિન્દુ સહિત ૧૦ લોકોની હત્યા થઈ છે, હિંસાની ૨૦૦૦ ઘટનાઓ નોંધાઈ છે, તૃણમૂલ કોંગ્રેસની ૧૫૦થી ૧૬૦ ઓફિસોમાં તોડફોડ કરાઈ છે. ચૂંટણી હિંસામાં મહિલાઓ, બાળકો અને લઘુમતી સમાજના સભ્યોને નિશાન બનાવાઈ રહ્યા છે. તેમણે માગ કરી કે પોલીસને ચૂંટણી બાદની હિંસા રોકવા નિર્દેશ આપવામાં આવે.
આ કેસની સુનાવણી પછી મમતા બેનરજી હાઈકોર્ટ પરિસરમાંથી જઈ રહ્યા હતા ત્યારે વકીલોના કેટલાક જૂથે 'ચોર ચોર'નો સૂત્રોચ્ચાર કરતા પરિસરમાં અરાજક્તા જેવી સ્થિતિ સર્જાઈ હતી. કલ્યાણ બેનરજીએ આક્ષેપ કર્યો કે ભાજપના પ્રભાવ હેઠળ વકીલોએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને તેમના પક્ષની કાયદાકીય ટીમને ધક્કે ચઢાવ્યા હતા.
બીજીબાજુ મમતા બેનરજી વકીલ તરીકે કાળો કોટ પહેરી હાઈકોર્ટ પહોંચતા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલ પાસેથી વકીલ તરીકે મમતાની નોંધણી અને વ્યાવસાયિક પ્રેક્ટિસ અંગેના દરજ્જા મુદ્દે ૪૮ કલાકમાં જવાબ માગ્યો છે. વર્તમાન પ્રક્રિયા મુજબ બંધારણીય પદ ધરાવતી અથવા લાભનું પદ ધરાવતી વ્યક્તિનું બાર લાઈસન્સ તેમના સર્વિસ કાળ સમયમાં સસ્પેન્ડ થઈ જાય છે અને વકીલ તરીકે પ્રેક્ટિસ કરવા તેમણે ફરીથી લાઈસન્સ રીન્યુ કરવું પડે છે. બીસીઆઈએ પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલ પાસે ૨૦૧૧થી ૨૦૨૬ સુધી મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ સમયે અને ત્યાર પછી વકીલ તરીકે મમતા બેનરજીની નોંધણી અને તેમના પ્રેક્ટિસ દરજ્જા અંગેની વિગતો માગી છે.


